Comments

ગાઝા યુદ્ધે ઈઝરાયેલની પ્રતિષ્ઠાને ધોઈ નાખી છે

ગાઝા યુદ્ધને છ મહિના થયા. યુદ્ધે ગાઝા અને તેના લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ૩૨૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. પરંતુ નુકસાન ઇઝરાયેલની વૈશ્વિક પ્રતિષ્ઠાને પણ થયું છે. બિડેન વહીવટનું પણ આવું માનવું છે. તાજેતરના સ્ટેટ ડિપાર્ટમેન્ટના મેમોમાં ચેતવણી આપવામાં આવી હતી કે ગાઝામાં સૈન્ય ગતિવિધિઓને પરિણામે ઇઝરાયેલીઓની પ્રતિષ્ઠાને ખૂબ મોટા, સંભવતઃ પેઢીઓને અસર કરતાં નુકસાનનો સામનો કરવો પડશે. ગાઝાપટ્ટી પર અંધાધૂંધ બોમ્બમારાને કારણે ઇઝરાયેલ સમર્થન ગુમાવી રહ્યું છે. જો બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ સંમત થાય એવું બહુ ઓછું બને છે. પરંતુ આ બાબતે બંને સરખો મત ધરાવે છે. ટ્રમ્પે પણ કહ્યું હતું કે ગાઝામાંથી આવી રહેલી બોમ્બમારાની તસવીરો વિશ્વ સમક્ષ ખૂબ જ ખરાબ ચિત્ર રજૂ કરે છે.

ઇઝરાયલના પશ્ચિમી સાથીઓ અને બાકીના વિશ્વ વચ્ચેની તિરાડ યુદ્ધના શરૂઆતના મહિનાઓમાં સ્પષ્ટ થઈ ગઈ હતી, જે દરમિયાન બ્રાઝિલ, ચીન, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનું ઈઝરાયેલ પ્રત્યેનું વલણ સકારાત્મકમાંથી નકારાત્મક થઈ ગયું. જાપાન, દક્ષિણ કોરિયા અને યુ.કે. જેવા ઇઝરાયેલ વિશે પહેલાથી જ નકારાત્મક મંતવ્યો ધરાવતા દેશોમાં ઈઝરાયેલ પ્રત્યેની નકારાત્મકતા વધી છે. ડિસેમ્બર સુધીમાં, અમેરિકા એકમાત્ર મોટો દેશ હતો જેમાં ઇઝરાયેલ પ્રત્યે લોકોની લાગણી મજબૂત રીતે હકારાત્મક રહી હતી.

યુ.એન.માં પણ આની અસર સ્પષ્ટ જોવા મળી જ્યાં બ્રાઝિલ, સંયુક્ત આરબ અમીરાત અને અલ્જેરિયા દ્વારા અને યુ.એન. સુરક્ષા પરિષદના મોટાભાગના અન્ય કાયમી સભ્યો દ્વારા સમર્થિત યુદ્ધવિરામના ઠરાવો વારંવાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવોને એમ કહીને અમેરિકા દ્વારા રદ કરવામાં આવ્યા કે તેમાં હમાસની નિંદા નથી કરવામાં આવી અથવા ઇઝરાયેલી બંધકોની મુક્તિની માગણી એમાં નથી. અમેરિકાએ ગયા મહિને તેના પોતાના યુદ્ધવિરામ ઠરાવને રજૂ કર્યો, ત્યારે અલ્જેરિયાની સાથે રશિયા અને ચીને તેનો વીટો કર્યો હતો. આખરે ૨૫ માર્ચે એક સફળતા મળી, જ્યારે તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોની બિનશરતી મુક્તિની હાકલ કરતો ઠરાવ એકમાત્ર અમેરિકાની ગેરહાજરી સાથે પસાર કરવામાં આવ્યો. આમ તો યુ.એન. સુરક્ષા પરિષદના ઠરાવો કાયદેસર રીતે બંધનકર્તા છે પરંતુ હજુ સુધી તેનો અમલ નથી થયો.

જેમ જેમ યુદ્ધ આગળ વધી રહ્યું છે, અને મૃત્યુ, વિનાશ અને માનવસર્જિત દુષ્કાળના વધુને વધુ ભયંકર અહેવાલોએ ગાઝામાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે ઇઝરાયેલના લશ્કરી આક્રમણને સૌથી વધુ સમર્થન આપવાવાળા દેશોમાં પણ તેનું સમર્થન ઘટતું જણાય છે. આમાં જર્મની જેવા દેશોનો સમાવેશ થાય છે, જે ઇઝરાયેલના યુરોપીયન ભાગીદારોમાં કદાચ સૌથી કટ્ટર સમર્થકોમાંનો એક છે.

હોલોકોસ્ટ દરમિયાન યુરોપીયન યહૂદીઓ સામે નરસંહાર કરવા બદલ જર્મની પોતાને અપરાધી તરીકે જુએ છે અને માટે ઇઝરાયેલના બચાવને તેની વિશિષ્ટ જવાબદારી માને છે. જર્મન ધારાસભ્ય અને વિદેશી બાબતોના પ્રવક્તા નિલ્સ શ્મિડ કહે છે ‘અમે અમારી ઐતિહાસિક જવાબદારીને કારણે અનુભવીએ છીએ કે આપણે કોઈપણ ઇઝરાયલી સરકારની જાહેર ટીકા કરનારા પ્રથમ ન બનવું જોઈએ’. પરંતુ તાજેતરમાં જર્મનીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. જર્મન ચાન્સેલર સ્કોલ્ઝે ઇઝરાયેલના લશ્કરી આક્રમણના વિશે ઇઝરાયેલને ચેતવણી આપી હતી, જેમાં નાગરિકોનો ઊંચો મૃત્યુઆંક અને પૂરતી માનવતાવાદી સહાયની અછતનો સમાવેશ થાય છે.

ગાઝા યુદ્ધને લઈને ઇઝરાયેલને લાંબા ગાળાની સ્થિતિ અથવા તેના નજીકના મિત્રો પર તેની શું અસર થઈ રહી છે તેની પણ નથી પડી. બેન્જામિન નેતન્યાહુની સરકારે ગાઝાના સૌથી દક્ષિણી અને ગીચ વસ્તીવાળા શહેર રફાહ પર ઇઝરાયેલના આયોજિત આક્રમણ પર પુનર્વિચાર કરવા માટે અમેરિકા અને અન્ય દેશો દ્વારા યુદ્ધવિરામની વિનંતીઓને વારંવાર નકારી કાઢી છે. ઇઝરાયેલી અધિકારીઓ ગાઝામાં ભૂખમરાની સ્થિતિનો ઇનકાર કરી રહ્યા છે જ્યારે આંતરરાષ્ટ્રીય સહાયતા જૂથોએ ચેતવણી આપી છે કે સ્થિતિ દુષ્કાળની અણી પર છે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top