મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો મહાયુદ્ધનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનેઈની હત્યા બાદ દેશની કમાન સંભાળનારા તેમના પુત્ર અને ઇરાનના નવા સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ મોઝતબા ખામેનેઈ એ પિતાની અંતિમક્રિયા બાદ પહેલીવાર દેશને સંબોધિત કર્યો છે. અત્યંત આક્રમક અંદાજમાં તેમણે પોતાના પિતાની હત્યાનો બદલો લેવાની ખુલ્લી કસમ ખાધી છે. ઇરાની સરકારી મીડિયા ‘પ્રેસ ટીવી’ અનુસાર, મોઝતબા ખામેનેઈએ આ બદલાને માત્ર એક લશ્કરી કાર્યવાહી નહીં, પરંતુ ઇરાનનું ‘રાષ્ટ્રીય કર્તવ્ય અને મિશન’ ગણાવ્યું છે.
“શાંતિથી મરવાનું સપનું પૂરુ નહી થાય”: નવા નેતા મોઝતબા ખામેનેઈએ પિતાના હત્યારાઓ (અમેરિકા અને ઇઝરાયેલ) ને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે:
- બદલો નક્કી છે: “અમે શહીદ નેતા અને અમેરિકા-ઇઝરાયેલ સામેના યુદ્ધમાં માર્યા ગયેલા તમામ શહીદોના પવિત્ર લોહીનો બદલો તે ગુનેગારો અને નીચ હત્યારાઓ પાસેથી લેવાનો સંકલ્પ કરીએ છીએ. આખા દેશની પણ આ જ માંગ છે, જેને ગમે તે ભોગે પૂરી કરવામાં આવશે.”
- કોઈ બચી નહીં શકે: કાયરતાપૂર્ણ હુમલા પાછળ જે લોકો જવાબદાર છે, તેઓ ક્યારેય શાંતિની સૂઈ શકશે નહીં. તેઓ પોતાના પલંગ પર શાંતિથી મરવાનું સપનું પોતાની સાથે કબર સુધી લઈ જશે.
- આ મિશન અટકશે નહીં: તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ બદલો લેવાની ઝુંબેશ કોઈ એક વ્યક્તિ કે સરકારી અધિકારી પર નિર્ભર નથી. હું રહું કે ન રહું, અથવા અન્ય અધિકારીઓ રહે કે ન રહે, આ કામ પૂરું થઈને જ રહેશે અને ટૂંક સમયમાં દુનિયાભરનો દરેક સ્વતંત્ર માણસ આ પવિત્ર મિશનનો હિસ્સો બનશે.
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ઐતિહાસિક જનસૈલાબ: મોઝતબા ખામેનેઈએ ઇરાન અને ઇરાકમાં સતત 6 દિવસ સુધી ચાલેલા અંતિમ સંસ્કારના કાર્યક્રમોમાં ઉમટી પડેલી જનમેદનીના દિલથી વખાણ કર્યા છે:
- દુશ્મનોના હોંસલા તૂટ્યા: તેહરાન, કોમ, મશહદ (ઇરાન) તેમજ નજફ અને કરબલા (ઇરાક) જેવા અતિ પવિત્ર શહેરો અને ગામડાઓમાંથી આવેલા કરોડો લોકોની હાજરીને તેમણે “દુશ્મનનું નિકંદન કાઢનારી અને ઐતિહાસિક” ગણાવી હતી.
- 43 મિલિયન લોકો સામેલ: સરકારી આંકડાઓ અનુસાર, પૂર્વ સર્વોચ્ચ નેતાની અંતિમ વિદાયમાં અંદાજે 4.3 કરોડ લોકો સામેલ થયા હતા, જેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
પવિત્ર દરગાહમાં સુપુર્દ-એ-ખાક: ભાઈએ પઢાવી નમાજ: ગુરુવારે મોડી રાત્રે ઇરાનના મશહદ શહેરમાં આવેલા આઠમાં ઇમામ અલી ઇબ્ન મૂસા અલ-રિદાની પવિત્ર દરગાહના ‘દર-અલ-ઝિક્ર’ પ્રાર્થના હોલમાં હજારો શોકાતુર લોકોની હાજરીમાં અયાતુલ્લા અલી ખામેનેઈને દફનાવવામાં આવ્યા હતા. ઇસ્લામિક અને શિયા પરંપરાઓ અનુસાર, દફનાવતા પહેલા તેમના શબપેટીને મઝારની ચારેય તરફ ફેરવવામાં આવી હતી. અંતિમ સંસ્કારની મુખ્ય નમાજ તેમના સૌથી મોટા પુત્ર મુસ્તફા ખામેનેઈએ પઢાવી હતી. ઇમામ હુસૈનની ધાર્મિક વિરાસતનો ઉલ્લેખ કરતા મોઝતબાએ છેલ્લે ઉમેર્યું કે, તેમનો દેશ પિતાના બતાવેલા સીધા રસ્તા અને વિચારધારા પર ચાલવા માટે હંમેશાં કટિબદ્ધ રહેશે.