National

‘માસ્ક ફરજિયાત નહીં’, કોરોનાના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે સમીક્ષા બેઠકમાં શું લીધા નિર્ણય? જાણો..

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મનસુખ માંડવિયાએ કોવિડ-19ના સંચાલન માટે જાહેર આરોગ્યની તૈયારીઓ અને રાજ્યો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિની સમીક્ષા કરી હતી.

આ બેઠક દરમિયાન ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોએ સહકારની ભાવનાથી કામ કરવાની જરૂર છે. આ બેઠકમાંથી એક ખાસ વાત બહાર આવી છે કે માસ્ક હજુ સુધી ફરજિયાત બનાવવામાં આવ્યા નથી અને રાજ્યોને કોવિડ ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, કોવિડના યોગ્ય વર્તન માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને ફોલોઅપની પાંચ ગણી વ્યૂહરચના કોવિડ મેનેજમેન્ટ માટેની નીતિ છે. રાજ્યના આરોગ્ય પ્રધાનોએ 8 અને 9 એપ્રિલના રોજ જિલ્લા વહીવટીતંત્ર અને જાહેર આરોગ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવા વિનંતી કરી હતી.

રાજ્યોમાં મોકડ્રીલ કરવા સૂચના
આ બેઠકમાં રાજ્યોને 10 અને 11 એપ્રિલના રોજ તમામ આરોગ્ય કેન્દ્રો પર મોક ડ્રીલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર વતી રાજ્યના આરોગ્ય પ્રધાનોને આ મોક ડ્રીલની સમીક્ષા કરવા માટે હોસ્પિટલોની જાતે મુલાકાત લેવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યોને સતર્ક રહેવા અને કોવિડ-19ના સંચાલન માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવાની સલાહ આપવામાં આવી છે.

ટેસ્ટ અને વેક્સિનેશન પર વધારવા આગ્રહ
આ સિવાય રાજ્યોને ઈમરજન્સી હોટસ્પોટ ઓળખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના ટેસ્ટિંગ અને વેક્સિનેશનને વધારવું જોઈએ અને હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારી સુનિશ્ચિત કરવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને કહ્યું કે આપણે સતર્ક રહેવું પડશે અને બિનજરૂરી ભય ન ફેલાવવો જોઈએ.

કોરોનાનું જોખમ સતત વધી રહ્યું છે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,050 કેસ નોંધાયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોનાના 5,335 કેસ નોંધાયા હતા. 6 મહિના પછી દેશમાં એક જ દિવસમાં આટલા કેસ સામે આવ્યા. દેશમાં પોઝિટીવ કેસો 3.39% ના દરે વધી રહ્યાં છે . ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં જોવા મળતા કોરોનાના 38 ટકા કેસ નવા વેરિઅન્ટ XBB.1.16ના છે. જીનોમ સિક્વન્સિંગ પર દેખરેખ રાખનાર INSACOG અનુસાર, દેશમાં દરરોજના 38.2% કોરોના કેસ XBB.1.16 વેરિઅન્ટના છે. INSACOG એ ગુરુવારે જાહેર કરેલા તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે માર્ચના ત્રીજા સપ્તાહ સુધી લેવામાં આવેલા સેમ્પલમાં Omicronનું XBB વેરિઅન્ટ સૌથી વધુ જોવા મળ્યું હતું.

XBB વેરિઅન્ટ શું છે?
XBB.1.16 એ ઓમિક્રોનનું એક પ્રકાર છે, જે કોરોનાનું પેટા પ્રકાર છે. નિષ્ણાતોના મતે, XBB.1.16 XBB.1.5 કરતાં 140 ટકા ઝડપથી ફેલાઈ શકે છે. તે XBB.1.5 કરતાં વધુ આક્રમક છે અને કદાચ XBB.1.9 વેરિઅન્ટ કરતાં વધુ ઝડપી છે.

Most Popular

To Top