Comments

શું પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ કાશ્મીરમાં રણનીતિ બદલી રહ્યા છે?

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદમાં સ્થાનિક લોકોની ભરતીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી પાકિસ્તાન હવે હિંસા ચાલુ રાખવા માટે વિદેશી આતંકવાદીઓ પર વધુ આધાર રાખે છે. 2019થી 2022 સુધીમાં ઓછામાં ઓછા 750 આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા હતા, જેમાંથી 83 ટકા સ્થાનિક કાશ્મીરી યુવાનો હતા. સત્તાવાર આંકડા દર્શાવે છે કે, આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા 46 આતંકવાદીઓમાંથી 37 પાકિસ્તાની હતા, જ્યારે માત્ર નવ સ્થાનિક હતા. 

છેલ્લાં 33 વર્ષના આતંકવાદમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, વિદેશી આતંકવાદીઓનો ખાત્મો સ્થાનિકો કરતાં ચારગણો વધારે છે. જોકે, 2022થી વિદેશી આતંકવાદીઓની હાજરીમાં વધારો થવા લાગ્યો. કારણ કે, તે વર્ષે માર્યા ગયેલા કુલ આતંકવાદીઓમાંથી 43 ટકા વિદેશી હતા. 2019માં 143 સ્થાનિક યુવાનોની તુલનામાં 2022માં ફક્ત 100 કાશ્મીરીઓ આતંકવાદી જૂથોમાં જોડાયા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં સંખ્યા 30થી નીચે છે. એટલા માટે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સેનાના અધિકારીઓ અને એક પોલીસ કર્મચારીનું મોત એક નવા ઊભરતા પડકાર તરફ ઇશારો કરે છે. કર્નલ મનપ્રીત સિંહ અને 19 રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર આશિષ ધોંચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ આતંકવાદીઓ સાથે ભીષણ ગોળીબાર દરમિયાન શહીદ થયા હતા.

આ ઘટનાએ જમ્મુ-કાશ્મીરના પીર પંજાલ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે આતંકવાદી પ્રવૃત્તિઓના નવા ક્ષેત્ર તરીકે ઊભરી રહ્યું હોવાનું જણાય છે. આ વર્ષે જાન્યુઆરી 2021થી 30 મેની વચ્ચે પીર પંજાલ રેન્જની બંને બાજુએ 24 સુરક્ષા કર્મચારીઓ અને 75 નાગરિકો માર્યા ગયા હતા. આ અઠવાડિયે રાજૌરી જિલ્લાના પીર પંજાલની દક્ષિણે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વધુ એક ગોળીબાર થયો હતો. આ વિસ્તાર એકબીજા સાથે જોડાયેલાં જંગલો અને કુદરતી ગુફાઓથી ઘેરાયેલો છે, જે આતંકવાદીઓને આદર્શ ઠેકાણાઓ પ્રદાન કરે છે. આ ઉપરાંત, લગભગ બે દાયકાથી પ્રમાણમાં સારી સુરક્ષા સ્થિતિને કારણે સેનાની હાજરીમાં ઘટાડો થયો હતો, પરંતુ 2020 પછી આતંકવાદીઓ ફરી એકવાર પ્રદેશમાં દેખાવા લાગ્યા.

આના બે તારણો નીકળે છે.
પ્રથમ, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની પરિસ્થિતિમાં મોટા પ્રમાણમાં સુધારો થયો હોવા છતાં – ગયા વર્ષે યુટીની મુલાકાતે આવેલા 1.88 કરોડથી વધુ પ્રવાસીઓ દ્વારા બહાર આવ્યું હતું – પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સતત તેમની રણનીતિ બદલી રહ્યા છે. ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ કહ્યું છે કે, આતંકવાદીઓ પંજાબ અને નેપાળ થઈને જમ્મુ-કાશ્મીરમાં તેમનો રસ્તો શોધી રહ્યા છે.

તેનો અર્થ એ છે કે આપણે પંજાબ બોર્ડર પર આપણી સુરક્ષાની સમીક્ષા કરવાની જરૂર છે અને તે મોરચે સીમા પાર ટ્રાફિકની સ્ક્રીનિંગને સુધારવા માટે નેપાળ સાથે ઝડપથી કામ કરવાની જરૂર છે. કાશ્મીરમાં આતંકવાદીઓ જે રીતે કાર્ય કરી રહ્યા છે તેમાં એક ઊભરી રહેલી પેટર્ન છે. આતંકવાદીઓ ભારે બંદૂકના ગોળીબારમાં ફસાતા પહેલા સુરક્ષા દળોને પોતાની પસંદગીના વિસ્તારમાં લલચાવવાની યુક્તિ વધુ ને વધુ અપનાવી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં એન્કાઉન્ટરનો વિસ્તાર ટેકરીઓ અને જંગલોમાં હોય છે, જ્યાં આતંકવાદીઓ પહેલાથી જ સારી રીતે એક સુવિધાજનક સ્થિતિમાં હોય છે, છતાં જવાબી ગોળીબારથી પર્યાપ્ત સુરક્ષા મળે છે.

લડવા માટે સારી રીતે તૈયાર થઈને આવેલા હોવાથી લાંબી ગોળીબારી કરવા માટે તેઓ પોતાની સાથે પૂરતો દારૂગોળો, શસ્ત્રો અને ખોરાકના પર્યાપ્ત ભંડાર સાથે રાખે છે. જંગલ યુદ્ધની તક્નિકોની જેમ વિસ્તારનો નિર્ણય પણ સુરક્ષિત બહાર નીકળવાના માર્ગના આધારે નક્કી કરવામાં આવે છે, જે મહત્તમ સંભવિત નુકસાન પહોંચાડ્યા પછી આતંકવાદીઓ દ્વારા લેવામાં આવે છે. આ જ કારણ છે કે અનંતનાગ જિલ્લામાં એન્કાઉન્ટર ઘણા સમય સુધી ચાલ્યું.

