Bharuch

75 લાખના તોડનો મામલો ગરમાયો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપને આપેલું અલ્ટીમેટમ

ભરૂચ,દેડિયાપાડા,તા.25
ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કઠિત તંત્ર અને MLA ચૈતર વસાવા દ્વારા પૈસાની મોટી માંગનાં વિવાદિત અવઢવ બાબતે ન્યાય ન મળે તો ભાજપ પાર્ટી છોડવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.આ મુદ્દે MLA ચૈતર વસાવાએ રૂપિયા માંગ્યાનો આરોપ કલેક્ટરે નકારતા મનસુખ વસાવાની નારાજગી ઉભી થઈ છે.MP મનસુખ વસાવાએ કહ્યું હતું કે અધિકારીઓ અને સરકાર માટે ખોટા લોકો સામે લડું છું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કલેક્ટર ચૈતર વસાવા સાથે મળી ગયા છે. સરકાર ન્યાય નહીં અપાવે તો હું ભાજપ છોડી દઈશ.કલેક્ટર ચૈતર વસાવાને બચાવી રહ્યા છે.શુક્રવારે કલેક્ટરને રૂબરૂ મળવા જવાનો છું.
MP મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરે મને નર્મદા જિલ્લા પ્રમુખની સામે કરી હતી. હવે આજે જિલ્લા કલેકટર એમની સામે ના પાડે એટલે એ એમની સાથે મળી ગયા છે. સરકાર મારી સાથે ન્યાય નહિ કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ.હું અધિકારીઓ અને સરકાર માટે લડી રહ્યો છું અને આવા ખોટા લોકોની સામે એક્શન લેવા જોઈએ પણ એને બચાવી રહ્યા છે.હું આવતીકાલે કલેક્ટર નર્મદાને રૂબરૂ મળવા જવાનો છું અને પૂછીશ કે તમે અમારી હાજરીમાં તો કહ્યું હતું પછી કેમ ફરી ગયા…!!!
આ મામલે ચૈતર વસાવાએ કહ્યું હતું કે વાત ખોટી હોવાનો કલેક્ટરે ખુલાસો કર્યો છે. મનસુખ વસાવા પાયાવિહોણા આરોપો લગાવે છે. મને બદનામ કરવાનો પ્રયાસ છે. ખોટા આરોપ લગાવશે તો કાયદેસરની કાર્યવાહી કરીશું.
ઉલ્લેખનીય છે કે બુધવારે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને આ બાબતે સ્પષ્ટતા માંગી ત્યારે કલેક્ટરે આવી કોઈપણ માંગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. કલેક્ટરના આ જવાબથી સાંસદ મનસુખ વસાવા લાલચોળ થઇ ગયા છે.
જો કે આ મુદ્દે અગાઉ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, AAP ધારાસભ્ય ચૈતર વસાવા સરકારી અધિકારીઓ પર દબાણ બનાવી રહ્યા છે. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું હતું કે,ચૈતર વસાવાએ R&B વિભાગના અધિકારીઓ પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. સાંસદનો આરોપ છે કે ચૈતર વસાવા પહેલા માહિતી માંગે છે અને ત્યારબાદ અધિકારીઓને ડરાવીને ‘તોડપાણી’ કરવાનો પ્રયાસ કરે છે.ચૈતર વસાવાએ માર્ગ મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખની માંગણી કરી હતી. આ વાતનો ખુલાસો કરતા સાંસદે કહ્યું કે, “આ કોઈ હવામાં કરેલી વાત નથી. ખુદ જિલ્લા કલેકટરે મને અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં આ વાત કરી છે. કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે.”તેમણે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “તમારે ગભરાવાની જરૂર નથી. ચૈતર વસાવાને એક પણ રૂપિયો આપશો નહીં.”

Most Popular

To Top