Entertainment

શ્રધ્ધા કપૂર માટે અત્યારે ખરેખર સારો સમય છે?!

શ્રધ્ધા કપૂર ખોવાઇ ગઇ નથી. નવી અભિનેત્રીઓ વચ્ચે તે પોતાનું સ્થાન જાળવવાનો પ્રયત્ન કરી રહી છે. બેથી વધુ અનામ ફિલ્મો સાથે ‘તેજાબ’ ની રીમેક માટે તેનું જ નામ ચર્ચામાં છે. એક અભિનેત્રી તરીકે તે પ્રગતિ કરતી રહેવા માગે છે. શ્રધ્ધા અત્યારે નિર્દેશક લવ રંજનની રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં રણબીર કપૂર સાથે પહેલી વખત દેખાવાની છે. આ ફિલ્મનો તેનો બિકીની લુક ખૂબ વાઇરલ થયો છે. નિર્દેશક નિખિલ દ્વિવેદીની અનામ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. વિશાલ ફુરિયાની ‘નાગિન’ માટે સાઇન થઇ ચૂકી છે અને ‘બડે મિયાં છોટે મિયાં’ માં તે ટાઇગર શ્રોફની હીરોઇન બની શકે છે.

તેની સાથે શ્રધ્ધાએ બે ફિલ્મો કરી છે અને ટાઇગરે એક TV શોમાં તેને શ્રધ્ધા બહુ ગમતી હોવાનો એકરાર પણ કર્યો હતો. જો કે, શ્રધ્ધાનું રોહન શ્રેષ્ઠ સાથે અફેર ચાલતું હોવાની 4 વર્ષથી વાત ચાલતી હતી. હવે બંને વચ્ચે બ્રેકઅપ હોવાના અહેવાલ છે. 12 વર્ષની કારકિર્દી પછી શ્રધ્ધાનું માનવું છે કે સિનેમામાં ઘણું પરિવર્તન આવ્યું છે. હવે મહિલાઓની નજરે ફિલ્મો બની રહી છે. અભિનેત્રીઓને ધ્યાનમાં રાખીને સ્ક્રીપ્ટ લખવામાં આવી રહી છે. ‘આશિકી 2’ થી ઓળખ મેળવનાર શ્રધ્ધા કહે છે કે અત્યારે અભિનેત્રીઓ માટે સારો સમય છે. તેણે ‘તીન પત્તી’ થી શરૂઆત કરી હતી ત્યારે અભિનેત્રીઓ માટે અલગ સ્થિતિ હતી.

હવે ફિલ્મના કેન્દ્રમાં મહિલાઓ હોય છે. છેલ્લે ‘બાગી 3’ માં દેખાયેલી શ્રધ્ધા નવી ફિલ્મોમાં પોતાના અભિનયની ઊંચાઇ વધારવા માગે છે. એ સાથે પોતાના આકર્ષક લુકથી ચાહકોને આકર્ષતી રહે છે. શ્રધ્ધા સોશ્યલ મીડિયા પર સતત સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 75 મિલિયન ફોલોઅર્સ છે. તે વારતહેવારે પોતાની પોસ્ટ મૂકતી જ રહે છે અને પોતાના ચાહકો સાથે વાતચીત કરતી રહે છે. 2 વર્ષથી તેની કોઇ ફિલ્મ આવી ન હોવા છતાં પોતાની ઉપસ્થિતિ બનાવી રાખી છે. આગામી વર્ષે પોતાની ફિલ્મોથી શ્રધ્ધા છવાઇ જશે એમ લાગે છે.

Most Popular

To Top