World

AIની એક ભૂલથી અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકતી હતી!

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ હવે માત્ર ટેક્નોલોજી અને સામાન્ય કામકાજ પૂરતો સીમિત રહ્યો નથી. દુનિયાની સેનાઓ અને ગુપ્તચર એજન્સીઓ પણ માહિતીનું વિશ્લેષણ અને ઝડપી નિર્ણય લેવા માટે AIનો ઉપયોગ કરી રહી છે. પરંતુ AIની એક ગંભીર ભૂલ કેટલી મોટી પરિસ્થિતિ સર્જી શકે છે તેનું ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે.એક અહેવાલ અનુસાર, ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન AIની મદદથી તૈયાર થયેલી ખોટી ઇન્ટેલિજન્સ રિપોર્ટના કારણે અમેરિકી સેનાએ મધ્ય પૂર્વમાં રહેલા એક ચીની જહાજ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી.

ચીની જહાજને લઈને મળી હતી ખોટી માહિતી
મીડિયા ને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકી સેનામાં એવી ગુપ્ત માહિતી ઝડપથી ફેલાઈ હતી કે મધ્ય પૂર્વમાં રહેલું ચીનનું એક જહાજ પરમાણુ હથિયાર કાર્યક્રમ સાથે જોડાયેલો સામાન લઈ જઈ રહ્યું છે. બાદમાં તપાસમાં આ માહિતી ખોટી હોવાનું સામે આવ્યું હતું.આ માહિતીના આધારે અમેરિકી સેનાએ જહાજને રોકવાની યોજના બનાવી હતી. અહેવાલ મુજબ, સશસ્ત્ર અમેરિકી જવાનો જહાજ પર ચઢવા માટે તૈયાર થઈ રહ્યા હતા અને અમેરિકી સૈન્યનું વિમાન પણ હવામાં હતું. જો આ કાર્યવાહી આગળ વધી હોત તો ચીન અને અમેરિકા વચ્ચે ગંભીર સૈન્ય તણાવ ઊભો થઈ શક્યો હોત.

AIએ જહાજના માલની ખોટી ઓળખ કરી
કાર્યવાહી શરૂ થાય તે પહેલાં અમેરિકી અધિકારીઓએ ઇન્ટેલિજન્સ રિપોર્ટની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી. ત્યારે સામે આવ્યું કે આ રિપોર્ટ US Special Operations Commandના એક વિશ્લેષકે AIની મદદથી તૈયાર કરી હતી.AI ચેટબોટે જહાજના મેનિફેસ્ટ સાથે જોડાયેલી માહિતીનું વિશ્લેષણ કરતી વખતે જહાજમાં રહેલા સામાનની ખોટી ઓળખ કરી હતી. ત્યારબાદ આ ખોટી માહિતી ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં સામેલ થઈ ગઈ. વધુ તપાસ બાદ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટી હોવાનું જાણવા મળ્યું અને કાર્યવાહી અટકાવી દેવામાં આવી. જોકે જહાજમાં વાસ્તવમાં કયો સામાન હતો તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

અમેરિકી સેના AIનો ઉપયોગ કેમ વધારી રહી છે?
અહેવાલ મુજબ અમેરિકી સેના અને ગુપ્તચર એજન્સીઓ માહિતીનું વિશ્લેષણ કરવા માટે AIનો ઉપયોગ વધારી રહી છે. ટાર્ગેટ નક્કી કરવા ઉપરાંત બજેટ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ AIનો ઉપયોગ થઈ રહ્યો છે.મુખ્ય હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ઝડપથી નિર્ણય લેવામાં મદદ મેળવવાનો છે.પરંતુ આ ઘટનાએ AIની ‘હેલ્યુસિનેશન’ સમસ્યા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. AI ઘણી વખત વિશ્વસનીય લાગતી પરંતુ હકીકતમાં ખોટી માહિતી આપી શકે છે. જો આવી માહિતીની માનવીય સ્તરે ચકાસણી કર્યા વગર તેનો ઉપયોગ કરવામાં આવે તો ગંભીર પરિણામો આવી શકે છે. નિષ્ણાતો પણ ખાસ કરીને લશ્કરી કાર્યવાહી, ટાર્ગેટિંગ અને ગુપ્તચર વિશ્લેષણ જેવા સંવેદનશીલ નિર્ણયોમાં AIની માહિતીનું માનવીય વેરિફિકેશન જરૂરી ગણાવે છે.

AI માટે સૌથી મોટો સવાલ
આ ઘટનાએ બતાવ્યું છે કે AI ઝડપી નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે છે, પરંતુ તેને અંતિમ નિર્ણય લેતી સત્તા તરીકે ઉપયોગ કરવો કેટલો જોખમી બની શકે છે તે અંગે ચર્ચા વધી છે. ખાસ કરીને બે પરમાણુ શક્તિઓ સાથે જોડાયેલા સંવેદનશીલ મામલામાં એક ખોટી માહિતી પણ ગંભીર આંતરરાષ્ટ્રીય સંકટનું કારણ બની શકે છે. આ કેસમાં સમયસર થયેલી માનવીય તપાસને કારણે કાર્યવાહી અટકી હતી, પરંતુ ઘટનાએ સૈન્ય ક્ષેત્રમાં AIના ઉપયોગ સાથે ચોક્કસ ચકાસણી, માનવીય દેખરેખ અને જવાબદારીની જરૂરિયાતને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે.

Most Popular

To Top