Columns

ફાઇવ-G નું રેડિયેશન માનવજાત માટે અભિશાપરૂપ પુરવાર થશે?

ભારતની ટેલિકોમ કંપનીઓ ફાઇવ જી ની ટેકનોલોજીની ટ્રાયલ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે અભિનેત્રી જુહી ચાવલાએ દિલ્હી હાઈ કોર્ટમાં તેની સામે જાહેર હિતની અરજી કરીને ટેલિકોમ કંપનીઓને ઝટકો આપ્યો છે. જુહી ચાવલાના કહેવા મુજબ ફાઈવ જી ની ટેકનોલોજી તદ્દન નવી છે. તેની મનુષ્ય, પક્ષુપક્ષીઓ અને વનસ્પતિ ઉપર શી અસરો થશે? તેનું હજી પરીક્ષણ કરવામાં આવ્યું નથી. તેને કારણે કેન્સર જેવા રોગો થવાની સંભાવના અનેક નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સંયોગોમાં જ્યાં સુધી ફાઇવ જી ની ટેકનોલોજી સંપૂર્ણપણે નિર્દોષ છે તેવું પુરવાર ન થાય ત્યાં સુધી તેને આવતી રોકવી જોઈએ. દિલ્હી હાઇ કોર્ટના વિદ્વાન જજ શ્રી જે. આર. મીઢાએ જુહી ચાવલાને તેની દલીલના સમર્થનમાં બે પાનાંની નોટ દાખલ કરવાનું જણાવ્યું છે. હાઈ કોર્ટે કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટને પણ તેનો જવાબ ફાઇલ કરવાની તાકીદ કરી છે.

જુહી ચાવલાએ તેના વકીલ દીપક ખોસલાના માધ્યમથી ફાઈલ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફાઇવ જી ટેકનોલોજીથી પૃથ્વીના પર્યાવરણને ભરપાઈ ન કરી શકાય તેવું ગંભીર નુકસાન થઈ શકે છે. જુહીના કહેવા મુજબ વર્તમાનમાં જે ફોર જી નું રેડિયેશન છે તેના કરતાં સો ગણું શક્તિશાળી ફાઇવ જી નું રેડિયેશન હશે. આ રેડિયેશન દિવસના ૨૪ કલાક અને વર્ષના ૩૬૫ દિવસ મનુષ્યોના અને પશુપક્ષીઓના શરીરમાં શોષાશે તો તેનાં ગંભીર પરિણામો આવશે. જુહી ચાવલાએ સરકારને પણ અપીલ કરી છે કે જ્યાં સુધી ફાઇવ જી ની ટેકનોલોજી બાબતમાં જરૂરી સંશોધન કરીને તેને નિર્દોષ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી તેની પરવાનગી આપવી જોઈએ નહીં. જુહી ચાવલાના જણાવ્યા મુજબ આ વર્ષના એપ્રિલ મહિનામાં બ્રસેલ્સમાં ફાઇવ જી ની ટ્રાયલ રોકવામાં આવી હતી. બેલ્જિયમની સરકારે ખાતરી આપી છે કે પૂરતી તપાસ પછી જ તેની મંજૂરી આપવામાં આવશે. સરકારે ૪૫ સામાન્ય નાગરિકોને પસંદ કરીને તેમને પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું છે.

૫-જી ટેકનોલોજીના ફાયદાઓ છે તેમ તેનાં ભયસ્થાનો પણ છે. ભારતમાં ૫-જી લાવીને કમાણી કરવા થનગની રહેલી કંપનીઓ આપણને તેનાં ભયસ્થાનો કદી બતાડવાની નથી. આપણી સરકાર પણ ઉદ્યોગપતિઓના પ્રભાવમાં આવી જઈને ૫-જી સ્પેક્ટ્રમનું લિલામ કરવા ઉતાવળી બની છે. ૫-જી નું સૌથી મોટું ભયસ્થાન એ છે કે તેનું રેડિયેશન ૬૦ ગિગાહર્ટ્ઝ જેવી ભારે ફ્રિક્વન્સી ધરાવતું હોવાથી તે ચામડીનું કેન્સર પેદા કરે તેવી સંભાવના છે. ૪-જી નું રેડિયેશન દિવાલની અને આપણા શરીરની આરપાર નીકળી જાય છે, જ્યારે ૫-જી નું રેડિયેશન આપણા શરીરમાં શોષાઈ જાય છે, જેને કારણે આપણા શરીરના ડીએનએમાં ફેરફાર થવાની સંભાવના બહુ વધી જાય છે. જો આપણા શરીરમાં હાઈ ફ્રિક્વન્સી રેડિયેશન શોષાઈ જાય તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

૫-જી ટેક્નોલોજીની મર્યાદા એ છે કે તેમાં હાઈ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેના તરંગો બહુ ઓછા અંતર સુધી પહોંચે છે. આ કારણે ૫-જી ના એન્ટેના રોડ પર નીચે લગાવવાં પડે છે અને બહુ ઓછા અંતરે લગાવવાં પડે છે. રોડ પર દર ૧૦-૧૫ મકાન પછી એક એન્ટેના લગાવવામાં આવશે. જે ટાવર પર એન્ટેના ફિટ કરવામાં આવશે તેના પર જ કેમેરા પણ ફિટ કરવામાં આવશે. તેને કારણે એન્ટેનામાંથી બહાર પડતું રેડિયેશન રાહદારીના શરીરમાં શોષાઈ જશે. કાનાઝાવા મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ ૫-જી ના ટાવરમાંથી બહાર નીકળતું રેડિયેશન મનુષ્યની આંખને પણ નુકસાન કરી શકે તેવું ખતરનાક હોય છે. રશિયામાં ઉંદરો પર થયેલા પ્રયોગમાં ખબર પડી હતી કે તેને કારણે હૃદયના ધબકારા વધી જાય છે. માઇક્રોવેવ ઓવનમાં જે ફ્રિક્વન્સીનું રેડિયેશન બહાર પડે છે તે પણ ૫-જી ની રેન્જમાં હોય છે. માઇક્રોવેવ ઓવન વાપરનારને જેમ કેન્સરનો ખતરો વધી જાય છે તેવું રસ્તે ચાલતા રાહદારી સાથે બની શકે છે.

