Comments

ઊંચા ઔદ્યોગિક વિકાસથી ગરીબોની સ્થિતિમાં ફરક આવે ખરો?

સંયુક્ત રાષ્ટ્રવિકાસ સંસ્થા દર વર્ષ માનવવિકાસ અંગેનો અહેવાલ બહાર પાડે છે. આ અહેવાલમાં વિશ્વના દેશોનો માત્ર આર્થિક નહીં પણ સામાજિક રીતે કેટલો વિકાસ થયો છે તે માપીને વિકાસક્રમ નક્કી કરવામાં આવે છે. માનવવિકાસ અંગે UNDP તાજેતરના અહેવાલ અનુસાર ભારતની સ્થિતિ  ચિંતાજનક દર્શાવવામાં આવી છે. અહેવાલમાં ભારતમાં ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે મેળવેલી પ્રગતિની નોંધ લેવાઈ છે. પણ સાથે સાથે એમ પણ જણાવાયું છે કે ગરીબીનું પ્રમાણ વધ્યું છે. વિશ્વ બેંક જગતના લોકો માટે ન્યૂનતમ જીવનધોરણ રેખા નક્કી કરી છે. તે અનુસાર ભારતમાં એક વ્યક્તિની રોજની આવક વધી છે. આમ છતાં માનવવિકાસની દષ્ટિએ દુનિયાના ૧૮૦ જેટલા ગરીબ દેશોમાં ભારતનું સ્થાન ૯૭ મું છે.

પૂર્વ એશિયામાં ઘણા દેશોની માથાદીઠ આવક લૅટિન અમેરિકાના દેશોની માથાદીઠ આવક કરતાં ઓછી છે. તેમ છતાં પણ તેઓ માનવવિકાસની બાબતમાં આગળ છે. UNDPના મતે માનવ સમુદાયનો વિકાસ એટલે માત્ર આર્થિક ઉપાર્જન નહીં પરંતુ વ્યક્તિની સામાજિક સ્વતંત્રતા, શિક્ષણનું સ્તર, આરોગ્યની સ્થિતિ વગેરે બાબતે વિકાસ પણ થવો જોઈએ. અહેવાલ નોંધે છે કે છેલ્લા એક દસકામાં ભારતનાં લોકોની માથાદીઠ આવકમાં સુધારો થયો છે. પરંતુ માનવવિકાસમાં જે બાબતોનો સમાવેશ કરાય છે એમાં પાછળ છે. નોંધપાત્ર બાબત એ છે કે સરકારે મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા પ્રયત્ન કર્યો છે. પરંતુ છેવાડે રહી ગયેલાં લોકોને લઘુતમ ગણી શકાય એટલી સામાજિક અને આર્થિક સલામતી પૂરી પાડી નથી. મહિલાઓના વિકાસ અને આરોગ્ય માટે પૂરતાં પગલાં લેવાયાં નથી; ભારત પાસે જે માનવશક્તિ છે, તેનો પૂરતો ઉપયોગ વિકાસમાં જોતરાયો નથી.

૨૧મી સદીના પ્રારંભ સાથે દેશ અનાજમાં મહદંશે સ્વાવલંબી બન્યો છે. ૨૦૨૦-૨૦૨૧ માં દેશમાં અન્નનું ઉત્પાદન ૪૮.૮૭ કરોડ ટન થયાનો અંદાજ છે. આ એક વિક્રમ છે. ઘઉંનું ૧૭.૮૭ કરોડ ટન જેટલું વિક્રમી ઉત્પાદન મળ્યું છે. આમ છતાં દેશમાં પાંચ વર્ષથી ઓછી વયનાં ૪૩ ટકા બાળકો કુપોષણથી પીડાય છે અને દર વર્ષ ૨૦ લાખ શિશુઓનાં મૃત્યુ સગર્ભા માતાઓની પૂરતી સંભાળના અભાવે થાય છે. અહીં પ્રશ્ન પુરવઠાનો નથી પણ પુરવઠાની યોગ્ય વહેંચણીનો છે.

ઉદારીકરણ બાદ નવી આર્થિક નીતિમાં એમ ધારવામાં આવેલ કે અન્ન પુરવઠાની વહેંચણી બજાર કરશે. એમ પણ સમજવામાં આવેલ કે ખાનગીકરણને પ્રોત્સાહિત કરી રાજ્યોએ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાઓની જવાબદારીઓમાંથી ખસી જવું અને રાજ્યનું ખર્ચ ઘટાડવું. પરંતુ નવી આર્થિક નીતિ છતાં સરકારની રાજકોષીય ખાધ ઘટાડવામાં સફળતા મળી નથી કારણ પગાર વધારાનો બોજો વધતો જાય છે. સરકારી કાર્યક્રમોની ઉજવણી-પ્રચાર અને પક્ષને મજબૂત કરવામાં રાજકોષીય વિત્ત ખર્ચાય છે. માનવવિકાસ અહેવાલ ભારે નારાજગીથી નોંધે છે કે ‘’રાજ્યની ઓછી દરમિયાનગીરીને નામે ગરીબોના જીવનને સ્પર્શતાં ક્ષેત્રોમાંથી રાજ્યની જવાબદારી ઘટાડવામાં આવી રહી છે અને વહેંચણીની ખરાબ વ્યવસ્થા ગરીબોની સંખ્યામાં ઉમેરો કરે છે.’’

