National

આણંદમાં ઘરકંકાસથી કંટાળી યુવકે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

આણંદ : આણંદ શહેરમાં નાસ્તાની લારી ચલાવી જીવન ગુજારતા યુવકે ગુરૂવારના રોજ પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે શહેર પોલીસે તપાસ કરતાં ઘરકંકાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે. આણંદ શહેરની સીપી પટેલ કોલેજ પાસે રહેતા જીતેન્દ્ર વિનોદભાઈ પ્રજાપતિ (ઉ.વ. 45) નાસ્તાની લારી ચલાવી જીવન ગુજારતાં હતાં.

તેમને છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ રહેતો હતો. પત્ની – પુત્રો સાથે ના મોટા ઝઘડા થતાં રહેતાં હતાં. દરમિયાનમાં જીતેન્દ્રભાઈએ ગુરૂવારના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં શહેર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ઘટના સ્થળે સ્યુસાઇટ નોટ મળી હતી. જેમાં તેણે જાતે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, તપાસ દરમિયાન ઘરકંકાસનો મુદ્દો જણાતાં પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top