National

સરકારી કર્મચારીઓએ હવે ‘હેલો’ નહીં ‘વંદે માતરમ’ કહેવું પડશે, મહારાષ્ટ્ર સરકારનો આદેશ

મહારાષ્ટ્ર: જ્યારથી મહારાષ્ટ્રમાં (Maharastra) શિંદે સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભાજપ (BJP) અને શિંદેની શિવસેના તેમની હિંદુ વોટ બેંકને આવરી લેવા માટે સાથે મળીને કામ કરી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે નવો સરકારી ઠરાવ બહાર પાડ્યો છે. શનિવારે જારી કરાયેલા આ ઠરાવ મુજબ હવે સરકારી કર્મચારીઓએ ફોન (Call) પર ‘હેલો’ને બદલે ‘વંદે માતરમ’ બોલવું પડશે. આ નિયમ ગાંધી જયંતિ એટલે કે આજથી લાગુ થશે. મહારાષ્ટ્ર સરકારે શનિવારે જારી કરેલા એક સરકારી ઠરાવમાં જણાવ્યું હતું કે સરકારી અને સરકારી ભંડોળવાળી સંસ્થાઓમાં કામ કરતા તમામ કર્મચારીઓ ફોન કૉલ લેતી વખતે ‘હેલો’ને બદલે ‘વંદે માતરમ’નો ઉપયોગ કરશે.

મહારાષ્ટ્રના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા એક સરકારી ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ તેમની મુલાકાત લેતા લોકોમાં વંદે માતરમનો અભિવાદન તરીકે ઉપયોગ કરવા માટે જાગૃતિ પણ લાવવી જોઈએ. આ દેશની નકલ તમામ વિભાગોને મોકલી દેવામાં આવી છે. તેમજ આ નિયમ આજથી એટલે કે 2જી ઓકટોબરથી જ લાગુ પાડવામાં આવશે.

AIMIMએ સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે
આ આદેશ બાદ AIMIMએ સવાલો ઉભા કર્યા છે. સરકાર પર નિશાન સાધતા AIMIM નેતા વારિસ પઠાણે કહ્યું કે આ બધું માત્ર બેરોજગારી, મોંઘવારીથી ધ્યાન હટાવવાનું નાટક છે. વારિસ પઠાણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે જો કોઈ તેમની સાથે બેરોજગારી, મોંઘવારી પર વાત કરશે તો તેઓ ચિતા કરતા પણ ઝડપથી ભાગી જશે. પઠાણે સવાલ પૂછ્યો કે જો કોઈ વંદે માતરમ ના બોલે તો શું કરે? તેમની સામે કેસ દાખલ કરશે કે તેમને ફાંસી આપશે, આ પણ ભાજપને જણાવવું પડશે.

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુંગટીવાર આ મામલે પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. તેમણે પહેલેથી જ કહ્યું હતું કે ‘આપણે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ’. આપણે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. એટલા માટે મારે કહેવું છે કે સરકારી વિભાગના લોકોએ ફોન પર ‘વંદે માતરમ’ બોલવું જોઈએ.

Most Popular

To Top