National

દેવદિવાળી બાદ શરણાઈના સૂર ગૂંજશે, આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા, જાણો કઈ તારીખે શુભ મુહૂર્ત

નવી દિલ્હી: દેવ દિવાળી બાદ લગ્નની સિઝન શરુ થશે. તુલસીવિવાહ બાદ લગ્નોનો શુભ મુહૂર્તોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત 2080માં લગ્નના 44 મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર માસમાં આગામી તા. 27ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે. ગયા વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા જયારે આ વર્ષે માત્ર 44 શુભ મુહૂર્તો છે.

નવેમ્બરમાં તા. 27, 28 તથા 29ના દિવસો લગ્ન માટે શુભ છે. ડિસેમ્બર મહિનામાં તા. 6, 7, 8, 14, 15 શુભ છે. આમ ધનારક કમુહૂર્તા પહેલા લગ્નના આઠ મુહુર્ત છે. તા. 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનારક કમુહુર્ત હોવાથી આ સમયગાળામાં લગ્ન થઈ શકે નહિં. જાન્યુઆરીમાં તા. 21, 22, 27, 28, 30 તથા 31 આ દિવસો લગ્ન માટે શુભ છે. ફેબ્રુઆરી મહિનામાં તા. 2, 4, 6, 12, 17, 18, 19, 24, 26, 27, 28 તથા તા. 29 લગ્નના શુભ મુહૂર્તો છે.

માર્ચ મહિનામાં તા. 2, 3, 4, 6, 11 તથા તા. 13ના શુભ મુહૂર્તો છે. ત્યારબાદ તા. 14-3 થી 13-4 સુધી મીનારક કમુહૂર્તના કારણે લગ્ન થઈ શકે નહી તથા તા. 17-3 થી 24-3 સુધી હોળાષ્ટક છે. આમ મીનારક તથા હોળાષ્ટકમાં લગ્ન નિષેધ છે. એપ્રિલ મહિનામાં લગ્નના ચાર મુહુર્તો છે.

તા. 18, 21, 26 અને 28ના લગ્ન માટે શુભ દિવસ છે. ત્યાર બાદ શુક્ર ગ્રહનો અસ્ત થતા તા. 1-5 થી 28-6 સુધી મુહૂર્ત નથી. જયારે ગુરુ ગ્રહનો અસ્ત તા. 7-5 થી 2 જૂન સુધી છે. આમ ગુરુ તથા શુક્રના અસ્તમાં લગ્ન થઈ શકતા નથી. આથી મે મહિનામાં લગ્નના એક પણ મુહુર્ત નથી. જયારે જૂનમાં લગ્નના બે જ મુહુર્તો છે. મહિનાની આખર તા. 29 તથા 30માં મુહૂર્ત છે.

જુલાઈ મહિનામાં તા. 9, 11, 12, 13, 14 તથા 15ના મુહુર્તો છે. તા. 17 જુલાઈના દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીના દિવસે દેવતાઓ પોઢી જાય છે. આથી ત્યારબાદ લગ્નના મુહૂર્તો હોતા નથી.

આગામી તા. 14મી ફેબ્રુઆરીએ વસંત પંચમી છે. જયારે અખાત્રીજ તા.10મી મેના છે પરંતુ અખાત્રીજના દિવસે ગુરુ-શુક્રનો અસ્ત હોતા લગ્ન થઈ શકશે નહિં. વર્ષ દરમ્યાન લગ્નના માત્ર 44 મુહૂર્તો છે. તેમાં પણ ઉનાળામાં માત્ર 12 મુહૂર્તો છે. સૌથી વધારે ફેબ્રુઆરીમાં 12 લગ્ન મુહૂર્તો છે.

Most Popular

To Top