Comments

બાળકોને ભણાવવાના કોઈ ‘પાઠ’ આપણી પેઢી પાસે બચ્યા છે ખરા?

સાહિત્યકાર કોંકણી હોય, પંજાબી હોય કે ગુજરાતી, પણ તેની કલમ બાળક માટે કંઈ આલેખે છે ત્યારે તેનું મહત્ત્વ ઊતરતું બની જાય છે. ભાષા ઉર્દૂ હોય, બંગાળી કે હિંદી.બાળવાચકોને હંમેશાં વડીલોની પસંદગી ઉપર આધાર રાખવાનો હોય છે. આથી ખુદ રાષ્ટ્રીય અકાદમી માટે પણ બાળસાહિત્ય સર્જન દ્વિતીય દરજ્જાના સ્થાને રહ્યું છે. બાળકો જ દેશનું ભવિષ્ય છે તેમ ૭૦ વર્ષથી કહીએ તો છીએ પણ રાષ્ટ્રના ભાવિ ઘડતર માટે સાહિત્ય ક્ષેત્રે કંઈ રોકાણ થતું જોવા મળતું નથી. આ સ્થિતિ વચ્ચે પણ ગુજરાતી ભાષાએ બાળકોની વકીલાત કરનાર ગિજુભાઈ બધેકાને દેશ સમક્ષ મૂકયા. સ્થાનિક પર્યાવરણને જાળવી માતા-પિતાની હૂંફ અને પ્રેમભાવને જ પ્રાથમિકતા આપી ‘મૂછાળી મા’એ બાળઉછેરનું ગાન કર્યું અને ડંકાની ચોટે કહ્યું કે, ‘સ્વસ્થ સમાજની રચનાનો મૂળભૂત આધાર સ્વસ્થ બાળક છે.’

સ્વતંત્ર ભારતના બંધારણે અને પછીથી ભારતની સંસદે બાળકોને શિક્ષણ, પોષણ અને વિકાસની સમાન તકનો આધાર આપ્યો. આથી આજકાલ નાનાં પરિવારોમાં બાળક કેન્દ્રસ્થાને આવતું થયું છે. કુટુંબમાં બાળક પ્રશંસાપાત્ર બની રહ્યું છે. બદલાતો સમય બાળસાહિત્યના વિકાસ માટે ઊર્જાવાન દેખાઈ રહ્યો છે ત્યારે બાળસાહિત્ય અકાદમી દ્વારા લેખકોને અપાતા પ્રોત્સાહન સમારોહ વધુ ને વધુ પ્રસ્તુત બને છે.

છેક હિતોપદેશ અને પંચતંત્રના સમયથી આપણો વાર્તાવૈભવ દીપ્તિમાન છે. પરંતુ સમયાંતરે સામાજિક મૂલ્યો બદલાતાં રહે છે. આથી કેટલીક પ્રચલિત વાર્તાઓનો બોધ હવે અપ્રસ્તુત જણાય છે. સમયાંતરે સમાજ સામે વૈજ્ઞાનિક તથ્યો ઉજાગર થતાં જાય છે. આથી ‘રાજા સીડી ઉપર પગથિયાં ચડતો ચડતો સ્વર્ગમાં પહોંચ્યો.’તેવું આજનું બાળક માનવા તૈયાર થશે નહીં. રામાયણ અને મહાભારત તો ભારતીયતાનો આધાર બન્યાં છે. આમ છતાં ૨૧મી સદીના બાળસમાજના ઘડતર માટે હવે પુરાણો પ્રેરણાની ગળથૂથી બની રહે તેવું શકય જણાતું નથી.

માનવશરીરની જૈવિક રચનાઓ, તેથી વિશેષ માનવમસ્તિષ્ક દ્વારા થતું સંકલન અને તેથી પણ જટિલ એવાં રાસાયણિક સંયોજનોને સમજવા માટે આજે પણ વિજ્ઞાન મર્યાદિત સાબિત થઈ રહ્યું છે ત્યારે, સમાજઘડતર માટેની બાળવાર્તાઓની વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનું કાર્ય સિધ્ધહસ્ત સાહિત્યકારો માટે પણ કપરું બને છે. આમ છતાં પરંપરા, સ્થાપિત મૂલ્યો કે સહભાગી અવલોકનથી આગળ વધી હવે વૈજ્ઞાનિક તથ્યોના આધારે બાળવાર્તાનું ઘડતર કરવું પડશે.

આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વના એક બૌદ્ધ ફિલસૂફ લાઓત્ઝેએ પોતાની વિચારપોથીમાં નોંધ્યું કે, ‘હકીકત સરી જાય છે ત્યારે તત્ત્વ પેસી જાય છે.’અહીં હકીકત એટલે વિજ્ઞાન અને તત્ત્વ એટલે ઉપદેશ. આ વિચારે આપણા બાળસાહિત્યનું તટસ્થ મૂલ્યાંકન થાય તો ખ્યાલ આવશે કે પાણી અથવા હવાના દબાણ વિષયે કોઈ ઝાઝો વિચાર વિનિમય થતો નથી. પરંતુ સત્ય – અહિંસા બાબતે કેટલું બધું તત્ત્વજ્ઞાન પીરસાયું છે! વાર્તાઓમાં તો ઠાંસી – ઠાંસીને ભરાયું છે. આપણા બાળ રામાયણના રીંછ રાજા કાગ ભૂશંડીજીએ પૃથ્વીની ૧૪ પરિક્રમા કરી. તેવું સાંભળીને આપણે મોટાં થયાં છીએ પણ ગૂગલમાં સંસ્કૃત શબ્દ પૃથ્વીનો અર્થ ‘જમીન’તેવો છે. આથી વિકસિત મસ્તિષ્ક સાથેનું બાળક એમ કેવી રીતે માને કે રીંછભાઈએ આ ગ્લોબ (પૃથ્વી)ની ૧૪ પ્રદક્ષિણા પગપાળા કરેલી!!!

ઈલેકટ્રોન, પ્રોટોન, નેટ્રોનથી આગળ વધી વૈશ્વિક અણુવિજ્ઞાન કેન્દ્રની તાજેતરની જાહેરાત મુજબ સૂક્ષ્મદર્શક યંત્રોથી હવે મિટ્રો સુધી પહોંચાયું છે. ર૭૦૦ વર્ષ પહેલાં ચૈતન્યજગતમાં પ્રવેશી જૈન ધર્મથી ઘોષણા થયેલ કે, ‘આત્મા જ્ઞાની છે.’આ હકીકત હવે વિજ્ઞાન દ્વારા જીન્સના રંગસૂત્રોના સ્વભાવ પારખીને કહેવામાં આવી રહી છે ત્યારે ગિજુભાઈની વાર્તાનો આનંદી કાગડો તેના જીન્સમાં રહેલા આનંદ, સૌંદર્ય, સ્નેહ પ્રકારનાં રંગસૂત્રોના પ્રભાવથી મજામાં રહ્યો, ગીત ગાતો રહ્યો તેવું કહેવું પડશે. મનુષ્ય અને ઉંદરના રંગસૂત્રોમાં ૯૯% સામ્ય છે. આ તથ્યને સ્વીકારી આપણી વાર્તાના ઉંદરમામાને માન સન્માન આપવું પડશે. હિંદુ કે મુસલમાન અંતે એક જ દૈવીતત્ત્વને ચાહે છે તેવી ભાવનાત્મકતાના સ્થાને આ પૃથ્વી ઉપરના તમામ મનુષ્યના જીન્સ એક જ છે તેમ કહી ભાઈચારાનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડીએ.

