Madhya Gujarat

વાંઘરોલીમાંથી અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

નડિયાદ: ગળતેશ્વર તાલુકાના વાંઘરોલીમાં એક અજાણી આધેડ મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સેવાલીયા પોલીસ દ્વારા હાલમાં મૃતક મહિલાની ઓળખ પ્રસ્થાપિત કરવા અને હત્યારાનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગળતેશ્વર તાલુકાના વાંઘરોલીમાં ખાખરીયા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પાસે ખ્રિસ્તી સમાજના સ્મશાન નજીક બાવળીયામાં એક મહિલાનો મૃતદેહ હોવાની માહિતી વાંઘરોલી ગામના સરપંચે સેવાલીયા પોલીસને આપી હતી. જેથી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

જ્યાં ૪૦ થી ૪૫ વર્ષના આશરાની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાને માથાના ભાગે બોથડ પદાર્થથી માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું. સેવાલીયા પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઇને તેને પી.એમ. માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક રિપોર્ટ અનુસાર મહિલાનું મોત બોથડ પદાર્થથી માથામાં થયેલ ઇજા હોવાનું જણાવાયું હતું. જેથી આ મામલે સેવાલીયા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.બી.મહેરીયા દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

મહિલા સ્થાનિક ન હોવાનું અનુમાન
ખાખરીયા ગામની સીમમાંથી મળી આવેલા મૃતદેહ મામલે સ્થાનિક ગ્રામજનો તેમજ પોલીસને માહિતી આપનાર વાંઘરોલીના સરપંચ રફીકમીયાં મલેક દ્વારા આ મહિલા વાંઘરોલી કે આસપાસના ગામડાંની ન હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું. મૃતક મહિલા સ્થાનિક ન હોવાથી તેની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી
હત્યાના આ મામલામાં મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા અને હત્યારા સુધી પહોંચવા માટે સેવાલીયા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, હજીસુધી આ મામલામાં પોલીસને કોઇ કડી પ્રાપ્ત થઇ નથી.

Most Popular

To Top