Gujarat

અતિવૃષ્ટિથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ-જામનગર જિલ્લાના પશુપાલકોની સહાયમાં ધરખમ વધારો

રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તો વિવિધ સહાયમાં રાજય સરકારે આજે મળેલી કેબિનટ બેઠકમાં નિર્ણય લઈને તેમાં વધારો કર્યો છે. આ સહાયમાં વધારો કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની જામનગર અને રાજકોટની મુલાકાત વખતે રજૂઆત કરાઈ હતી. રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યું સહાય, પશુ શેડ નુકસાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે.

રાજય સરકારના પ્રવકત્તા મંત્રીઓ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતેન્દ્ર વાઘાણીએ મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયોની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે આ વરસાદી આફતનો ભોગ બનેલા આ ત્રણ જિલ્લાના લોકો, પશુપાલકોને ઉદારત્તમ મદદ-સહાય માટે પ્રવર્તમાન SDRFના સહાય ધોરણો ઉપરાંત વધારાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં 14 લોકોનું મૃત્યું થયા છે, જેમાં 13 મૃતકોના પરિવારજનોને સહાય પણ ચૂકવી દેવાઈ છે.

ભારે વરસાદથી ઘરવખરીને નુકસાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRFની રૂ. ૩૮૦૦ની સહાયમાં આજે મંત્રીમંડળે વધારાના રૂ. ૩ર૦૦ની સહાય આપીને પરિવાર દીઠ રૂ. ૭૦૦૦ ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે.તિવ્ર વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે રૂ. પ૯૦૦નો વધારો આપવાનો નિર્ણય કર્યો છે.


નાશ પામેલા ઝૂંપડાઓ માટે SDRFના રૂ. ૪૧૦૦માં રાજ્ય સરકારના વધારાના રૂ. પ૯૦૦ મળી હવે ઝૂંપડા દીઠ રૂપિયા ૧૦ હજારની સહાય અપાશે.ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF અન્વયે મળવાપાત્ર રૂ. પર૦૦ ઉપરાંત રાજ્ય સરકારના વધારાના રૂ. ૯૮૦૦ મળી હવે આવા મકાનો માટે મકાન દીઠ રૂ. ૧પ હજાર રાજ્ય સરકાર આપશે.

જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે રૂ. ૬૮૦૦નો વધારો કર્યો છે. તદઅનુસાર, SDRFના ધોરણો મુજબ રૂ. ૩ર૦૦ મળવાપાત્ર સહાય અને વધારાની રૂ. ૬૮૦૦ એમ કુલ ૧૦ હજારની સહાય ચુકવવામાં આવશે.
અતિ વરસાદની પરિસ્થિતીમાં મૃત્યું પામેલા નાના-મોટા દૂધાળા પશુઓની પશુ મૃત્યું સહાયના ધોરણોમાં કેબિનેટ બેઠકમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે.

ગાય, ભેંસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુંના કિસ્સામાં અગાઉ માત્ર ૩ પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી. તેને બદલે હવે પાંચ પશુ સુધી આવી મૃત્યું સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહિ, SDRFના ધોરણો મુજબ રૂ. ૩૦ હજારની પશુ મૃત્યું સહાય પશુ દીછ મળતી હતી. તેમાં વધારાના રૂ. ર૦ હજાર રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે. આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુ દિઠ રૂ. પ૦ હજારની સહાય પશુપાલકોને અપાશે.

વરસાદની આ સ્થિતીમાં આ ત્રણ જિલ્લાઓમાં ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના પણ મૃત્યુ થયાના કિસ્સા રાજ્ય સરકારના ધ્યાને આવ્યા છે. આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દીઠ રૂ. બે હજારનો વધારો રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે. હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુદીઠ પ હજાર પ્રમાણે રાજ્ય સરકાર આપશે.ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની કોઢાર-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના રૂ. ર૧૦૦ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી રૂ. ર૯૦૦ વધારાના મળી કુલ રૂ. પ૦૦૦ની સહાય શેડ-ગમાણ દિઠ આપવાનો નિર્ણય કરાયો છે.

Most Popular

To Top