Gujarat

પાલનપુરથી “નિરામય ગુજરાત”નો રાજ્યવ્યાપી પ્રારંભ, 3 કરોડ લોકોને લાભ થશે

રાજ્યના 3 કરોડ લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો. પટેલે કહયું હતું કે બદલાતી જતી જીવનશૈલી, લાઇફસ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીઝ, કીડનીની બિમારી જેવા રોગોનો ભોગ લોકો બનતા હોય છે.

પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ ગંભીર અને જાનલેવા બની જાય છે. પહેલું સુખ તે જાતે નર્યા’ના ધ્યેય સાથે રાજ્ય સરકારે આવા રોગ થાય જ નહીં, થાય તો ઉગતા જ ડામી દેવાય એટલુ જ નહીં પ્રાથમિક તબક્કે સ્ક્રીનીંગ થઇ જાય અને તપાસ નિદાનથી લઇને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા આ ‘નિરામય ગુજરાત’ અભિયાન આદર્યું છે.

પટેલે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઇને હૃદયરોગ કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી. આવા રોગ સહિતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણત: સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે રહેવાની છે.

આ અભિયાન તહેત આરોગ્ય સેવા કર્મીઓ લોકોના ઘરે ઘરે જઇને ત્રીસ વર્ષ કે તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બિમારીની વિગતો એકત્ર કરશે અને નિ:શુલ્ક સારવાર સુધીની સુવિધાઓથી “સર્વે ભવંતુ સુખીન:” નો ધ્યેય પાર પાડશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.૧૨ થી ૧૫ હજારનો ખર્ચ બચશે.

Most Popular

To Top