India

કેરળમાં કોંગ્રેસ સામે ‘CM કલેેશ

મોટી જીત બાદ પણ મુખ્યમંત્રીના નામ પર સહમતિ કેમ નથી?

કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ (UDF) ગઠબંધને ઐતિહાસિક જીત મેળવી હોવા છતાં હવે પાર્ટી આંતરિક ગૂંચવણમાં ફસાઈ ગઈ છે. સત્તા સુધી પહોંચ્યા બાદ કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રીના નામની પસંદગી બની ગયો છે. જીત બાદ અનેક દિવસો વીતી ગયા છતાં કોંગ્રેસ હાઈકમાન્ડ હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરા પર અંતિમ નિર્ણય લઈ શક્યું નથી, જેના કારણે રાજ્યની રાજનીતિમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

કેરળમાં આ વખતે કોંગ્રેસ ગઠબંધને ડાબેરી એલડીએફ સરકારને સત્તા પરથી હટાવીને મોટી સફળતા મેળવી છે. ચૂંટણી પરિણામોમાં યુડીએફને સ્પષ્ટ બહુમતી મળી, જેના કારણે કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ સરકાર રચનાની પ્રક્રિયા શરૂ થતાં જ પાર્ટીના અંદરના જૂથવાદ અને નેતૃત્વની હરીફાઈ ખુલ્લી સામે આવી ગઈ છે.

મુખ્યમંત્રી પદ માટે સૌથી વધુ ચર્ચામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા અને કે.સી. વેણુગોપાલના નામ ચાલી રહ્યા છે. રમેશ ચેન્નીથલા લાંબા સમયથી કેરળ કોંગ્રેસમાં સક્રિય છે અને રાજ્યમાં મજબૂત સંગઠન ધરાવે છે. બીજી તરફ, કે.સી. વેણુ ગોપાલ કોંગ્રેસ હાઈકમાન્ડના વિશ્વાસુ માનવામાં આવે છે અને દિલ્હીમાં તેમની મજબૂત પકડ છે. એ સિવાય કેટલાક નેતાઓ જેમકે શશી થરૂરના નામની પણ ચર્ચા કરી રહ્યા છે, જોકે પાર્ટી સ્તરે હજુ સુધી કોઈ સત્તાવાર સંકેત આપવામાં આવ્યો નથી.

કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર પ્રદેશના વિવિધ સમુદાયો અને રાજકીય સંતુલન જાળવવાનો છે. કેરળમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારો વચ્ચે સંતુલન જાળવવું રાજકીય રીતે અત્યંત મહત્વનું માનવામાં આવે છે. કોંગ્રેસ કોઈ એવો ચહેરો પસંદ કરવા માંગે છે જે તમામ સમુદાયો અને ગઠબંધન સાથીઓને સ્વીકાર્ય હોય. આ કારણે હાઈકમાન્ડ દરેક પાસું ખૂબ સાવધાની પૂર્વક પરખી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે સતત બેઠકનો દોર ચાલી રહ્યો છે. પાર્ટી ઇચ્છે છે કે મુખ્યમંત્રીનો નિર્ણય એવો લેવાય કે જેના કારણે ભવિષ્યમાં આંતરિક બળવો અથવા અસંતોષ ન સર્જાય. કારણ કે અગાઉ પણ કોંગ્રેસને આંતરિક જૂથબાજીના કારણે ઘણા રાજ્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન યુડીએફના સાથી પક્ષોએ પણ કોંગ્રેસ પર દબાણ વધાર્યું છે. ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે સરકાર રચનામાં વધુ વિલંબ થવાથી જનતામાં ખોટો સંદેશ જઈ શકે છે. ચૂંટણી દરમિયાન કોંગ્રેસે સ્થિર સરકાર અને મજબૂત નેતૃત્વનું વચન આપ્યું હતું, તેથી હવે લોકો ઝડપથી સરકાર રચાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસ હાલ માત્ર મુખ્યમંત્રી પસંદ નથી કરી રહી, પરંતુ આગામી લોકસભા ચૂંટણી અને દક્ષિણ ભારતની રાજનીતિને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની રણનીતિ પણ ઘડી રહી છે. કેરળમાં મળેલી જીત કોંગ્રેસ માટે મોટું મનોબળ વધારનાર પરિણામ માનવામાં આવી રહ્યું છે અને પાર્ટી કોઈ પણ રીતે આ સફળતાને આંતરિક વિવાદોથી નુકસાન પહોંચાડવા માંગતી નથી. હાલ માટે કેરળમાં કોંગ્રેસની જીતનો આનંદ ‘CM કલેેશ’ના કારણે થોડો ફીકો દેખાઈ રહ્યો છે. હવે સૌની નજર કોંગ્રેસ હાઈકમાન્ડના અંતિમ નિર્ણય પર ટકેલી છે કે આખરે કેરળનો આગામી મુખ્યમંત્રી કોણ બનશે.

Most Popular

To Top