Comments

નદી-નાળા જોડી દઈએ અને વરસાદનું પાણી દરિયામાં વહેતું અટકાવીયે

4 જુલાઇ, 2019 એ ગુજરાતમાં વરસાદ નહોતો, તો પણ વિના વરસાદે નર્મદાબંધ બીજીવાર છલકાયો. મધ્યપ્રદેશમાં સારા વરસાદના લીધે 2,07,195 કયૂસેક પાણીની આવક થઈ. પરંતુ આજ નર્મદાબંધ બંધાયો તે પહેલા ચોમાસાની સીઝનમાં અનેક વખત રાજપીપળા-ભરૂચ અને વડોદરા જિલ્લાનાં ગામડાંઓ પૂર પ્રકોપ તો વેઠતાં જ પણ પ્રતિ સેકંડ 70 લાખ લીટર મીઠું પાણી દરિયામાં વહી જતું. વર્ષ 2000 સુધી ગુજરાત રાજયમાં એવી સ્થિતિ હતી કે, શ્રાવણ અને ભાદ્રપદ ઉતરી જાય અને બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર જેવા માટીના છીછરા દળ ધરાવતાં જિલ્લાઓમાં 42%થી ઓછો વરસાદ થાય એટલે માલધારીઓ ઉંટ, બકરા, ઘેંટા, ગાય-ભેંસ સાથે સહ પરિવાર દક્ષિણ ગુજરાતનાં નહેર કાંઠાના વિસ્તારોમાં પ્રયાણ આદરે! એટલું જ નહીં, પણ રાજય સરકારે પ્રતિવર્ષ ર્ 153 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરી ભાલ-નળકાંઠાનાં વિસ્તારોમાં ટેંકરથી, તો મધ્ય સૌરાષ્ટ્રનાં અમરેલી, રાજકોટ અને ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં ભૂતળમાંથી પાણી ઉલેચવા ખેડૂતોને વધારાની વીજળી અને રાહતદરે પાઈપલાઇનની સુવિધા આપવી પડતી. આમ છતાં, દુષ્કાળજન્ય સ્થિતિમાં રાહત રહેતી પણ 800 થી 1200 ફૂટ ઊંડાઇવાળું પાણી પીનાર 1.5 કરોડથી વધુ ગુજરાતીઓ Fluorosisની રોગજન્ય સ્થિતિમાં કાયમી રીતે મૂકાય જતાં.

દેશભરમાં બદલાતી ભૌગોલિક સંરચનાના લીધે હવે સ્થાનિક વરસાદી સ્થિતિનો લાભ નહીવત્ રહયાનું જોવા મળે છે. વૈશ્વિક પર્યાવરણ, હવાનું દબાણ, ભેજ સ્થળાંતરને આધારે જે વરસાદી લાભ મળવાનો હોય તે મળે છે. ચોમાસા દરમિયાન માત્ર 95 થી 98 ક્લાકનો વરસાદ મળે છે. પરંતુ પાણીનો ઉપયોગ તો બાકીના 8760 ક્લાક કરવાનો હોય જ છે!!! એ સમયે ગુજરાતનાં 5505 ગામોમાં પીવાના પાણીની તંગી વારંવાર સર્જાતી આથી રાજકીય લાભા-લાભને બાજુ પર રાખી નર્મદા બંધ બાંધવા સમગ્ર રાજયે પ્રજામત કેળવ્યો, તે આજે નર્મદા યોજના સાથે જોડાએલ હાઇડ્રો પાવર સ્ટેશનમાં ડેમના તળિયાના પાણીને બાયપાસ કૅનાલથી બહાર કાઢવા પ્રાવધાન રાખ્યું છે. આ માટે સી.એચ.પી.એચ. ના બાજુના ડુંગરમાંથી 90 મીટરના સીલ લેવલે ટનલ તૈયાર કરવામાં આવી છે. જેથી બંધની ઊંચાઇ વધાર્યા સિવાય બાયપાસ ટનલ દ્વારા 15,000 ક્યૂસેક પાણીનો જથ્થો ગુજરાતની હદમાં આવેલ ડાયટ 1 અને 3 માં નાખી શકાય અને કૅનાલ દ્વારા પ્રથમ 50,000 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈ આપી શકાય તેવી સુવિધા થઇ છે.

પૃથ્વી ઉપર કાર્બન ડાયોકસાઈડનાં વધતા દબાણની સ્થિતિનાં કારણે જાપાન સહિત વિશ્વના 80 દેશોમાં પાણી એક પ્રશ્ન બની ચૂક્યું છે. અમેરીકી અને જર્મન પ્રજા એક દિવસમાં સરેરાશ 700 લીટર પાણી વાપરે છે ત્યાં એક ગુજરાતીનાં ભાગે 42 થી 50 લીટર પાણી આવે છે. બીજી તરફ યુરોપ અને ચીન સહિત ત્રીજી શક્તિ ધરાવતાં દેશોએ પોતાની જરૂરિયાત માટેના પાણીની વ્યવસ્થા પૂર્ણ કરી છે ત્યારે દેશવાસીઓ ગંગા, યમુના, ગોદાવરી, બ્રહ્મપુત્રા જેવા મહાકાઇ જળસ્ત્રોત વચ્ચે અ-વિકસિત સ્થિતિમાં પડી રહ્યાં છે. પાણી એ ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે અને સજીવોના અસ્તિત્વનો આધાર છે. પાણી ઉપર કોઇ એકનો માલિકી અધિકાર સ્થાપિત કરવો તે સામાજિક અવિવેક જણાય છે. ત્યારે પાણીનો સંગ્રહ, વિતરણ અને વિવેકપૂર્ણ ઉપયોગને વિજ્ઞાન અને તકનિકના હવાલે કરીએ અને તમામ પ્રકારની સ્વાર્થ નીતિથી પર રહી સમયની માગને ધર્મ બનાવીએ.

