Sports

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે રાહુલની જગ્યાએ ઈશાન કિશન

મુંબઈ: ઓસ્ટ્રેલિયા (Australia) સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (ડબ્લુટીસી) ફાઈનલમાં મેચ માટે બીસીસીઆઈએ (BCCI) કે એલ રાહુલની જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને પસંદ કર્યો છે. રાહુલને હાલમાં ચાલી રહેલા આઈપીએલની (IPL) એક મેચમાં ઈજા થઈ હતી. ઈજા થયા બાદ લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રાહુલ આખી આઈપીએલ ટુર્નામેન્ટ અને ડબ્લુટીસીની ફાઈનલમાંથી બહાર થયો હતો. ડબ્લુટીસીની ફાઈનલ લંડનના ઓવલમાં 7થી 11 જૂનમાં રમાશે.
લખનઉનો જ બોલર જયદેવ ઉનાડકટ પણ બોલિંગ પ્રેક્ટીસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, બીસીસીઆઈએ જણાવ્યું હતું કે ડબ્લુટીસીની ફાઈનલમાં તેના રમવા અંગે બાદમાં નિર્ણય લેવાશે.

‘ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટિએ કે એલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનનું નામ સૂચવ્યું છે’, એમ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં કહ્યું હતું. કે એલ રાહુલની ટૂંક સમયમાં સર્જરી કરાશે જ્યારબાદ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ માટે રહેશે. જયદેવ ઉનાડકટ બોલિંગ પ્રેક્ટીસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તે અત્યો બેંગ્લુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને તે પોતાના ખભાની ઈજા માટે રિહેબ સેશનમાં ભાગ લઈ રહ્યો છે. ડબ્લુટીસી ફાઈનલમાં તેના ભાગ લેવા અંગે બાદમાં નિર્ણય કરાશે.

બીજી બાજુ ઉમેશ યાદવને પણ ઈજા થઈ છે અને તે કેકેઆરની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ ઉમેશના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે, એમ બીસીસીઆઈએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય પસંગીકારોએ ઈન્ડિયા-એના કેપ્ટન અભિમન્યુ ઈસ્વરનને ફાઈનલ માટે સ્ટેન્ડ બાયમાં જગ્યા ન આપતા કેટલાંક લોકો આશ્ચર્યચકિત થયા હતા. ઋતુરાજ ગાયકવાડ જે આઈપીએલમાં સીએસકે માટે રમવા માટે જાણીતો છે તેને સ્ટેન્ડબાયમાં રખાયો છે પણ ઈસ્વરનનો ઈન્ડિયા એ સ્તર પર તેના કરતા રેકોર્ડ સારો છે.

ડબ્લુટીસી ફાઈનલ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંગ્ય રહાણે, કે એસ ભારત (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનાડકટ, ઈશાન કિશન (વિ.કી.)
સ્ટેન્ડ બાય પ્લેયર: ઋતુરાજ ગાયકવાજ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ

Most Popular

To Top