Charchapatra

70 વર્ષમાં ન થયું તે મોદીએ કર્યું!

મોદી દિલ્હીની ગાદીએ બેઠા ત્યારથી ભાજપવાળા અને મોદી ખુદ વારંવાર ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી અણસમજુ પ્રજાને ભરમાવતા રહે છે. હાલમાં એક સંભાષણમાં મોદીએ ઉચ્ચાર્યા કે મેં બે વર્ષમાં જેટલાં ઘરોમાં પાણી પહોંચાડયું એટલામાં કોંગ્રેસે 70 વર્ષે પણ નથી પહોંચાડયું! સાચી વાત છે સાહેબ, પણ સત્ય નથી! કારણ કે કોંગ્રેસે રાજ કર્યું એ અરસામાં આજના જેવી ‘હાઇફાઇ’ ટેકનોલોજી ઉપલબ્ધ જ નહતી. પહેલાં 500 મજૂરોને જે કામ કરતા આઠ દિવસ લાગતા તે કામ આધુનિક મશીનોથી 4 કલાકમાં થાય છે. તમને ટેકનોલોજીનો સહારો મળ્યો છે. નહેરુ અને ઇંદિરાએ જ દેશમાં આધુનિક હેવી ઇન્ડસ્ટ્રીઓનો જે પાયો નાંખ્યો છે એને તમે ઇરાદાપૂર્વક ભુલાવો છો.

હાલ દેશમાં કોરોના સામેના જંગમાં જે રસીઓ વપરાય છે એ ઉત્પાદન કરનાર તમામ લેબોરેટરીઓ કોંગ્રેસી રાજમાં જ સ્થપાઇ હતી. એનાં ફળ તમે તમારા નામે ચડાવો છો. આપણા દેશ ઉપર પાકિસ્તાનના કારણે યુરોપ, અમેરિકાએ 35-40 વર્ષ તો જાતજાતના પ્રતિબંધો લગાવ્યા હતા એ તમે સિફટપૂર્વક ભુલાવો છો. આ જાલીમ પ્રતિબંધો છતાં ઇંદિરાએ આ દેશને અણુસંપન્ન રાષ્ટ્ર બનાવ્યું. 3500 ડેમ બનાવી કરોડો ખેતરોમાં પાણી પહોંચાડી હરિત ક્રાંતિ કરી બતાવી. ડો. વિક્રમ સારાભાઇ અને ડો. અબુલ કલામને આગળ કરી દેશમાં અવકાશ વિજ્ઞાન સાથે મિસાઇલ ટેકનોલોજીમાં દેશ ને દુનિયામાં અગ્રેસર બનાવ્યો. સાહેબ કોંગ્રેસી જૂતામાં પગ નાંખતાં પહેલાં તમારે સ્વયમને પૂછવાની જરૂર છે. જૂઠા ખોંખારા ખાવા બંધ કરો એમાં જ તમારું સમ્માન છે. આખો દેશ મૂરખ નથી!
સુરત     -જીતેન્દ્ર પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top