આવા જ કઇ વ્યાપક દ્રષ્ટિકોણથી વર્ષ 1980માં ભારતનાં જળ-સંશાધન મંત્રાલયે ભારતની હિમાલય ભાગની 14 નદીઓ તથા નર્મદા, દમણગંગા, કૃષ્ણા પ્રકારે ભૂસ્તરના વરસાદી પ્રભાવથી બનતી અને વહેતી 17 નદીઓ જોડવા અંગે પ્રાથમિક દસ્તાવેજ તૈયાર કર્યા. તે પછી 23 વર્ષ બાદ યોજનાકીય ખર્ચ અને આવરી લેનાર વિસ્તારની વિગતો સંકલિત થતા વર્ષ 2003માં સંબંધિત 18 રાજયો સાથે મુસદ્દાની ચર્ચા કરવામાં આવી.

પંડિત જવાહરલાલ નહેરૂના મુખ્યમંત્રીપણા હેઠળ 1956માં તત્કાલિન સિંચાઈ મંત્રી શ્રી કે.એલ. રાવ. નું સ્વપ્ન સ્વતંત્ર ભારતના સંધિય રાજયોના નિજી સ્વાર્થના લીધે 47 વર્ષ સુધી ફાઇલોમાં અટવાતું રહ્યું જેના ઉપર કાર્ય કરવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ અને નીતિ આયોગની ઈચ્છા હોવા છતાં ત્રાવણકોરના ડુબ ક્ષેત્રનો મુદ્દો લઇ કેરલ રાજયે રીવર ગ્રીડ અંગે નારાજગી દર્શાવી છે. ગંગાના છેવાડાના પટ્ટીય વિસ્તારનાં ધોવાણ પ્રશ્નને આગળ કરી બ્રહ્મપુત્રા-ગંગાના જોડાણનો વિરોધ પશ્ચિમ બંગાળે કર્યો છે. તો મહારાષ્ટ્રે કૃષ્ણા નદી સાથે પશ્ચિમી ઘાટની નદીઓને અવૈજ્ઞાનિક કહી NWDT નો ઉધડો લઇ નાખ્યો છે. તેમ બિહારથી લાલુ પ્રસાદે ઘોષણા કરી છે કે, નદી જોડશો તેા તેમાં પાણી નહીં અમારું લોહી વહેશે!

આવી સંકુચિત રાજકીય લાભા-લાભની દૃષ્ટિ છતાં પણ નર્મદા બંધના સુ: ખદ અનુભવને દહોરાવતા દમણગંગા, તાપી, વિશ્વામિત્રી, ઓરસંગ, ઢાઢર, નર્મદા સહિતની દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી મુખ્ય 11 નદીઓને જોડવા ગુજરાત રાજયે ડહાપણ દર્શાવવું જોઇએ. ગુજરાતની ભૌગોલિક સં–રચનાનો લાભ લેતા દક્ષિણ ગુજરાતની નદીઓને જોડી ખંભાતના અખાતમાં નંખાતા ગુજરાતના મધ્યભાગે મીઠા પાણીનું વિશાળ કદ સરોવર તૈયાર કરવા પૂરતી સંભાવનાઓ છે જ.

75 વર્ષની વયે પહોંચેલ ભારતની લોકશાહી વધતી વસ્તી, નિરક્ષરતા, બેરોજગારી અને ગરીબીનાં દબાણવશે આજે પણ જળ સંસાધન હોવા છતાં પણ કુપ-મંડુપણમાં સમય પસાર છે. ‘જળ છે તો જીવન છે.’ આ વિચારથી આગળ Water Is Wealth તરીકે પ્રાસ્થાપિત થયું છે ત્યારે વ્યાપારી બુદ્ધિધન ધરાવતા ગુજરાતીઓએ નદી જોડવાની પ્રક્રિમાં અગ્રેસર રહેવા જેવું છે. રાજય સરકારે પ્રજા પાસે વિશાળ હેતુની વાત મુકવા જેવી છે. તેમ ભારત સરકારે પણ દેશની લોકશાહી તાસીરને જોતા નદી જોડની યોજના પ્રદેશલક્ષી બનાવી ગુજરાતને પ્રોત્સાહિત કરી એક રાજયની ખેતીને 100% સિંચાઇ સુવિધા આપવી જોઇએ.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top