Gujarat

પ્રિ-ઇવેન્ટ વાયબ્રન્ટ એગ્રી ગુજરાત સમિટનો આરંભ કરાવતા રાજયપાલ

વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી- ૨૦૨૨ માં યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં રાજયના કૃષિ ક્ષેત્રમાં રોકાણો માટે રૂા.૨૩૫૯ કરોડના સમજુતિ કરારો કરવામાં આવ્યા હતાં.

જેમાં ખાસ કરીને ચોખા તથા મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ – ૨૦૨૨ પૂર્વે યોજાયેલ ત્રિદિવસીય પ્રિ – એગ્રી સમિટનો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે એ સાંપ્રત સમયની માંગ છે.

રાજયપાલે કહયું હતું કે જૈવિક ખેતી કરતા જીવામૃત ખેતી વધુ અસરકારક છે. જૈવિક ખેતીમાં બહારના દેશોમાંથી લાવતા અળસિયા ભારતીય આબોહવામાં જીવી શકતા નથી અને તે માત્ર લાકડા જ ખાય છે. માટી ખાતા નથી એ તે ખેતી માટે કામ આવી શકતા નથી. આવું હરિયાણાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા થયેલા સંશોધનોથી ફલિત થયું છે. પણ તેની સામે જીવામૃત ખેતી પધ્ધતી સરળ અને અસરકારક છે.
તેમણે પણ કહ્યું હતું કે માનવજાત દ્વારા પ્રકૃતિને બહુ નુકસાન થયું છે.

આજે ધરતી કસ વગરની થતી જાય છે. રસાયણોને પરિણામે ખેડૂતોની લાગત વધતી જાય છે. આપણે વૈજ્ઞાનિકોનો આભાર માનવો જોઈએ કે જે સમયે જરૂર હતી ત્યારે સંશોધનો કરી રસાયણો થકી દેશમાં અનાજના ભંડારો ભરી દીધા હતા. આ બાબત તે સમયે જરૂરી હતી. દેશમાં દર વર્ષે એક લાખ કરોડનું ખાતર વપરાય છે.

વપરાશ સાથે પ્રકૃતિને પણ નુકસાન થાય છે અને તેને ખાવાથી આરોગ્ય ઉપર ખતરો ઊભો થાય છે. હવે જો આપડે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો કુદરતનું પણ જતન કરી શકશું અને આરોગ્ય પણ સારું રાખી શકશું. રસાયણોના દુષ્પરિણામોથી બચવાનો આ જ તાકીદનો સમય છે.રાજ્યપાલે જણાવ્યું હતું કે દેશમાં અનેક પ્રકારના નવતર સંશોધનો થઈ રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં પણ વધુ સંશોધન કરવાની જરૂર છે. ખેડૂતો માટે ખેતી વધુ સરળ બને અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા આવિષ્કાર કરવા તેમણે કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કર્યું હતું

Most Popular

To Top