યુદ્ધમાં શરૂ થયો ‘હેવી સ્ટ્રાઈક’ તબક્કો
મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને યુદ્ધની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક વરિષ્ઠ કમાન્ડરે જાહેરાત કરી છે કે હવે દેશ માત્ર 1000 કિલોગ્રામ અથવા તેથી વધુ વિસ્ફોટક ક્ષમતાવાળી મિસાઇલોથી જ હુમલા કરશે. આ નિર્ણયને અમેરિકા અને ઇઝરાયલ સામેના યુદ્ધમાં એક નવી અને વધુ ઘાતક તબક્કાની શરૂઆત માનવામાં આવી રહી છે.

રિપોર્ટ મુજબ બ્રિગેડિયર જનરલ Majid Mousavi એ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય બેઝ તેમજ મધ્યપૂર્વના કેટલાક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાઓ હવે વધુ તેજ અને વધુ મોટા પાયે થશે. તેમાં દુબઈ એરપોર્ટ અને સાઉદી અરેબિયાના રસ તનુરા તેલ રિફાઇનરી જેવા મહત્વના સ્થળો પણ નિશાન બની શકે છે.
વિશ્લેષકોનું માનવું છે કે ઈરાન હવે અગાઉની જેમ સસ્તા ડ્રોન અને નાના મિસાઇલોથી મોટા પ્રમાણમાં હુમલો કરવાની જગ્યાએ ઓછી સંખ્યામાં પરંતુ વધુ શક્તિશાળી મિસાઇલોથી ચોક્કસ અને ઘાતક હુમલા કરવાની નીતિ અપનાવી રહ્યું છે. આ વ્યૂહરચનાનો હેતુ એરબેસ, અંડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટર અને મજબૂત સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડવાનો છે.
ઈરાન પાસે મધ્યપૂર્વમાં સૌથી મોટું મિસાઇલ શસ્ત્રાગાર હોવાનું કહેવામાં આવે છે. તેમાં Soumar ક્રૂઝ મિસાઇલ છે, જે લગભગ 3000 કિલોમીટર સુધી મારો કરી શકે છે. ઉપરાંત Sejjil અને Khorramshahr જેવી શક્તિશાળી મિસાઇલો પણ છે, જે 2000 થી 3000 કિલોમીટર સુધીનું અંતર કવર કરી શકે છે અને ભારે વિસ્ફોટક વોરહેડ લઈ જઈ શકે છે.
આ પહેલા ઈરાન સસ્તા Shahed-136 જેવા ડ્રોનનો ઉપયોગ કરીને અમેરિકન અને ઇઝરાયલી એર ડિફેન્સ સિસ્ટમને થાકવવાનો પ્રયાસ કરતું હતું. આ રણનીતિમાં મોટી સંખ્યામાં સસ્તા ડ્રોન અને મિસાઇલ છોડીને વિરોધી દેશોને મોંઘી ઇન્ટરસેપ્ટર મિસાઇલોથી બચાવ કરવા મજબૂર કરવામાં આવતું હતું.
પરંતુ હવે 1000 કિલો કે તેથી વધુ વોરહેડવાળી મિસાઇલોનો ઉપયોગ શરૂ કરવાથી હુમલો વધુ વિનાશક બની શકે છે. નિષ્ણાતો કહે છે કે જો આવી મિસાઇલને અટકાવવામાં નિષ્ફળતા મળે તો નુકસાનનો વ્યાપ બે ગણો થઈ શકે છે. આ નવા ફેરફારને કારણે મધ્યપૂર્વમાં યુદ્ધ વધુ ગંભીર અને જોખમી દિશામાં આગળ વધી શકે છે. સૈન્ય નિષ્ણાતો માને છે કે ઈરાન હવે ઓછા પરંતુ અત્યંત શક્તિશાળી હુમલાઓ દ્વારા યુદ્ધનું સંતુલન બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.