Dakshin Gujarat

ભરૂચ કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ રાજ 16 ગામના 300થી વધુ આગેવાન ભાજપમાં જોડાયા

ભરૂચ: વાગરાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા (Bharuch District) ભાજપનું (BJP) જન સંમેલન (Public convention) યોજાયું હતું, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દૂધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના આગેવાન યુનુસ સરપંચ સહિત ૧૬ ગામના આશરે ૩૦૦થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરિયો ખેસ પહેરાવી ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આવકાર્યા હતા.

ભરૂચના રસ્તા સહિતનાં વિકાસ કાર્યો મુદ્દે કોંગ્રેસ આક્રમક: પાલિકાને તાળાબંધીની ચીમકી
ભરૂચ: ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ તેમજ પાલિકા વિપક્ષના સભ્યો દ્વારા પશ્ચિમ વિસ્તારના રોડ રસ્તા સહિતના વિકાસનાં કામો અંગે પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તો તે દરમિયાન ભાજપ લઘુમતી મોરચા દ્વારા કોંગ્રેસના પાલિકા સભ્યો વિકાસ કાર્યોમાં રોડાં નાંખતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા સહિતનાં વિવિધ વિકાસ કાર્યો ત્રણ ચાર વર્ષથી મંજૂર થયા બાદ પણ થતાં નથી તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ તેમજ પાલિકા વિપક્ષના સભ્યો, કોંગી કાર્યકરોએ નગરપાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી, અને તે અંગે દિન દસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કોંગ્રેસ મુદ્દે તેમની લડાઈ લડવા તૈયાર હોવાનો વળતો પ્રહાર કર્યો હતો
જો કે, કોંગીજનોની આ રજૂઆત દરમિયાન ભાજપ લઘુમતી મોરચાના ઈમરાન બોક્સરે પણ કાર્યકરો સાથે પાલિકા ખાતે પહોંચી તેઓ દ્વારા વોર્ડ નં.1 અને 2ના સાતથી આઠ કામ મૂકવામાં આવ્યાં છે. પણ પાલિકા વિપક્ષના સભ્યો જ તેમાં આડખીલી બની રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, ભાજપ લઘુમતી મોરચાના આ આક્ષેપોને ફગાવી દેતાં પાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે તૈયારી બતાવી કે જો ભાજપના જ લઘુમતી મોરચાના કામ ન થતાં હોય તો કોંગ્રેસ મુદ્દે તેમની લડાઈ લડવા તૈયાર હોવાનો વળતો પ્રહાર કર્યો હતો.


વિપક્ષી સભ્યોની રજૂઆત બાદ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જૂનાં કામો ન થતાં કોન્ટ્રાકટરોને નોટિસ આપવા સાથે બ્લેક લિસ્ટ કરવાની કામગીરી કરી રિટેન્ડરિંગ કરી વહેલી તકે કરી આ કામ પૂર્ણ કરાશે તેવી ખાતરી આપતાં હાલ મામલો સમેટાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં તહેવારો આવતા હોય ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરનાં તમામ વિસ્તારોના અટકેલાં વિકાસ કાર્યો જલદીથી પૂર્ણ કરવામાં નહીં આવે તો વિપક્ષની સાથે જનતા પણ આક્રમક બની આંદોલન છેડે તો નવાઈ નથી.

Most Popular

To Top