ગુજરાત તરફ મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ટ્રેનોનું સંચાલન વધુ સુવ્યવસ્થિત બનાવવા અને મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે 3 જોડી મુખ્ય એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર કર્યો છે. હવે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશથી આવતી આ ટ્રેનો સાબરમતી સ્ટેશન પર નહીં, પરંતુ સીધી ગાંધીગ્રામ સ્ટેશન સુધી દોડશે. સાથે જ સ્થાનિક મુસાફરોને મોટી રાહત આપતા ચાંદખેડા રોડ સ્ટેશન પર નવું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.
આ 3 જોડી ટ્રેનો હવે ગાંધીગ્રામ સુધી દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલી નવી સમયસૂચિ મુજબ નીચેની 3 જોડી ટ્રેનોનું ટર્મિનલ સાબરમતીના બદલે ગાંધીગ્રામ કરવામાં આવ્યું છે.
- 14821/14822 જોધપુર – ગાંધીગ્રામ – જોધપુર ડેઇલી એક્સપ્રેસ
- 12547/12548 આગ્રા કેન્ટ – ગાંધીગ્રામ – આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ (અઠવાડિયામાં 4 દિવસ)
- 22547/22548 ગ્વાલિયર – ગાંધીગ્રામ – ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ (અઠવાડિયામાં 3 દિવસ)
જોધપુર–ગાંધીગ્રામ એક્સપ્રેસનું નવું સમયપત્રક
14821 જોધપુર–ગાંધીગ્રામ એક્સપ્રેસ જોધપુરથી સવારે 10:00 વાગ્યે ઉપડશે, સાંજે 5:45 વાગ્યે પાલનપુર પહોંચશે, રાત્રે 8:15 વાગ્યે ચાંદખેડા રોડ અને રાત્રે 9:00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
14822 ગાંધીગ્રામ–જોધપુર એક્સપ્રેસ સવારે 7:00 વાગ્યે ગાંધીગ્રામથી ઉપડશે, 7:09 વાગ્યે ચાંદખેડા રોડ, 10:13 વાગ્યે પાલનપુર અને સાંજે 6:10 વાગ્યે જોધપુર પહોંચશે.
આગ્રા કેન્ટ–ગાંધીગ્રામ સુપરફાસ્ટનું નવું શેડ્યૂલ
12547 આગ્રા કેન્ટ–ગાંધીગ્રામ સુપરફાસ્ટ રાત્રે 10:00 વાગ્યે આગ્રા કેન્ટથી ઉપડશે અને બીજા દિવસે સવારે 9:30 વાગ્યે પાલનપુર, 11:02 વાગ્યે ચાંદખેડા રોડ તથા બપોરે 12:00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
12548 ગાંધીગ્રામ–આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સાંજે 4:40 વાગ્યે ગાંધીગ્રામથી ઉપડશે, 5:02 વાગ્યે ચાંદખેડા રોડ, 6:57 વાગ્યે પાલનપુર અને બીજા દિવસે સવારે 7:05 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે.
ગ્વાલિયર–ગાંધીગ્રામ સુપરફાસ્ટમાં પણ ફેરફાર
22547 ગ્વાલિયર–ગાંધીગ્રામ સુપરફાસ્ટ રાત્રે 8:10 વાગ્યે ગ્વાલિયરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 9:30 વાગ્યે પાલનપુર, 11:02 વાગ્યે ચાંદખેડા રોડ તેમજ બપોરે 12:00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
22548 ગાંધીગ્રામ–ગ્વાલિયર સુપરફાસ્ટ સાંજે 4:40 વાગ્યે ગાંધીગ્રામથી ઉપડશે, 5:02 વાગ્યે ચાંદખેડા રોડ, 6:57 વાગ્યે પાલનપુર અને બીજા દિવસે સવારે 9:25 વાગ્યે ગ્વાલિયર પહોંચશે.
મુસાફરોને થશે મોટા ફાયદા
સાબરમતીના બદલે ગાંધીગ્રામને અંતિમ સ્ટેશન બનાવાતા અમદાવાદ શહેરના આંતરિક વિસ્તારોમાં જતાં મુસાફરોનો સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો દૈનિક તેમજ લાંબા અંતરના મુસાફરોને હવે સાબરમતી અથવા અમદાવાદ મુખ્ય સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. ઉપરાંત, સાબરમતી સ્ટેશન પર ટ્રેનોનું વધતું ભારણ ઘટાડવામાં પણ આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી મુસાફરોને વધુ સરળ, ઝડપી અને અનુકૂળ રેલવે સેવા મળવાની અપેક્ષા છે.