Gujarat

નવરાત્રીમાં ખેલૈયાઓની ખુશી થશે બમણી, રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ-રેસ્ટોરન્ટ રહેશે ખુલ્લા

ગાંધીનગર: રાજ્યમાં આગામી 26મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિ (Navratri) મહોત્સવ શરૂ થવા જઈ રહી છે, ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓ રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી ગરબા (Garba) રમી શકશે તેવી જાહેરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ ખેલૈયાઓ માટે એક બીજી પણ ખુશીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું છે કે નવરાત્રીના નવ દિવસ લોકો ગરબા માણી ખાઈ પીને નિરાંતે જાય તેવી રાજ્ય સરકારે આયોજન કર્યું છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે આજે પોલીસતંત્ર સાથે મળીને આ અંગે વ્યવસ્થા કરીશું.

ખેલૈયાઓ 12 વાગ્યા બાદ ખાણી-પીણીની મોજ માણી ઘરે જઈ શકશે
કોરોના મહામારીના બે વર્ષ બાદ રાજ્યમાં નવરાત્રીનો તહેવાર ઉજવી શકાશે. રાજ્યના દરેક શહેરમાં ગરબાપ્રેમીઓએ ખૂબ તૈયારીઓ કરી છે. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા પણ ખેલૈયાઓને કોઈ અગવડ નહીં પડે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી રમવાની છૂટ આપવામાં આવી છે તો બહારથી આવતા ખિલાડીઓ માતાજીના ગરબા ઘૂમ્યા બાજ ભૂખ્યા નહીં જાય તે માટે ખાણીપીણીની હોટેલો પણ 12 વાગ્યા પછી પણ ખુલ્લી રાખી શકાશે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગુરુવારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ, નવરાત્રિમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપી 9 દિવસ રાત્રિના 12 સુધી લાઉડ સ્પીકર-પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. બીજી તરફ હોસ્પિટલ, કોર્ટ તથા શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરવામાં આવશે. રાજ્યમાં આગામી તા.26મી સપ્ટે.થી તા.૪થી ઓક્ટો. સુધી નવરાત્રિ મહોત્સવ ઉજવાશે.

સાત જિલ્લાના 11 સ્થળોએ ગરબાનું ભવ્ય આયોજન
ગુજરાતમાં કોરોના મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં છે. ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતા, પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નહોતી, પરંતુ આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે.

Most Popular

To Top