SURAT

ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની બસોને મંજૂરી તો ખાનગી શાળાને અન્યાય કેમ?: શાળા સંચાલક

સુરત: તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ (Tuition class), સરકારી સ્કૂલો (School) દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ (Swimming pool), અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વેપારી સંસ્થાઓને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી (Permission) આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળા (Private school)ઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગ તરફ કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. દરમિાયન સોમવારે ગુજરાત રાજયના દરેક જિલ્લામાં શાળા સંચાલકો અને શિક્ષકોએ સાથે મળી સરકાર સમક્ષ શાળાઓ ખોલવા ઉગ્ર માંગ કરી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરુ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબૂમાં આવ્યો છે અને સરકાર દ્વારા ટ્યુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મંજૂરી આપી છે, તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે?

પ્રથમ તબક્કામાં સરકારે ધોરણ 9 થી 12 ની શાળાઓને ફરી શરુ કરવા તાત્કાલિક મંજૂરી આપવી જોઇએ. ટ્યુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટ્યુશન કલાસની સરખામણીએ કોવિડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજૂરી અપાતી નથી તે આશ્ચર્યજનક છે. તે ઉપરાંત ધોરણ 9 થી 12 ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ દોઢ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણનું નુકસાન થયુ છે, તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે. સોમવારે 19 જુલાઇના રોજ તમામ શાળા સંચાલકોએ સમગ્ર રાજયમાં દરેક જિલ્લા ખાતે આવેદન આપી શાળાઓ શરૂ કરવાની ઉગ્ર માંગણી કરી છે. તેમ છતાં જો સરકાર માંગ નહી સ્વિકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર અંદોલનનાં પણ મંડાણ કરાશે. અને બે દિવસ બાદ શાળાઓ ચાલુ કરવા ચિમકી આપવામાં આવી છે.

આ માટે ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સવજીભાઇ પટેલ, શ્રી એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી, સંયોજક મનહરભાઇ રાઠોડ, પ્રવકતા ડો. દિપકભાઇ રાજયગુરુએ રજૂઆતો કરી હતી.

Most Popular

To Top