National

સુરત: મોટા ભાઈની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી નાનો ભાઈ ઘરે જઈ શાંતિથી ઊંઘી ગયો

સુરત(Surat): તા. 16 એપ્રિલને મંગળવારની સવારે શહેરના ડિંડોલી-ચલથાણ કેનાલ રોડના ખેતરમાંથી એક યુવકની હત્યા (Murder) કરાયેલી લાશ મળી આવી હતી. આ યુવકની હત્યા તેના જ સગા નાના ભાઈએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હત્યારા નાના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરી છે.

મંગળવારે તા. 16 એપ્રિલની સવારે ડિંડોલી મધુરમ સર્કલથી ચલથાણ તરફ જતા કેનાલ રોડ પરના ખેતર કિનારે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકના ગળા તથા ચહેરાની આસપાસ તથા છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા. મૃત યુવકના હાથમાં ભગવાન બુદ્ધનું ટેટુ ચિતરાવેલું હતું.

તેના આધારે પોલીસે ઉધના અને પાંડેસરામાં બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક સાધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એવી વિગત બહાર આવી હતી કે મૃત યુવક વેસુના સુડા આવાસમાં રહેતો હતો. તેથી પોલીસે વેસુ સુડા આવાસમાં બચ્છાવ પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારે મૃતકની ઓળખ ગોવિંદા ઉર્ફે ગોવિંદ (ઉં.વ. 30) તરીકે થઈ હતી. મૃતકની માતાએ કહ્યું કે, તેનો દીકરો છેલ્લે નાના દીકરા સાથે ગયો હતો. ત્યાર બાદથી ગાયબ હતો.

બાદમાં પોલીસે મૃત યુવક ગોવિંદના સગીર વયના નાના ભાઈની પૂછપરછ કરી હતી. પોલીસે થોડી કડકાઈ દાખવતા તે ભાંગી પડ્યો હતો અને ગોવિંદાની હત્યા પોતે પિતરાઈ ભાઈ સાથે મળી કરી હોવાની કબૂલાત કરી હતી.

મોટો ભાઈ માતાને મારતો હોઈ હત્યા કરી
હત્યારા નાના ભાઈએ પોલીસને કહ્યું કે, મોટો ભાઈ ગોવિંદ ઝઘડાળું સ્વભાવનો હતો. તેના આવા સ્વભાવના લીધે તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. તે માતાને પણ મારતો હતો. બનાવના આગલા દિવસે મોટા ભાઈએ માતાને મારી હતી. માતાએ ફોન કરી રડતા રડતાં ફરિયાદ કરી હતી. તેથી આવેશમાં આવી જઈ મોટા ભાઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

આ રીતે કરી હત્યા
હત્યાનો પ્લાન બનાવ્યા બાદ નાનો ભાઈ કડોદરા રહેતી બહેન પાસે જવું છે એમ કહી પિતરાઈ ભાઈ સાથે મોટા બાઈને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ડિંડોલી પાસે બાઈક ઉભી રાખી માતાને કેમ મારે છે? એમ કહી તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મોટા ભાઈને મારી તેની હત્યા કરી હતી.

કપડાં અને બાઈક પર લોહીના ડાઘાં સાફ કરી ઊંઘી ગયો
મોટા ભાઈની હત્યા કર્યા બાદ જાણે કશું બન્યું જ નથી એમ તે ઘરે આવી ગયો હતો. પિતરાઈ પણ પોતાના ઘરે જતો રહ્યો હતો. કિશોરે લોહીથી ખરડાયેલા કપડાં ધોઈ કાઢ્યા હતા. બાઈક પરથી લોહીના ડાઘાં સાફ કર્યા હતા અને જાણે કશું બન્યું નહીં હોય તેમ નિરાંતે ઉંઘી ગયો હતો.

ઝઘડાથી કંટાળી હત્યા કરી
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, મૃતક માથાભારે હતો. તે પરિવારમાં ઝઘડા કરતા હતો. કોઈ કામ ધંધા કરતો ન હતો. પત્ની છોડીને પિયર જતી રહી હતી. સાસરિયાવાળા સાથે પણ ઝઘડતો હતો. બે દિવસ પહેલાં મૃતકે સસરા સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ પોતાની માતાને માર માર્યો હતો. તેથી નાના ભાઈએ પિતરાઈ પુષ્પક સાથે મળી ગોવિંદાની હત્યા કરી હતી.

Most Popular

To Top