Dakshin Gujarat

નિઝરની મુબારકપુર પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતાં હોબાળો

વ્યારા: નિઝર તાલુકાના મુબારકપુર ગામે પ્રાથમિક શાળામાં (School) બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં કીડી, માંખી અને ઇયળ નીકળતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. અનાજમાં જીવાત નીકળતા ચોખા, ચણા સહિતની સામગ્રી હલકી ગુણવત્તાની હોવાની ફરિયાદ ગ્રામજનોએ મામલતદારને કરી હતી. મામલતદારે આ નમૂનાઓના ચકાસણીનો ઓર્ડર (Order) નાયબ મામલતદારને કર્યો હતો. મધ્યાહન ભોજનના નાયબ મામલતદારે શાળાએ પહોંચી આ હલકી ગુણવત્તાનો જથ્થો કબજે લઈ ચણા અને ચોખા સહિતની સામગ્રી બદલી આપી હતી. જો કે,આ લખાય છે ત્યાં સુધી ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો. લાંબા સમયથી આવું જીવાતવાળું ભોજન બાળકોને પીરસાતું હોવાના આક્ષેપો કર્યા હતા.

મુબારકપુર પ્રાથમિક શાળામાં અનાજના જથ્થામાં ચોખા અને ચણા હલકી ગુણવત્તાના હોવાથી આ જથ્થામાંથી સડેલું અનાજ અને તેમાં જીવાત નીકળ્યાં હતાં. આ અનાજમાંથી બાળકોનું ભોજન બનાવવામાં આવતું હતું. તેની બાળકોએ પોતાનાં વાલીઓને ફરિયાદ કરી હતી. હલકી કક્ષાના મધ્યાહન ભોજનને કારણે બાળકો ગંભીર બીમારીના રોગના શિકાર બનતા હોય છે. શુક્રવારે બપોરે ભોજનમાં ફરી જીવાત નીકળતાં ગ્રામજનો દ્વારા શાળાની રૂબરૂ તપાસ કરી આ બાબતની ફરિયાદ મામલતદાર ગુલાબ વસાવાને કરી હતી. તે સંદર્ભે મામલતદારે ચકાસણી કરવા તાત્કાલિક નાયબ મામલતદાર સહિતની ટીમને મોકલી હતી.

મધ્યાહન ભોજનમાં સડેલું અને જીવાત નીકળતાં આ નમૂનાઓ જરૂરી ચકાસણી અર્થે મધ્યાહન ભોજન કેન્દ્ર પરનો જથ્થો મામલતદારને મોકલવામાં આવ્યો હતો. કુકરમુંડા અને નિઝર તાલુકા પછાત હોવાથી શોષણની અનેક ફરિયાદો આ બંને તાલુકાઓમાંથી ઊઠી રહી છે, જેમાં રાશનકાર્ડના અનાજ, મધ્યાહન ભોજનમાં સડેલું અનાજ પીરસાતા હોવાના આક્ષેપો કર્યા છે. આ વિસ્તારના લોકો મોટા ભાગે પછાત અને અશિક્ષિત હોવાથી લોકો ફરિયાદ કરતા ડરતા હોય છે. લોકોએ નિઝર અને કુકરમુંડા તાલુકાને મધ્યાહન ભોજન યોજનામાં પીરસાતી હલકી ગુણવત્તાની સામગ્રીને લઈ શોષણનો અડ્ડો ગણાવ્યો હતો. વાલીઓની ફરિયાદ છે કે, આ બંને તાલુકામાં મેનુ પ્રમાણે ભોજન પીરસાતું જ નથી.

ચાલકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે
બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં ચણામાં ઇયળ નીકળી હોવાની ફરિયાદ ઊઠી હતી, તેઓની શંકા દૂર કરવા આ જથ્થો તાત્કાલિક બદલાવી દીધો છે. હાલ આ મામલે સંચાલકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તા.૨૬મી સુધી લેખિત ખુલાસો કરવા જણાવ્યું છે. જો ખુલાશો યોગ્ય હશે તો વાંધો નથી, નહીં તો તેઓની સામે પગલાં લેવાશે. -ગુલાબભાઇ વસાવા, મામલતદાર, નિઝર.

Most Popular

To Top