ઈમરાન ખાને ખુરશી બચાવવા હવે શરૂ કરી સોદાબાજી, આ દાવ ખેલ્યો છતાં…

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે. જો કે હવે પોતાની ખુરશી બચાવવા માટે હવે સોદાબાજી કરી રહ્યા છે. તેમણે PML-Qના પરવેઝ ઈલાહીને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા છે. તે જ સમયે, અન્ય સહયોગી MQM-Pને મંત્રાલય આપવા માટે પણ સંમત થયા છે.

ઈલાહી પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદા (PML-Q)ના નેતા છે. PML-Q એ ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ની મહત્વની સાથી છે. નેશનલ એસેમ્બલીમાં PML-Qના 5 સાંસદો છે. ઈલાહી પહેલા પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બજદાર હતા. ઉસ્માન બજદારે સોમવારે સાંજે જ રાજીનામું આપી દીધું છે. ઉસ્માન બજદારના રાજીનામા બાદ પીએમએલ-ક્યુના નેતાઓએ મોડી સાંજે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી અને સંસદમાં તેમનું સમર્થન જાહેર કર્યું.

MQM-Pને સાથે લાવવાનો પ્રયાસ
ઇમરાને નારાજ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P) ને સાથે લાવવાના પ્રયાસો પણ તેજ કર્યા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર સોમવારે પીટીઆઈ અને એમક્યુએમ-પીના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં ઈમરાનના સમર્થનનો મામલો લગભગ નક્કી થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન MQM-Pને દરિયાઈ મંત્રાલય સોંપવા માટે રાજી થઈ ગયા છે.

સરકાર MQM-Pની તમામ શરતો સ્વીકારવા તૈયાર: ઈમરાન ઈસ્માઈલ
સિંધ પ્રાંતના ગવર્નર ઈમરાન ઈસ્માઈલે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે સરકાર સાથે MQMની વાતચીત થઈ છે અને એક નિષ્કર્ષ પર પણ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે સરકાર MQM-Pની તમામ શરતો સ્વીકારવા તૈયાર છે. ઈસ્માઈલે એ પણ કહ્યું કે ઈમરાન સરકાર અસંતુષ્ટ સહયોગીઓને એક સાથે લાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. તેમના કહેવા પ્રમાણે પીટીઆઈના બળવાખોર સાંસદોને મનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. નેશનલ એસેમ્બલીમાં MQM-Pના 9 સાંસદો છે.

મહિલા નેતા નવાઝની પાર્ટીમાં જવાની અટકળો
પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અટકળો અને અફવાઓનું બજાર પણ ગરમ છે. સોમવારે ઇમરાનની પાર્ટી પીટીઆઈના નેતા ડો. ફિરદૌસ આશિક અવાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનમાં જોડાયા હોવાની પણ અફવાઓ ઉડી હતી. એવા અહેવાલો હતા કે ડૉ.ફિરદોસે નવાઝ શરીફની પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે બાદમાં તેણે તેને નકારી કાઢ્યું હતું અને તેને અફવા ગણાવી હતી.

ઈમરાનની ખુરશી હજુ ખતરામાં!
ઈમરાન ખાન ભલે અસંતુષ્ટોને એકસાથે લાવવાના ગમે તેટલા પ્રયત્નો કરે પણ તેમની ખુરશી પરથી ખતરો હજુ ટળ્યો નથી. સોમવારે પાકિસ્તાની સંસદમાં ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સંસદનું આગામી સત્ર હવે 31 માર્ચે યોજાશે. નેશનલ એસેમ્બલીમાં 342 સીટો છે અને ઈમરાનને પોતાની સરકાર બચાવવા માટે 172 વોટની જરૂર છે. ઈમરાનની પાર્ટીમાં 155 સભ્યો છે પરંતુ 24 સાંસદ બળવાખોર બની ગયા છે. સાથે જ ઈમરાનના સાથી પક્ષો પણ નારાજ ચાલી રહ્યા છે.

Most Popular

To Top