અન્ય એક પડકાર, જેનો સુરક્ષા દળો સામનો કરી રહ્યા છે, તે છે આતંકવાદીઓ, તેમના જમીની સમર્થકોના નેટવર્ક અને તેમના પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ વચ્ચે વાતચીત અથવા ટેલિફોનિક અથવા ઇલેક્ટ્રોનિક વાતચીતની કમી. આનાથી સંપૂર્ણ ચોકસાઈ સાથે તેમના સ્થાનોને નિર્ધારિત કરવાનું મુશ્કેલ બને છે. જમ્મુ અને કાશ્મીરના શહેરી સ્થળોએ પરપ્રાંતીય મજૂરો સહિતના આસાન ટાર્ગેટ પર ગોળીબાર કરનારા ‘સંકર’ આતંકવાદીઓ દ્વારા માર્યાની પ્રવૃત્તિ બાદ રણનીતિમાં આ ચોક્કસ ફેરફારો છે. 12 સપ્ટેમ્બરના રોજ 19 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, તેમના ડેપ્યુટી મેજર આશિષ ઢોંચક અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) હુમાયુ મુઝામિલ ભટ અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડૂલ જંગલમાં ગોળીબારમાં શહીદ થયા હતા.

અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીઓની આગેવાની હેઠળ સુરક્ષા દળો એક સખત ખડક પર ચઢી રહ્યા હતા જ્યાં આતંકવાદીઓએ સ્થાન લીધું હતું. આતંકવાદીઓની સ્થિતિ એટલી સુરક્ષિત હતી કે તેઓએ એક હેલિકોપ્ટર પર પણ ગોળીબાર કર્યો હતો જેણે તાત્કાલિક તબીબી સારવાર માટે ઘાયલોને લેવા માટે આ વિસ્તારમાં ઉડાન ભરી હતી. એક કર્નલ, એક મેજર અને ડીએસપી માર્યા ગયા એ એ હકીકતને રેખાંકિત કરે છે કે ભારતીય સુરક્ષા દળોના અધિકારીઓ તેમની તાલીમના ભાગરૂપે આગળથી નેતૃત્વ કરે છે. તેથી જ તેઓ મોટા ભાગે પ્રથમ લક્ષ્ય બની જાય છે.

ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) નામના એક નવા સંગઠને – જે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા લશ્કર-એ-તૈયબા (એલઈટી) માટે તેમના તાજેતરના નામ-બદલવા અને પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે અન્ય એક મોરચો હોવાનું માનવામાં આવે છે-એ સોશિયલ મીડિયા પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, ગયા શુક્રવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટમાં રિયાઝ અહમદ ઉર્ફે અબુ કાસિમની હત્યાનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. અહેમદને સવારની નમાજ અદા કરતી વખતે એક મસ્જિદની અંદર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી. અહમદ આ વર્ષે ઠાર થનાર કાશ્મીરનો ચોથો ટોચનો આતંકવાદી હતો. 14 ફેબ્રુઆરીના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં વૈશ્વિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટના ટોચના આતંકવાદી એજાઝ અહમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ-કાશ્મીરીને ઠાર કરવામાં આવ્યો હતો.

26 ફેબ્રુઆરીના રોજ, અલ-બદર મુજાહિદ્દીનના ભૂતપૂર્વ કમાન્ડર સૈયદ ખાલિદ રઝાની કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. 20 માર્ચે, પાકિસ્તાનના રાવલપિંડીમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર બશીર અહમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમની આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાનનો ઇરાદો 2019માં બંધારણમાંથી કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં જે પણ સામાન્ય સ્થિતિનો સંકેત મળ્યો છે તેને તોડી પાડવાનો છે. ભારતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સ્થિતિને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેની સીધી અસર કાશ્મીર પર છે. પાકિસ્તાની રાજનીતિમાં વર્તમાન પ્રવાહ અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સાથે ઈસ્લામાબાદની વધતી જતી સમસ્યાઓને જોતાં પાકિસ્તાન ભારતીય દળોને બાંધી રાખવા માટે એક ધ્યાન ભટકાવવાની રણનીતિના રૂપમાં કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવાનું વલણ ધરાવશે.

 તેથી, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં વધુ સુગમતા અને અનુકૂલનક્ષમતા જરૂરી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી તાકતો જમ્મુ-કાશ્મીર સુરક્ષા તંત્રની નબળાઈઓનો ફાયદો ઉઠાવવાનું ચાલુ રાખશે. ભારત સરકારે કાશ્મીરમાં અત્યાર સુધી મળેલી સફળતાઓથી સંતુષ્ટ ન થવું જોઈએ. આતંકવાદી પ્રવૃતિઓના આ ઉછાળાથી સ્થાનિક વહીવટીતંત્રને જમીની સ્તરે મોટા કાર્યોથી વિચલિત ન થવું જોઈએ. જેમ કે, સામાન્ય નાગરિક પ્રવૃત્તિ અને લોકશાહી સરકારની પુનઃસ્થાપના. દરમિયાન, આતંકવાદ સામેની લડાઈ અવિરતપણે ચાલુ રાખવી જોઈએ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top