અહેવાલ નોંધે છે કે ‘ભારતમાં સામાજિક, આર્થિક અને રાજકીય તકોની સમાન વહેંચણી થતી નથી.’’ રાજકોષીય ખાધ ઘટાડવાની ઉતાવળમાં ભારત સરકાર જવાબદારીઓમાંથી છટકી રહી છે. એશિયાના ઘણા દેશો ભારતના મોડલને અનુસર્યા નથી અને કદાચ તેથી જ માનવવિકાસની બાબતમાં તેઓ ભારતથી આગળ છે. શિક્ષણ આર્થિક વિકાસ માટેનું શ્રેષ્ઠ રોકાણ છે. રાજકીય મેનીફેસ્ટ્રોમાં  ગરીબી દૂર કરવાનું ધ્યેય અગ્રતા ક્રમે રાખવામાં આવે છે. એનાથી આશા ટકી રહી છે. પણ સરકાર પ્રતિબદ્ધ નહીં હોય, તો આવી અનેક યોજનાઓ આવશે તો પણ ગરીબી દૂર નહીં થાય. અહેવાલ દર્શાવે છે કે આંધ્રપ્રદેશ, હરિયાણા, કેરળ અને પંજાબ રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં ગરીબીમાં ૩૮% જેટલો ઘટાડો કરી શકાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યો આમાં દેખાતા નથી!

અહેવાલ નોંધે છે કે એકલા ઔદ્યોગિક વિકાસથી ગરીબી આપોઆપ દૂર થઈ જશે એમ માની લેવું વધારે પડતું છે. માત્ર બજાર ગરીબોને ઊંચા લાવશે એમ માની શકાય નહીં. આ ચાર રાજ્યોમાં રાજ્ય સરકારોની સક્રિય દરમિયાનગીરીથી ગરીબી ઘટી છે. આંધ્રપ્રદેશમાં બે રૂપિયે કિલો ચોખાની યોજનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કેરળમાં શિક્ષણના ઊંચા પ્રમાણે, તો પંજાબ હરિયાણામાં કૃષિ અને પાણીના યોગ્ય સંયોજને રોજગારીની તકો વધારી છે. આ સ્થિતિમાં ભારતના પુનઃનિર્માણની વિશાળ કલ્પના સાકાર કરવા માટે છેવાડાનાં ગરીબો સુધી અનાજ પહોંચે. તેઓને કામ મળે, આવાસ અને પાણી મળે અને તેઓ પ્રાથમિક સુવિધાઓથી લાભાન્વિત થાય તે જોવું પડશે. ૨૦૨૦થી ૨૦૨૧ દરમ્યાન સાક્ષરતાનો દર બમણો થાય છે, પણ હજી એ દેશની ૩૮% પ્રજા નિરક્ષર છે. બાળકો પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શાળા છોડી દે છે.

આ હકીકતો શરમજનક છે. ઉદારીકરણના નામે ગરીબોને બજારની દયા પર છોડી શકાય નહીં, કારણ બજારમાં તો એ જ ફાવે છે જેની પાસે મૂડી છે, જોખમ લેવાની શક્તિ છે. આર્થિક ઉદારીકરણ બાદ માનવવિકાસની પ્રક્રિયા વેગીલી બનશે તેવી તાર્કિક દલીલ કરવામાં આવતી, પરંતુ વાસ્તવિક રીતે આ જોવા મળ્યું નથી. બીજી તરફ ચીનમાં થઈ રહેલા ઝડપી આર્થિક વિકાસ બાબતે કહી શકાય કે ચીનની આશ્ચર્યજનક પ્રગતિનું કારણ ચીન દેશે વિદેશી નિષ્ણાતોની મદદ વિના પોતાની પ્રકૃતિ અને આવશ્યક્તાને અનુરૂપ આર્થિક નીતિ ઘડી અને અમલી બનાવી છે.

ભારતમાં આવું શા- માટે નથી કરી શકાતું? ભારત પોતાના નિજી સાંસ્કૃતિક પરિવેશમાં રહી આર્થિક પ્રગતિનો માર્ગ નહીં કંડારે તો વિશ્વ ગુરુ બનવાનો ખ્યાલ તો રગદોળાશે પણ દેશની ૧૪૦ અબજની વસ્તીમાં ૪૦ ટકાથી વધુ સમુદાય ગરીબીની રેખા નીચે ખેંચાઈ જશે. વિકાસ એટલે માત્ર આધુનિકીકરણ નહીં. નર્યો ઉપભોકતાવાદ નહીં, દેશની ૮૦% સંપત્તિ માત્ર ૧૫% લોકોની મુઠ્ઠીમાં રહે તેવું પણ નહીં. માનવવિકાસ એટલે આજથી ૧૦૨ વર્ષ પહેલાં મોહનદાસ ગાંધીએ હિંદ સ્વરાજમાં દર્શાવ્યું છે તે અંત્યોદય. UNDPએ પણ ગાંધીના હિંદ સ્વરાજના એકમને પ્રમાણભૂત કર્યાં છે ત્યારે હવે સજાગ બનવાનો સમય પાકી ગયો છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top