મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઇરાને યુનાઇટેડ અરબ અમીરાત (UAE)ના ફુજૈરાહ વિસ્તારમાં ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. હુમલાને કારણે ફુજૈરાહના ઓઈલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો મોકલવામાં આવી.
હુમલા પહેલા દુબઈ અને અબુધાબીમાં રહેવાસીઓને સંભવિત મિસાઈલ ખતરા અંગે મોબાઇલ એલર્ટ પણ મોકલવામાં આવ્યા હતા.ભારત સરકારે આ ઘટનાની કડક નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, “ફુજૈરાહમાં થયેલો હુમલો અને તેમાં ભારતીય નાગરિકોના ઘાયલ થવું અસ્વીકાર્ય છે. તાત્કાલિક હિંસા બંધ થવી જોઈએ.”
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના તણાવને કારણે સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં સુરક્ષા પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી મિસાઈલ અને ડ્રોન હુમલાઓની શ્રેણી ચાલુ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે. ફુજૈરાહ, જે યુએઈનો મહત્વપૂર્ણ તેલ નિકાસ કેન્દ્ર છે, ત્યાં હુમલો થવાથી વૈશ્વિક ઊર્જા બજાર પર પણ અસર પડી શકે છે. સત્તાઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.