National

મેદાંતા હોસ્પિટલમાં સોનમ વાંગચુકને મળ્યા જે.પી. નડ્ડા, NEET મુદ્દે સરકાર-આંદોલન વચ્ચે સંવાદની નવી શરૂઆત

NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક તથા અનિયમિતતાઓ સામે છેલ્લા ઘણા દિવસોથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે મુલાકાત લીધી. દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ બાદ થયેલી આ મુલાકાતને સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેનો ગતિરોધ દૂર કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ મેદાંતા હોસ્પિટલમાં ખસેડાયા

સોનમ વાંગચુકને 24-25 દિવસથી સતત ઉપવાસ પર રહેવાના કારણે તેમની તબિયત બગડતાં દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગમોએ દાખલ કરેલી અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ખંડપીઠે કહ્યું કે પોતાની પસંદગીની હોસ્પિટલમાં સારવાર લેવાનો અધિકાર બંધારણની કલમ 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોનો ભાગ છે.

ICUમાં સારવાર, તબિયત સ્થિર

હાઈકોર્ટના આદેશ બાદ મેદાંતા હોસ્પિટલને વાંગચુક માટે નિષ્ણાત ડૉક્ટરોની વિશેષ ટીમ બનાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. હાલ તેઓ ICU-8માં ડૉ. સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ સ્થિર છે, પરંતુ લાંબા ઉપવાસને કારણે શરીરમાં પોટેશિયમનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું છે અને પેન્સાઇટોપેનિયાની સમસ્યા યથાવત છે.

હોસ્પિટલમાં હોવા છતાં ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય

હોસ્પિટલમાં ખસેડાયા બાદ પણ સોનમ વાંગચુકે વિદ્યાર્થીઓના સમર્થનમાં પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી નથી. તેમનો ઉપવાસ યથાવત ચાલુ છે. મેદાંતા હોસ્પિટલની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વજ્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે અને માન્ય ઓળખપત્ર વગર કોઈને પણ હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

કેન્દ્રીય મંત્રીઓ સાથે એક કલાકથી વધુ ચર્ચા

મેદાંતા હોસ્પિટલમાં જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહે સોનમ વાંગચુક સાથે એક કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન નડ્ડાએ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ સરકારે શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને પેપર લીક જેવા મુદ્દાઓ પર જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું આશ્વાસન આપ્યું હતું. મંત્રીઓએ વાંગચુકને જણાવ્યું કે સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે.

સરકારે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરવા વિનંતી કરી

સરકારે વાંગચુકને વિદ્યાર્થીઓને ધીરજ રાખવા અને કોઈ ઉગ્ર પગલું ન ભરવા અપીલ કરવાની વિનંતી પણ કરી હોવાનું જણાવાયું છે. મેદાંતા પહોંચતા પહેલાં ડૉ. જિતેન્દ્ર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે લાંબી બેઠક પણ કરી હતી. ત્યારબાદ બંને કેન્દ્રીય મંત્રીઓની હોસ્પિટલ મુલાકાતને ઉચ્ચ સ્તરે તૈયાર કરાયેલી વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

આ મુલાકાતને માત્ર ઔપચારિક મુલાકાત તરીકે નહીં પરંતુ સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સંવાદ શરૂ કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top