Comments

વિકૃત ઇતિહાસ સામે ટક્કર લેવાની છે

ગૃહ પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં ગયા નવેમ્બરમાં આપેલા એક પ્રવચનમાં વિદ્વાનોને કહ્યું હતું કે ઇતિહાસને યોગ્ય રીતે અને ભવ્ય રીતે રજૂ કરજો. ભારતમાં એક યા બીજા સ્થળે 150 વર્ષથી વધુ સમય રાજ કરનાર વંશ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડત આપનાર 300 પ્રખર વ્યકિતઓ બાબતમાં પણ સંશોધન કરજો.

ગૃહ પ્રધાનની અપીલનો સૌથી ઝડપી પ્રતિભાવ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રીસર્ચ નામની સરકારના પૈસે નભનારી અને ચાલનારી સંસ્થા તરફથી આવ્યો. ‘ધ પ્રિન્ટ’માં પ્રગટ થયેલા હેવાલમાં જણાવાયું છે કે માત્ર ત્રણ જ સપ્તાહના વિક્રમી સમયગાળામાં કાઉન્સિલે નવી દિલ્હીમાં મધ્યયુગીન અજ્ઞાન વંશોની માહિતી આપતું પ્રદર્શન યોજયું. તેમાં ચોલા, કાકાતિયા, મરાઠા અને વિજયનગર સામ્રાજયના શાસકોના વંશની માહિતી રજૂ કરવામાં આવી. પણ એક પણ મુસ્લિમ શાસક કે વંશનું નામ નિશાન નહતું. જો કે તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઇ નથી.

એક સરકારી સંસ્થા તરીકે આ કાઉન્સિલે હંમેશા રાજય અને શાસક પક્ષની અગ્રતાનું પ્રતિબિંબ પાડયું છે. કોંગ્રેસ શાસન કરતો હતો ત્યારે આ કાઉન્સિલના વડા એક ડાબેરી જૂથ દ્વારા થતું હતું જેણે ઇતિહાસમાં માર્કસવાદને પ્રોત્સાહન આપ્યું હતું. ભૂતકાળના આ વલણનો શાસનના ટેકેદારો સંસ્થાના હાલના ભેદભાવને વાજબી ઠેરવવા ઉપયોગ કરે છે.

માર્કસવાદી ઇતિહાસકારોનો ઉધડો લેવાય તેમાં અસાધારણ નથી પણ અત્યારે હિંદુ જમણેરી દ્રષ્ટિબિંદુથી ઇતિહાસ લાવવાના વર્તમાન મોજાનો ત્યારે અભાવ હતો.

આમ છતાં આપણા શ્રેષ્ઠ ઇતિહાસકારોએ કાઉન્સિલનું છત્ર ભાગ્યે જ શોધ્યું છે. તેમણે યુનિવર્સિટી સિસ્ટમમાં કામ કર્યું છે. જેમાં તેઓ ઇતિહાસના પી.એચ.ડી.નાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હતા અને પોતાનાં પુસ્તકો અને નિબંધો લખતા હતા. પક્ષીય રાજકારણનો ભાગ્યે જ તેઓ આશરો લેતા અને વિષયવૈવિધ્ય અપાર હતું. આ ઇતિહાસકારો વિદ્વાનો હતા. તેમાંના બહુ થોડા માર્કસ્‌વાદી હતા.

ભારતીય જનતા પક્ષની વિચારસરણી અને તેમના ટેકેદારો ઇતિહાસકારો પાસેથી શું અપેક્ષા રાખે છે? હિંદુત્વ ઇતિહાસ.

પ્રાચીનકાળની વાત કરવાની આવે ત્યારે હિંદુત્વ ઇતિહાસકારોને ભારત તત્ત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય, કલાકારીગરી, ઔષધ વિદ્યા, ખગોળશાસ્ત્ર વગેરેમાં વિશ્વમાં ખાસ કરીને અમેરિકા અને યુરોપ કરતાં આગળ હતું તેવું આલેખન કરવાનું કહે છે. ભારત બહુ જલ્દીથી બાકીના વિશ્વનું નેતૃત્વ લેશે એવા સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવા અને દાવો કરવાના ભાગરૂપે છે. મધ્ય યુગની વાત આવે ત્યારે હિંદુત્વ ઇતિહાસકારોને મુસ્લિમ યોદ્ધાઓ અને શાસકોનું દુષ્ટ અને કપટી તરીકે અને હિંદુ શાસકોનું ઉમદા અને સદ્‌ગુણી તરીકે આલેખન કરવા જણાવે છે.

આધુનિક સમયગાળાની વાત આવે ત્યારે હિંદુત્વ ઇતિહાસકારોને આઝાદીના જંગમાં કોંગ્રેસની ભૂમિકા ઘટાડી કોંગ્રેસ બહારનાં લોકોને શૂરવીર તરીકે ચીતરવા જણાવે છે. તેમાંય નેહરુ અને ગાંધીને નબળા અને ઢચુપચુ સાવરકર અને બોઝને શૂરવીર  ચીતરવા જણાવે છે.

