National

દિલ્હીના લંપટ સ્વામી ચૈતન્યનંદે 17 ગરીબ સ્ટુડન્ટનો દેહ અભડાવ્યો, FIR દાખલ

દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 17 છોકરીઓ સાથે સ્વામી ચૈતન્યનંદ દ્વારા દુષ્કર્મ કરાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં ભણતી વિદ્યાર્થીનીઓએ સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી વિરુદ્ધ ગંભીર આરોપો મુક્યા છે.

વિદ્યાર્થીનીઓના નિવેદનના અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સંસ્થા શારદા પીઠ શ્રૃંગેરી સાથે જોડાયેલી હોવાની વિગતો સાંપડી છે.

દિલ્હીના વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં પીએ મુરલી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં સ્વામી ચૈતન્યનંદ આરોપ મૂકવામાં આવ્યો છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતીએ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ની મહિલા વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરી હતી. પીડિત વિદ્યાર્થીનીઓ EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) કોર્સ કરી રહી હતી.

પોલીસે 32 વિદ્યાર્થીનીઓના નિવેદનો નોંધ્યા, જેમાંથી 17 વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો કે આરોપી સ્વામી ચૈતન્યનંદે અપશબ્દોનો ઉપયોગ કર્યો, વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલ્યા અને અનિચ્છનીય શારીરિક સ્પર્શ કર્યો. પીડિતોએ એ પણ જણાવ્યું કે સંસ્થામાં કેટલીક મહિલા ફેકલ્ટી અને વહીવટી કર્મચારીઓએ આરોપીઓની માંગણીઓનું પાલન કરવા માટે તેમના પર દબાણ કર્યું.

ફરિયાદ બાદ પોલીસે IPC ની કલમ 75(2), 79 અને 351(2) હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને ઘટનાસ્થળ અને આરોપીના સરનામા પર દરોડા પાડવામાં આવ્યા પરંતુ આરોપી હજુ પણ ફરાર છે.

પોલીસે સંસ્થાના બેઝમેન્ટમાં પાર્ક કરેલી એક વોલ્વો કાર જપ્ત કરી, જેમાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (39 UN 1) હતી. ગઈ તા. 25 ઓગસ્ટ 2025 ના રોજ નવો કેસ નોંધવામાં આવ્યો અને કાર જપ્ત કરવામાં આવી.

પોલીસે સંસ્થામાંથી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ 16 પીડિતોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું છેલ્લું લોકેશન આગ્રા નજીક મળી આવ્યું હતું. તપાસ ચાલુ છે.

આ ઘટના બાદ શ્રી શારદા સંસ્થાન અને શ્રૃંગેરી મઠ વહીવટીતંત્રે આરોપીને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધો છે અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. શ્રી શારદા પીઠમે આરોપીના કાર્યોને “ગેરકાયદેસર, અયોગ્ય અને સંસ્થાના હિતોની વિરુદ્ધ” ગણાવ્યા છે.

Most Popular

To Top