Dakshin Gujarat

‘ગંદકી કરનાર ચેતી જજો, તમે સીસીટીવીની નજરમાં છો’

નવસારી : નવસારી (Navsari) -વિજલપોર (Vijalpore) નગરપાલિકા વિસ્તારમાં ગંદકી (garbage) થતી 27 જેટલી જગ્યાએ 50થી વધુ સીસીટીવી (CCTV) કેમેરાઓ મુકવામાં આવશે. જેથી પાલિકા વિસ્તારમાં ગંદકી કરનાર લોકોને દંડ (Fine) ભરવા પડશે. જેથી હવે ગંદકી કરનાર ચેતી જજો.

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ઘણી જગ્યાએ ગંદકીઓ થતી રહી છે. લોકો ખુલ્લા મેદાનમાં અથવા સોસાયટીની બહારની જગ્યામાં કચરો નાંખી ગંદકી કરતા હોય છે. જોકે નગરપાલિકાએ ડોર ટુ ડોર કચરો ઉઘરાવાની સુવિધા શરૂ કરી હતી. છતાં પણ ઘણા વિસ્તારમાં લોકો હજી પણ કચરો ખુલ્લી જગ્યામાં ફેકી રહ્યા છે. જેના કારણે ગંદકી થતી હોવાથી રોગચાળો ફાટવાનો કે મચ્છરોનો ઉપદ્રવ થવાની ભીતિ સર્જાઈ છે. ખુલ્લી જગ્યામાં કચરાની ગંદકીને કારણે પાલિકા વિસ્તારની શોભા બગડી રહી છે. ત્યારે પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકાએ ડીજીટલ માધ્યમ મારફત વધુ એક કામ હાથમાં લીધું છે.

ગત 15મીએ નવસારી-વિજલપોર નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી. જે સામાન્ય સભામાં પાલિકાનું 711 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જે બજેટમાં જાહેર સ્થળો પર ગંદકી ન થાય તે માટે કેમેરા મુકવાનું આયોજન બાબતનું કામ પણ લેવામાં આવ્યું હતું. જેથી પાલિકા વિસ્તારમાં ગંદકી થતી જગ્યાઓનો સર્વે શરૂ કરાયો છે. જેમાં પાલિકાના 13 વોર્ડમાં 27 જેટલી જગ્યાઓ ઉપર ગંદકી થતી હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી ભવિષ્યમાં ગંદકીની જગ્યાઓ પૈકી 1 જગ્યાએ 2 કેમેરા એટલે કે 27 જેટલા વિસ્તારમાં 50 થી વધુ સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે.

બીજી તરફ તે તમામ સીસીટીવી કેમેરાઓનું મોનીટરીંગ નગરપાલિકામાંથી જ કરવામાં આવશે. જો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ગંદકી કરનાર લોકોને દંડ ફટકારવામાં આવશે તેમજ તેમના ઉપર કેસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

2 થી 5 હજાર સુધીનો દંડ ફટકારશે : પ્રમુખ
નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું હતું કે, જાહેર સ્થળોએ ગંદકી થાય તેવી 27 જેટલી જગ્યા ધ્યાને આવી છે. ત્યાં કેમેરાઓ લગાવવામાં આવશે. ત્યારબાદ જો ગંદકી થશે તો ગંદકી કરનારને 2 હજારથી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. તેમજ કેસ કરવાની કાર્યવાહી પણ કરાશે. જેથી લોકો સુધરે અને જાહેર સ્થળોએ ગંદકી કરતા બંધ થાય.

વાંસદાના પીપલખેડ પાસે પ્લાસ્ટિક વેસ્ટ, સડેલા શાકભાજી સહિતનો ગંદવાડ નંખાતા રોગચાળાની દહેશત
વાંસદા : વાંસદા તાલુકાના પીપલખેડ ગામ પાસે વાપી – શામળાજી હાઇવે નંબર 56 પર જંગલ વિસ્તારમાં રોડની સાઈડ પર કેટલાક અજાણ્યા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ, સડેલા શાકભાજી, પેપરડીશ, બચેલો એઠવાડ નાખી ગંદકી ફેલાવી રહ્યા છે. જેના કારણે આ ગંદકી પાસે મચ્છરો, જીવાંતો અને ઈયળો પણ ઉદ્દભવતા ગંભીર રોગચાળો ફેલાવાની સ્થિતિ સર્જાય રહી છે. સાથે જંગલ વિસ્તાર પણ હોય તો પશુ પક્ષી અને પર્યાવરણને પણ નુકશાન પહોંચી રહ્યું છે. જેને લઇ વહેલી તકે આવી ગંદકી ફેલાવનારા અને પર્યાવરણને નુકશાન પહોચાડનારા તત્વોની તપાસ કરી તેમના વિરૂદ્ધ સખત પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે.

Most Popular

To Top