Dakshin Gujarat

ચીખલી: લક્ઝરી અને ટેમ્પો ભટકાતા બંને વાહનોના ચાલકોના મોત, ફસાયેલાઓને JCBની મદદથી કાઢ્યા

ઘેજ: (Dhej) ચીખલી તાલુકાના કલીયારી ગામમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ (Ahmedabad) જતી લક્ઝરી બસ (Luxury Bus) અને આઇસર ટેમ્પો સામ સામે ભટકાતા બંને વાહનોના ચાલકોના મોત નિપજ્યા હતા. જ્યારે લક્ઝરી બસમાં સવાર ૧૨ મુસાફરોને ઇજા થતા સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાત્રે એકાદ વાગ્યાના અરસામાં ધડાકાભેર વાહનો અથડાતા અને મુસાફરોની ચિચિયારીઓથી સ્થાનિકો ધસી આવી કેબિનમાં ફસાયેલાઓને જેસીસબીની મદદથી બહાર કાઢ્યા હતા.

  • ચીખલીના કલીયારીમાં મધરાત્રે લક્ઝરી અને ટેમ્પો ભટકાતા બંને વાહનોના ચાલકોના મોત
  • લક્ઝરી બસમાં સવાર ૧૨ મુસાફરોને ઇજા થતા ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા
  • રાત્રે ધડાકાભેર વાહનો અથડાતા મુસાફરોની ચિચિયારીઓથી સ્થાનિકો ધસી આવી કેબિનમાં ફસાયેલાઓને જેસીબીની મદદથી બહાર કાઢ્યા

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ચાર્ટડ કંપનીની લક્ઝરી બસ નં એએસ-૦૧-પી-૬૭૯૩ શિરડીથી શ્રધ્ધાળુઓને લઈને ૨૯ એપ્રિલના રોજ સાંજે છ એક વાગ્યાના અરસામાં અમદાવાદ પરત જવા નીકળી હતી. આ દરમ્યાન ધરમપુર-ખારેલ માર્ગ ઉપર રાત્રે એકાદ વાગ્યાના અરસામાં કલીયારી ગામની સીમમાં સામેથી આવતો એક આઇસર ટેમ્પો નં એમએચ-૧૫-જીવી ૬૨૭૯ ના ચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારતા લક્ઝરી બસ સાથે ભટકાતા બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મુકતા સ્થાનિકો મોટી સંખ્યામાં ધસી ગયા હતા. અને બન્ને વાહનોના કેબીનો સહિત આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી જતા તેમાં ફસાયેલા ચાલક સહિતનાને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જેમાં બસના ચાલક મોહમદ સોહેબ મોહમદ ઈંદ્રિશ કાપડિયા (ઉ.વ-૪૮) (રહે.અફઝલ પાર્ક જહાંગીર બેકરી સામે સૈયદવાડી વટવા અમદાવાદ) ને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બસમાં સવાર ૧૨ જેટલાને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ટેમ્પો ચાલક અશોક આત્મારામ ખરે (ઉ.વ-૨૫) (રહે.મસરોળ ગામ તા.જી.નાસિક) ને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમ્યાન મંગળવારે બપોરના સમયે તેનું પણ મોત નીપજ્યું હતું.

Most Popular

To Top