Health

કેરીને સમજીને ખાઈએ

કેરીના સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ વિશે આપણે વિસ્તૃત ચર્ચા ગત અંકે કરી. કેરી ફાયદાકારક તો છે જ પરંતુ તેને યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે તો જ! ‘’ अति सर्वत्र वर्जयेत’’ મુજબ કોઈ પણ ખાદ્યપદાર્થનું અતિશય સેવન આફત નોતરી શકે અને સ્વાસ્થ્યને મોટું નુક્સાન પણ કરી શકે. વળી, દરેક ખોરાક ખાવા માટે યોગ્ય સમય અને યોગ્ય રીત પણ નિશ્ચિત હોય. જો એ પ્રમાણે આરોગવામાં આવે તો જ ફાયદો થઈ શકે. તો આવો, આ અંકે કેરી કઈ રીતે, કેટલા પ્રમાણમાં અને ક્યારે ખાવી તે જોઈએ.

કેરીના ચાહકો ઉનાળો આવવાની રાહ જોતા હોય અને ઉનાળો આવે એટલે બીજો બધો ખોરાક સાઈડ પર મૂકી માત્ર કેરીના બોક્સ પેટમાં ખાલી કરતા હોય. મારા એક ઓળખીતા ભાઈ કેરીની સીઝનના 3 મહિના દરમ્યાન અનાજ, કઠોળ બધું બાજુ પર મૂકીને દિવસની માત્ર 20 – 22 કેરીઓ ખાઈ જાય છે!

અતિશય કેરી ખાવાથી શું નુકસાન થઈ શકે તે આવો સમજીએ :-
ડાયેરિયા :- કેરી સારા પ્રમાણમાં પાચક રેસાઓ ધરાવે છે. આ રેસાઓ પાચનતંત્રની સફાઈમાં મોટો ભાગ ભજવે છે પરંતુ દિવસ દરમ્યાન 4 થી વધુ કેરી ખાઈએ તો આ રેસાઓનો અતિરેક ડાયેરિયાનું કારણ બની શકે છે.

કેરી ખૂબ ઊંચી માત્રામાં શર્કરા ધરાવે છે. જો યોગ્ય પ્રમાણમાં કસરત ન કરવામાં આવે અને પુષ્કળ માત્રામાં કેરી ખાવામાં આવે તો આ શર્કરા ચરબી બનીને લિવર પર જમા થાય છે અને ફેટી લિવર જેવા રોગો થઈ શકે છે. વળી, આ ચરબી વજન વધારાનું પણ કારણ બની શકે છે. આ ન વપરાયેલી શર્કરા લોહીમાં ભળી ડાયાબીટીસના દર્દીઓને પજવી શકે છે. આ માટે કેરી ખાવી હોય તો કસરત કરવી અનિવાર્ય બને. કેરીમાં સારી માત્રમાં ‘મેગી ફેરીન’ નામનું એન્ટીઓક્સિડન્ટ રહેલું છે, જે કેટલાક લોકોમાં એલર્જી ઉત્પન્ન કરી શકે. જેથી કેટલાક લોકોને કેરી ખાધા બાદ શરદી, કફ, ઝાડા અને પેટમાં દુખાવા તથા ગેસની ફરિયાદ રહી શકે.

કેરી પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ (બીટા કેરોટિન) ધરાવે છે, જે ક્યારેક માસિક વહેલું આવવા તથા વધુ પડતા માસિકસ્ત્રાવ માટે જવાબદાર થઈ શકે. કેરીને પકવવા માટે જે કાર્બાઈડ નામના કેમિકલનો ઉપયોગ થાય છે, એ કાર્બાઈડ પાચનતંત્રના રોગો તેમ જ કેન્સર જેવાં જીવલેણ રોગો માટે પણ જવાબદાર હોઈ શકે છે. •કેરીમાં રહેલા સાંદ્ર એન્ટીઓક્સિડન્ટસ ક્યારેક ત્વચા પર ફોલ્લા પાડી શકે છે.

કેરી કઈ રીતે ખાશો?
કેરીને ઉપયોગમાં લેવા પહેલાં પાણીમાં 2 – 2.30 કલાક સુધી પલાળી રાખો. આમ કરવાથી તેની ત્વચાની બહારનું કેમિકલ ઓછું થશે અને તેની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ રસાયણો થોડા મંદ થશે. જેથી ત્વચા પર કે પાચનતંત્ર પર ગરમ ન પડે. કેરીનો રસ કાઢવાને બદલે સમારીને ખાવી વધુ હિતાવહ. રસ કાઢવાથી એક તો રેસાઓ નીકળી જાય છે. વળી, રસમાં કેરીની શર્કરા કોન્સન્ટ્રેટ થાય છે, જે બ્લડ શુગર વધારી શકે છે. આ ઉપરાંત રસ પાચનતંત્રમાં ગેસ ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે જમ્યા બાદ આફરો ચઢે છે.

જો રસ ખાવો જ અનિવાર્ય હોય, તો રાજાપુરી કે પાયરી જેવી વધુ રસાળ કેરીનો જ રસ ખાવો જોઈએ. જેથી પચવામાં સરળ રહે. હાફૂસ કે કેસર જેવી પલ્પી કેરીઓનો રસ ચોક્કસ ગેસ ઉત્પન્ન કરી શકે. રસમાં સૂંઠ ઉમેરી ખાવાથી અને રસ જમ્યા બાદ અજમાનું પાણી પીવાથી ગેસ થતો અટકાવી શકાય છે.

રસમાં ઘી ઉમેરીને ખાવાથી કેરીમાં રહેલુ વિટામિન A કે જે ફેટ સોલ્યુબલ છે એનો સંપૂર્ણ ફાયદો મેળવી શકાય છે. (1 વાડકા રસમાં 1 ચમચી અર્થાત્ 3 – 5 ગ્રામ ઘી જ ઉમેરવું)

કેરીને કસરત કર્યા બાદ ખાવાથી તેની શર્કરાનું ચરબીમાં રૂપાંતર થતું અટકાવી શકાય છે અને એમ વજન વધતા અટકાવી શકાય છે.

કેરીને મિષ્ટાન્ન તરીકે તથા મુખ્ય આહાર તરીકે નહીં પરંતુ ફળ તરીકે ખાવામાં આવે તો તે નુકસાન કરશે નહિ, ફાયદો જ કરશે.

Most Popular

To Top