હિંદુત્વ ઇતિહાસ વિસંગતિ અને હકીકત દોષથી ભરેલો છે. ભારત લોકશાહીની માતા હોવાનો દાવો નહીં કરી શકાય. તે જ પ્રમાણે રાજાઓના દિવ્ય અધિકારોને સમર્થન આપતા મધ્યમયુગીન અને પ્રાચીન રાજયોને ભવ્ય નહીં ચીતરી શકાય.

દેશમાં કયાંય પણ 150થી વધુ વર્ષ શાસન કરનાર વંશો બિરદાવવા સાથે કોંગ્રેસ પર વંશવાદ ચલાવવાનો આક્ષેપ એક સાથે કેવી રીતે થાય?

ગાંધી અને બોઝે લાંબો સમય સાથે કામ કર્યું ત્યારે તેમને હરીફ તરીકે ચીતરવા એ હકીકત દોષ છે.

બોઝ ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ કહીને બિરદાવતા હતા અને પોતાની આઝાદ હિંદ ફોજની બ્રિગેડોને ગાંધી, નેહરુ અને મૌલાના આઝાદનાં નામ આપ્યાં હતાં. આખરે તો હિંદુઓ સદ્‌ગુણી હતા અને તેમના પ્રત્યે વિદેશી આક્રમકો ભેદભાવ રાખ્યો એમ કહેવામાં એ હકીકત ઢંકાઇ જાય છે કે પિતૃસત્તાક સમાજ અને જ્ઞાતિ પ્રથાને કારણે હિંદુઓ પર ખ્રિસ્તીઓ અને મુસલમાનો કરતાં હિંદુઓએ વધુ જુલ્મ ગુજાર્યા છે.

હિંદુત્વ ઇતિહાસકારો જાણીતા શકિતશાળી અને વગદાર પુરુષોને સારા કે નરસા તરીકે રજૂ કરે છે પણ સંદર્ભ જોવાતો નથી.

ગમે તે કહો, ઇતિહાસ વિખ્યાત અથવા શકિતશાળી પુરુષોના જીવન અને કાર્યથી કંઇક વિશેષ છે. તાજેતરના દાયકાઓમાં ભારત અને અન્યત્રના ઇતિહાસકારોએ ખેડૂતો, કામદારો, કારીગરો, આદિવાસીઓ અને અન્ય નિમ્ન સ્તરના લોકોના જીવનનો અભ્યાસ ઉખેળ્યો છે. તે જ પ્રમાણે સ્ત્રીઓનો ઇતિહાસ પણ બહાર આવવા માંડયો છે. તે જ પ્રમાણે પર્યાવરણ, સંસ્કૃતિ, મનોરંજન, તેમજ આધુનિક ભારતીયોને ફિલ્મ અને ક્રિકેટની ઘેલછા પણ અભ્યાસનો વિષય બન્યા છે.

માનવજીવનના વિશાળ ફલક અને હિંદુત્વ ઇતિહાસકારો દ્વારા થતી અવગણનાની અને છતાં શિક્ષિત ભરતીયોએ ભૂતકાળમાં જિજ્ઞાસા હોય તો શું જાણવું જોઇએ તેની આ ઝલક છે. વ્યવસાયી ઇતિહાસકારોનો આ વિષયોમાં ઊંડા ઉતરવાની વૈચારિક ભૂમિકા નથી. તેમનાં મોટા ભાગનાં લખાણ ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ સોશ્યલ હિસ્ટરી રીવ્યૂમાં છપાયાં છે. આ પ્રકાશનનાં સંપાદિકા પ્રો. ધર્માકુમાર હતાં અને ડાબેરી જમણેરી ઝોક વગર તટસ્થતા દાખવતા એટલે માર્કસવાદીઓ તેમને ધિક્કારતા.

આ ઉપરાંત ભરતના શ્રેષ્ઠ ઇતિહાસકારોએ નિષ્ણાતો અને સામાન્ય લોકો માટે પુસ્તકો લખ્યાં છે. ઇતિહાસકારો ભૂતકાળના પદાર્થો, ફસલ, આવાસ, વસ્ત્રો, ખોરાક, અલંકાર અને ગીત સંગીતનો અભ્યાસ કરે છે. સામાજિક પરિવર્તન, રાજકીય તંત્રકાયદો, વહીવટ, પ્રાકૃતિક સંપત્તિ, સંસ્કૃતિનો પણ તેઓ અભ્યાસ કરે છે. હિંદુત્વ ઇતિહાસને તેની સાથે ઝાઝી લેવાદેવા નથી લાગતી.

ડચ ઇતિહાસકાર પીટર ગેલે કહ્યું હતું કે ઇતિહાસ અંત વિનાની દલીલ છે. ભારતના ભૂતકાળના અભ્યાસનું ફલક અતિશય વિરાટ છે. સત્તાધારી રાજકારણીના હુકમને તાબે નહીં થાય. આપણે હિંદુત્વથી વિરુધ્ધ ઇતિહાસ અને બહુમતવાદી ગેરરજૂઆત સામે ટક્કર લેવાની છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top