National

પુરીમાં કોંગ્રેસના ઉમેદવાર પર કાચની બોટલો, ઈંટો અને પથ્થરોથી હુમલો, FIR દાખલ

ઓડિશા: ઓડિશાની પુરી (Puri) વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર (Congress candidate) ઉમા બલ્લવ રથ (Uma Ballav Rath) પર રવિવારે અજાણ્યા માથાભારે લોકોએ હુમલો (Attack) કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. તેમજ અજાણ્યા હુમલાખોરોના હુમલાથી કોંગ્રેસના ઉમેદવાર ઉમા બલ્લવ રથ ઘાયલ થયા હતા.

પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ હુમલામાં ઉમા બલ્લવ રથના માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. તેમજ આ મામલે તેમણે કુંભારપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ બસ સ્ટેન્ડ પાસે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે અચાનક અજાણ્યા બદમાશોએ તેના પર ઈંટો અને કાચની બોટલોથી હુમલો કર્યો, પરંતુ સ્થાનિક રહેવાસીઓએ સમયસૂચકતા દાખવી તેમને બચાવી લીધા હતા.

પૂર્વ ધારાસભ્ય અને પુરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઉમા બલ્લવ રથે પત્રકારો સાથે વાત કરતા આ ઘટનાની માહિતી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “જ્યારે હું બસ સ્ટેન્ડ પાસે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે અચાનક મારા પર કેટલાક અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો.’’ આ સાથે જ તેમને આશંકા છે કે ઉમા બલ્લવ રથને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા હોવાથી આ હુમલો કરાયો હતો.

અગાવ કોંગ્રેસ પાર્ટીએ શરૂઆતમાં આ સીટ માટે સુજીત મહાપાત્રાને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા અને ઉમા બલ્લવ રથને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસો પહેલા કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે આ પછી કોંગ્રેસે ઉતાવળે જય નારાયણ પટનાયકને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

સુચરિતા મોહંતીએ કોંગ્રેસને ટિકિટ પાછી આપી હતી તેમજ પોતાના આ નિર્ણયનું કારણ જણાવતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. જો કે, એક સત્તાવાર નિવેદન જારી કરતી વખતે, કોંગ્રેસે કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જય નારાયણ પટનાયકની સુચરિતા મોહંતીના સ્થાને લોકસભા ચૂંટણી માટે પુરી સંસદીય મતવિસ્તારમાંથી પાર્ટીના ઉમેદવાર તરીકેની ઉમેદવારી મંજૂર કરી છે.

Most Popular

To Top