National

‘કરોગે યાદ તો…’ ગઝલના ગાયક ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે અવસાન

મુંબઈ: કરોગે યાદ તો હર બાત યાદ આયેગી સુહાને સફર કી હર મોજ ઠહેર જાયેગી, તલાશ કરોગે જો હમસે બેહતર દોસ્તો કોઈ, તો નીગાહે દૂર તક જાકે લોટ આયેગી આજે આ શાયરીના ગાયક ભૂપિન્દર સિંહે દુનિયાને અલવિદા કહી દીધું છે.બોલિવૂડના (Bollywood) પ્રખ્યાત ગાયક (Singer) ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર તેમની પત્ની (Wife) અને ગાયિકા મિતાલી સિંહે આપ્યા છે. તેઓએ જણાવ્યું કે સોમવાર 18 જુલાઈની સાંજે ભૂપિન્દર સિંહે મુંબઈમાં (Mumbai) અંતિમ શ્વાસ લીધા હતા. ભૂપિન્દરની વિદાય બાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં (Music Industry) શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓની પત્ની મિતાલીએ એક ઈન્ટરવ્યુમાં (Interview) જણાવ્યું હતું કે ‘તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. હાલ ભૂપિન્દર સિંહના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કરોગે યાદ તો હર બાત યાદ આયેગી ભૂપિન્દરના મૃત્યુના સમાચારથી તેમના ચાહકોમાં પણ નિરાશા છવાઈ ગઈ છે.

ક્રિટિકેયર એશિયા હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.દીપક નાનજોશીએ કહ્યું કે ભૂપિન્દર સિંહને 10 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. આ દરમિયાન તેમને કોરોના પણ થઈ ગયો હતો. સોમવારે સવારે તેમની તબિયત લથડી હતી અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો હતો અને સાંજે 7:45 વાગે તેમનું અવસાન થયું હતું.

ભૂપિન્દર સિંહે મોસમ, સત્તે પે સત્તા, આહિસ્તા આહિસ્તા, દૂરિયન અને હકીકત સાથે ઘણી ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. તેમના પ્રસિદ્ધ ગીતોમાં ‘મેરા રંગ દે બસંતી ચોલા’, ‘પ્યાર હમે કિસ મોડ પે લે આયા’, ‘હુઝૂર ઇસ કદર’, ‘એક અકેલા ઇસ શહર મેં’, ‘ઝિંદગી મિલકે બિતાયેંગે’, ‘બીતી ના બિતાયે રૈના’, ‘નામ ગુમ જાયેગા’નો સમાવેશ થાય છે. ભૂપિન્દર સિંહ બોલિવૂડના પ્લેબેક સિંગરની સાથે સાથે ગઝલ ગાયક પણ હતા. તેમનો જન્મ 6 ફેબ્રુઆરી 1940ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા પ્રોફેસર નાથ સિંહજી પ્રશિક્ષિત ગાયક હતા. તેમના પિતા ખૂબ કડક શિક્ષક હતા. પ્રશિક્ષિત ગાયકના પુત્ર ભૂપિન્દર સિંહ એક સમયે સંગીત અને વાદ્યોને નફરત કરતા હતા.

ભૂપિન્દર સિંહ પોતાની કારકિર્દીની શરૂઆતમાં દિલ્હીના ઓલ ઈન્ડિયા રેડિયોમાં પરફોર્મ કરતા હતા. તેઓ ગિટાર અને વાયોલિન વગાડતા પણ શીખ્યા હતા. 1962માં સંગીત નિર્દેશક મદન મોહને ભૂપિન્દરને AIR નિર્માતા સતીશ ભાટિયાની ડિનર પાર્ટીમાં ગાતા સાંભળ્યા હતા. આ પછી તેમણે ભૂપિન્દરને મુંબઈ બોલાવી મોહમ્મદ રફી, તલત મેહમૂદ અને મન્ના ડે સાથે ‘હોકે મજબૂર ઉને મુઝે બુલાય હોગા’ ગીત ગાવાની તક આપી. ફિલ્મના આ ગીતને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. 1980 ના દાયકામાં ભૂપિન્દર સિંહે મિતાલી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. મિતાલી બાંગ્લાદેશની ગાયિકા છે. આ દંપતીએ એકસાથે ઘણી ગઝલો સાથે લાઈવ પરફોર્મન્સ આપ્યું. તેઓનો એક પુત્ર છે, જેનું નામ નિહાલ સિંહ છે. નિહાલ પણ એક સંગીતકાર પણ છે.

Most Popular

To Top