પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં રાજકીય તણાવ વધ્યો છે. તૃણમૂલ કોંગ્રેસને આ વખતે મોટો ફટકો લાગ્યો છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ ભવાનીપુર બેઠક પરથી હારી ગયા છે. છતાં પણ મમતાએ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે, જેના કારણે રાજકીય ચર્ચા વધુ ગરમાઈ ગઈ છે. કોલકાતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું કે, “મારા રાજીનામાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અમે જનતાના જનાદેશથી નથી હાર્યા, પરંતુ એક ષડયંત્રના કારણે હાર્યા છીએ.” તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રહી નથી અને ચૂંટણી પંચે પણ ભાજપના પક્ષમાં કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ બંધારણીય પ્રક્રિયા મુજબ પગલાં લેવાશે તો તે અલગ બાબત છે, પરંતુ તેઓ સ્વયં રાજીનામું આપશે નહીં.
મમતાના આ નિવેદન પછી ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. ભવાનીપુર બેઠક પરથી મમતાને હરાવનાર ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ તેમના નિવેદન પર ટૂંકી પરંતુ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, “બંધારણમાં બધું જ લખેલું છે, વધારે કંઈ કહેવાની જરૂર નથી.” શુભેન્દુ અધિકારીનું આ નિવેદન એ તરફ ઈશારો કરે છે કે મુખ્યમંત્રી પદ અંગેનો નિર્ણય બંધારણીય નિયમો મુજબ જ લેવાશે અને વ્યક્તિગત નિવેદનોનો તેમાં કોઈ અર્થ નહીં રહે. તેમના શબ્દોમાં એક પ્રકારની રાજકીય શાંતિ પણ દેખાઈ રહી છે, પરંતુ સાથે જ સંદેશ સ્પષ્ટ છે કે કાયદો અને બંધારણ સૌથી ઉપર છે.
બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા પછી પણ રાજકીય લડાઈ સમાપ્ત થઈ નથી. એક તરફ મમતા બેનર્જી ચૂંટણી પરિણામોને પડકારી રહી છે, તો બીજી તરફ ભાજપ પોતાના વિજયને બંધારણીય રીતે આગળ વધારવાની તૈયારીમાં છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વિવાદ આગળ જઈને કાયદાકીય અને રાજકીય બંને સ્તરે વધે તેવી શક્યતા છે. જો મમતા બેનર્જી પોતાના આક્ષેપો પર અડગ રહેશે, તો મામલો કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. મમતા બેનર્જીએ હાર બાદ રાજીનામું આપવા ઈન્કાર કરીને રાજકીય તણાવ વધાર્યો છે, જ્યારે શુભેન્દુ અધિકારીએ બંધારણનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આગળનો રસ્તો નિયમો અનુસાર જ નક્કી થશે.