યુરોપ, અમેરિકા અને ચીનમાં કરોડો લોકો માનવા લાગ્યા છે કે જે દેશોમાં મોબાઈલના ૫-જી ટાવરો ઊભાં કરવામાં આવ્યાં છે ત્યાં કોરોના વાયરસનો ઝડપથી ફેલાવો થયો છે. ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ ગયો, કારણ કે વુહાનમાં ૫-જી નેટવર્ક શરૂ કરવામાં આવ્યું હતું, એમ તેઓ કહે છે. સોશ્યલ મીડિયામાં એવા વીડિયો પણ વહેતા મૂકવામાં આવ્યા છે, જેમાં ચીનના લોકો ગુસ્સામાં આવીને ૫-જી ટાવરો તોડી રહ્યાં છે. આ વીડિયો વુહાન શહેરના છે તે નક્કી નથી થતું; પણ બ્રિટનમાં લોકો કોરોનાના ડરથી ૫-જી ટાવરો બાળવા લાગ્યાં છે તે હકીકત છે. લિવરપુલ, બેલફાસ્ટ અને બર્મિંગહામમાં સંખ્યાબંધ ૫-જી ટાવરોને આગ ચાંપવામાં આવી હતી.
યુટ્યૂબ પર ૫-જી ના જોખમ બાબતમાં ડાના એશ્લીનો વીડિયો કરોડો દર્શકો સુધી પહોંચી ગયો હતો. તેના જણાવ્યા મુજબ વુહાન શહેરમાં ૫-જી નાં ટાવરો ઊભાં કરવામાં આવ્યા તેના થોડા જ સમયમાં કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. એશ્લીના જણાવ્યા મુજબ કોરોના નામનો કોઈ વાયરસ જ દુનિયામાં અસ્તિત્વ ધરાવતો નથી. કોરોનાનાં જે લક્ષણો જણાવવામાં આવે છે તે તો હકીકતમાં ૫-જી રેડિયેશનની માનવશરીર પર થતી ઝેરી અસરોની નિશાનીઓ છે.

સોશ્યલ મીડિયામાં ૫-જી બાબતમાં કોન્સપિરસી થિયરી વહેતી મૂકનારા ઇ.સ. ૨૦૦૦ માં ફિઝિસિસ્ટ ડો. બિલ કરી દ્વારા કરવામાં આવેલા સંશોધનને ટાંકે છે. તેમના અભ્યાસ મુજબ રેડિયો વેવ્સની ફ્રિકવન્સી વધતી જાય તેમ માનવમગજ પર તેની હાનિકારક અસરો વધતી જાય છે. ડો. કરિએ પોતાનો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો ત્યારે મોબાઇલમાં ૨-જી નેટવર્ક જ ચાલતું હતું; પણ તેમણે આગાહી કરી હતી કે ભવિષ્યમાં આવનારું ૫-જી નેટવર્ક હાઇ ફ્રિકવન્સીનો ઉપયોગ કરનારું હોવાથી ભારે હાનિકારક હશે. ડો. કરીએ ઉંદરો પર પ્રયોગો કરીને આ વાત સાબિત કરી હતી. ૫-જી ને કારણે નાગરિકોની સ્વતંત્રતા છીનવાઈ જવાનો ખતરો પણ પેદા થયો છે. જો રસ્તા પર દર ૧૦૦ મીટરે હાઈ રિસોલ્યુશન કેમેરા ફિટ કરવામાં આવ્યા હોય અને તેનું રેકોર્ડિંગ સરકારના સુપર કોમ્પ્યુટરમાં સચવાતું હોય તો સરકાર દેશના તમામ નાગરિકો ઉપર જાસૂસી કરી શકશે. તેમાં ગુનેગારો ઉપરાંત પત્રકારો અને રાજકારણીઓનો પણ સમાવેશ થઈ જશે.

જો સરકાર કોઈ વિપક્ષી રાજકારણીની હિલચાલ પર નજર રાખવા માગતી હશે તો તેના બંગલાની બહાર ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવશે. તે રાજકારણીને કોણ મળવા આવ્યું? ક્યારે આવ્યું? તેની માહિતી ફેસ રેકગનાઈઝેશન ટેકનિક વડે સરકારને મળી જશે. તેવી રીતે કોઈ પત્રકાર સરકારની વિરુદ્ધમાં લખતો હશે તો તેની જાસૂસી માટે પણ ૫-જી નો ઉપયોગ કરવામાં આવશે. ભારતના ટોચના સાત વિજ્ઞાનીઓએ ભારત સરકારને અને સંસદસભ્યોને પત્ર લખીને માગણી કરી છે કે ૫-જી ની ટેકનોલોજી સંપૂર્ણ સલામત છે, તેવી ખાતરી ન થાય ત્યાં સુધી તેના સ્પેક્ટ્રમનું લિલામ કરવાની ઉતાવળ કરવી નહીં. આ વિજ્ઞાનીઓમાં ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, આઈઆઈટી, જેએનયુ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. યુરોપના ૨૪૪ વિજ્ઞાનીઓ દ્વારા પણ તેમની સરકારોને અપીલ કરવામાં આવી છે કે ૫-જી ની ટેક્નોલોજી જ્યાં સુધી સલામત સાબિત ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવા દેવો નહીં.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top