Charchapatra

વર્ષાઋતુમાં જળસંચય ફરજિયાત કરો

આકાશમાંથી વરસતા વરસાદી પાણીનો યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબદ્ધ થવાની જરૂર છે. આપણા દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને વહી ન જવા દેવાય તો એક જ વરસાદ સમગ્ર ભારતને એક વર્ષ સુધી મલબખ પાણી આપી શકે તેમ છે. આપણી જળ વ્યવસ્થાની કેટલીક પરંપરાગત પદ્ધતિઓ છે. તેને વિકસાવવાની જરૂર છે. જળ સંગ્રહમાં કોઈ મોટી મૂડીરોકાણની પણ જરૂર પડતી નથી. બાવીસ વર્ષ અગાઉ મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના સમાહર્તાએ આ દિશામાં પહેલ કરી. દેવાસના પાણીનો પ્રશ્ન હલ કર્યો હતો.

રાજસ્થાન સરકારે પણ ૨૦૦૦ની સાલમાં સરકારી મકાનો, સ્થાનિક સંસ્થાઓની ઈમારતો અને શહેરી વિસ્તારોમાં પાંચસો ચો.મી. સુધીનો પ્લોટ ધરાવતી તમામ સંસ્થાઓ માટે વરસાદના પાણીના સંચયની વ્યવસ્થા કરવાનું ફરજિયાત બનાવવાનું સ્તુત્ય પગલું ભર્યું હતું. મકાનોની અગાસીમાંથી વહી જતા વરસાદી પાણીને પાઈપ દ્વારા ટાંકામાં લઈ જવાની વ્યવસ્થાના આદેશો પણ અપાયા હતા. આવા ટાંકા ૧૫થી ૨૦ ફૂટ ઊંડા કૂવા સાથે જોડાયેલા હોઈ ભૂગર્ભમાં પાણીના સ્તરને ઊંચું લાવવાનું પણ શક્ય બનાવે છે. આવી યોજના દેશનાં તમામ રાજ્યોમાં અમલી બનાવવાની તાતી જરૂર છે. ગુજરાતમાં એક દંપતી દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ – સંચય કરી આખા વર્ષના પાણીનો પ્રશ્ન હલ કર્યો હોવાના સમાચાર ૨૦૦૨ની સાલમાં અખબારોને પાને ચમકયા હતા.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top