Comments

નવી સંસદ સમક્ષના પડકારો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 28મી મેએ નવા સંસદભવનનું ઉદ્‌ઘાટન કર્યું અને ભારતની સંસદીય લોકશાહીમાં નવા પ્રકરણનો પ્રારંભ થયો. સંસ્થાનકાળ સમયના જૂનાં 96 વર્ષનું સંસદભવન ઘણા યાદગાર પ્રસંગોનું સાક્ષી બન્યું. તેમાં બંધારણનો મુસદ્દો ઘડાયો, સ્વતંત્ર ભારતની પહેલી સરકાર અસ્તિત્વમાં આવી અને ગઠબંધન સરકારનાં ઘણાં વડા પ્રધાનો આ જ ભવનમાં શાસન કરવા આવ્યા હતા. સગવડની દૃષ્ટિએ જુઓ તો નવું સંસદભવન 1927માં ખુલ્લા મુકાયેલા જૂના સંસદભવન કરતાં વધુ સગવડ ધરાવે છે. જુલાઇમાં પ્રથમ સત્ર માટે તે સાથે નવી સંસદને ઘણા ઘણા પડકારોનો સામનો કરવો પડશે અને તેમાં શરૂઆત તો ઉદ્‌ઘાટન સમારંભનો 21 વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો ત્યારથી શાસક અને વિરોધ પક્ષો વચ્ચે વધતી ખાઇ પહેલો પડકાર છે.

છેલ્લાં બે વર્ષમાં મોદી અને વિરોધ પક્ષો વચ્ચેના સંબંધો એટલા કથળ્યા છે કે બંને પક્ષો વચ્ચે પરસ્પર વિશ્વાસ જ નથી રહ્યો. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીથી સરકાર માને છે કે તેને લોકશાહી માર્ગે મળેલા જનાદેશનો અનાદર થાય છે. બીજી તરફ વિરોધ પક્ષ એટલા માટે વ્યથિત છે કે સરકાર લાંબી સંસદીય પ્રક્રિયા વગર સંખ્યાકીય બહુમતીના જોરે ખરડા પસાર કરાવ્યે જાય છે. ભ્રષ્ટાચાર અને નાણાંના કાળાં ધોળા કરવાના આરોપસર વિરોધ પક્ષોના કેટલાક નેતાઓ સામે કેન્દ્ર સરકાર જે પગલાં લે છે તેનાથી ય તેઓ નારાજ છે. આથી સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે મતભેદ વધતા જાય છે. આ ઉપરાંત લોકસભાની હવે પછીની ચૂંટણી આવતા એપ્રિલ-મેમાં આવશે. સંસદની કાર્યવાહી સુચારુ રૂપે ચાલે તે માટે પોતે સમાધાનના મિજાજમાં છે એવું બેમાંથી કોઇ પક્ષ બતાવવા માંગતો નથી. આ મડાગાંઠ તોડવા બંને પક્ષોએ રસ્તો કાઢવો પડશે અને એકમેકને સુમેળ દાખવવો પડશે જેથી સંસદની કાર્યાવાહી આગળ ચાલે.

બીજી જરૂર એ છે કે રાજકારણને લીધે સંસદીય પ્રક્રિયા અટકવી નહીં જોઇએ. સંસદનું પ્રાથમિક કામ છે સરકારે રજૂ કરેલા ખરડાની ચકાસણી કરવાનું. ઘણી વાર હો હા અને ધમાલને કારણે ખરડાઓની ચકાસણી કરવાનો સમય જ નથી મળતો. વિરોધ પક્ષોનો અવાજ હોવો જ જોઇએ અને સરકારને ખરડો પસાર કરવા દેવો જોઇએ એવી કહેવતનું શબ્દો અને ભાવનામાં પાલન નથી થતું. આગામી વર્ષોમાં બીજો વધુ મોટો પડકાર સંસદીય બેઠકોનું નવું સીમાંકન કરવાનો અને સંભવત: બેઠકોની સંખ્યા વધારવાનો છે. અત્યારના કાયદા પ્રમાણે 2026ના વર્ષ પછી પહેલી વસ્તી ગણતરી કર્યા પછી નવું સીમાંકન હાથ ધરવામાં આવશે. મોદીએ તેમના ઉદ્‌ઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે એક દિવસ એવો આવશે કે નવી સંસદમાં બેસનારા સભ્યોની સંખ્યામાં વધારો થશે.

ભારતની લોકસભાની બેઠકનું રાજયવાર પુનર્વિતરણ કરવામાં આવે તો ઉત્તરનાં રાજયોને દક્ષિણનાં રાજયોના ભોગે 32 બેઠકો વધુ મળે. દક્ષિણનાં રાજયોને 24 બેઠકો ઓછી મળે. દક્ષિણનાં રાજયોને ચિંતા છે કે વસ્તીના આધારે પ્રતિનિધિત્વ નક્કી થાય તો કેટલાક પ્રદેશોને કેન્દ્રમાંથી પૈસા મળવાના બંધ થાય. 2031ને બદલે 2036ની વસ્તી ગણતરી કરવામાં આવે તો એકલા બિહાર અને ઉત્તરપ્રદેશને કુલ 21 બેઠક મળે અને તામિલનાડ અને કેરળને 21 બેઠકોની ઘટ પડે.
એક અભ્યાસમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે વસ્તીના આંકડા પ્રમાણે લોકસભાની બેઠકની સંખ્યા વધે તો તે વધીને 848 થાય. ઉત્તરપ્રદેશની અત્યારની બેઠક સંખ્યા 80 છે તે 143 થાય અને કેરળની બેઠક સંખ્યા વીસ જ રહે જે અત્યારે છે. બંધારણમાં જોગવાઇ છે કે દરેક રાજયને લોકસભાની બેઠકની ફાળવણી તેની વસ્તી પ્રમાણે થાય. દરેક વસ્તી ગણતરી પછી લોકસભાની અને વિધાનસભાની બેઠક સંખ્યામાં વધઘટ થઇ શકે.

આમ છતાં 1976માં ઇંદિરા ગાંધી સરકાર અને પછી વાજપેયીની સરકારે 2002માં એક પછી એક લીધેલા નિર્ણયને કારણે બેઠક સીમાંકનનો વ્યાયામ છેલ્લે 1971ની વસ્તી ગણતરીના આધારે થયો હતો. બંધારણના 845 (સુધારા) ધારા 2002 પ્રમાણે 2026 પછીની પહેલી વસ્તી ગણતરી ન થાય ત્યાં સુધી બેઠકોની પુનર્વ્યવસ્થા કરવાની મનાઇ છે. કોઇ પણ રાજયને અત્યારે જેટલી બેઠક છે તેમાં ઘટાડો ન થાય તે માટે સંસદમાં બેઠક વધારવાનો ઉપાય થઇ શકે. કેન્દ્ર સરકાર આ દરખાસ્તની ઉપર પણ વિચારણા કરતી હોઇ શકે. નવી લોકસભાના ઘડવૈયાઓએ ગૃહની બેઠક 888 બેઠક કરવાનો નિર્ધાર કર્યો છે. આથી 1956માં ભાષાકીય ધોરણે રાજયોની પનુર્રચના થઇ ત્યારથી નવેસરની ચર્ચા સંસદ હાથ ધરી શકે.આ પડકારો મંત્રણાથી ઉકેલી શકાય. 2024માં લોકસભાની નવી ચૂંટણી થાય ત્યાર પછી આવી મંત્રણા શકય બને.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top