Dakshin Gujarat

ઝઘડિયાની આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ઝઘડિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેઓના છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો અંગે શુક્રવારના રોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં પ્રશ્નો બાબતે ઉચ્ચ કક્ષાએ નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં વિવિધ પ્રશ્નો બાબતે જણાવાયા મુજબ કોરોનાને કારણે અવસાન પામેલી બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા મુજબ ૫૦ લાખ વળતર ચૂકવવું, કોરોના કામગીરી ભથ્થું ચૂકવવું, નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષની કરવી.

જિલ્લા તાલુકા અને વોર્ડમાં એક વખત ફેરબદલીની તક આપવી, મિનિ આંગણવાડીને ફુલ આંગણવાડીમાં ફેરવવી, હેલ્પરને આંગણવાડી વર્કરના માનદ વેતનના ૭૫ ટકા આપવા, આંગણવાડી વર્કરોને લઘુત્તમ વેતન આપી કાયમી કરવા તથા દરમિયાનમાં ૧૦ હજાર વેતન આપવુ, ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ, ઇએસઆઇ યોજનાનો લાભ આપવો, પૂર્વ પ્રાથમિક શિક્ષક તરીકે નિમણુંક આપવી જેવા પ્રશ્નોના નિકાલ બાબતે આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top