માનવવિજ્ઞાને પ્રતિપાદિત કર્યું છે કે વ્યકિત જન્મનાં પ્રથમ ૫ વર્ષમાં જ સર્વાઈવલ માટેનું ૮૦% કૌશલ્ય પ્રાપ્ત કરી લે છે અને બાકીનાં ૮૦-૮૫ વર્ષમાં માત્ર આર્ટિફિશીયલ ઈન્ટલીજન્સ એકત્ર કરવામાં સમય પસાર કરે છે. ગ્લોબલ બ્રેઇન ઈન્સ્ટીટયૂટના હ્યુમન ઈવેલ્યુશન એન્ડ લાઈફ હીસ્ટ્રી થીયરી વિભાગનાં સંશોધન અહેવાલ અનુસાર વર્ષ ૨૦૫૦ સુધીમાં બાયોલોજીકલ કલોક મહદ્દ અંશે બદલાઇ જવાની છે. સુપર કમ્પ્યુટરની ગણતરી અનુસાર માણસની સરેરાશ આયુષ્ય ૯૦ વર્ષની પહોંચી જશે. ક્રાઈસીસને અપોર્ચ્યુનીટીમાં બદલવાના શિક્ષણને જ પ્રાધાન્ય અપાશે.

રોબોટીક લાઈફ વ્યકિતની પ્રથમ પસંદગી બની જતાં સ્ત્રીઓ ૪૦ વર્ષ પછી પ્રથમ બાળકની સંભાવના વિચારશે. આથી નવી – જૂની પેઢી વચ્ચેનું અંતર ૭૦-૭૨ વર્ષનું થઈ જશે. વ્યકિતને માઈન્ડ પ્રોસેસીંગ પાવર વધારવા માટે ન્યુરોસર્જનની આવશ્યકતા રહેશે. કરંટ એજીંગ સાયન્સના અહેવાલમાં સંશોધક કેડેલ લાસ્ટ નોંધે છે કે અર્થ ઉપાર્જન સર્વેસર્વા બની જતાં માણસ બાયોનિક ઇમ્પોર્ટ કરવાનું જોખમ ખેડીને પણ દિવસભરના ૧૮-૨૦ કલાક કામ કરશે અને પોતાના હાથ – પગ પાસેથી મશીન જેમ કામ લેશે. ભાવિ પરિવર્તનોને બાળ સાહિત્યકારો અનદેખા કરી શકે તેમ નથી કારણ તેમના સાહિત્યસર્જનનો બાળવાચક આજે કમ્પ્યુટર, મોબાઈલ, ટી.વી. પ્રકારના ગેજેટ્સનાં પરિચયે વર્ચ્યુઅલ રિયાલીટીના વિશ્વમાં પગ રાખી ચૂક્યો છે.

સાહિત્યના તમામ પ્રકારો સાથે જોડાયેલ નાગરિકો કરતાં બાળ સાહિત્યકારોના ખભે વિશેષ જવાબદારી છે. કારણ તેઓ બાળકના બાયો- કમ્પ્યુટરની રેમ મેમરીને ઘડવાના છે અને બાળવાર્તાના સ્વરૂપની યાદદાસ્ત તેના મસ્તિષ્કમાંથી કયારેય ડિલીટ થવાના નથી. વિકસતા વિજ્ઞાને તકનિકી અચંબાથી જગતને છાવરી નાખ્યું છે પણ યાદ રહે કે જે પંચ તત્ત્વોથી માનવશરીર બન્યું છે તે જ બેઝિક એલીમેન્ટથી સમગ્ર બ્રહ્માંડ વિચલિત છે અને આથી જ ૫૫૦ વર્ષ પહેલાં આપણી ભાષાના ઊર્મિશીલ ભકત કવિ નરસિંહે કહ્યું, ‘અંતે તો હેમનું હેમ હોયે..

બાળસાહિત્યની રચના કરનાર મિત્રો, મનુષ્ય દેહને મનુષ્યત્વ આપનાર એકમ મૂલ્ય છે. જે પ્રાણીજગતથી આપણને એક અંક ઉપર રાખે છે ત્યારે ભલે નવી પેઢી માટે થઈ વિજ્ઞાનની ભાષામાં સાહિત્યનું સર્જન કરીએ પણ વાત માનવમૂલ્યોની જ કરીએ, તેવી મારી આપને અભ્યર્થના છે. ફ્રાન્સના પ્રોટેસ્ટન્ટ સુધારક જોને કેલ્વિને વર્ષ ૧૫૦૯માં નોંધ્યું છે તેમ જ્યારે બાળકની આશાઓ નાની હોય તો આપણે ઈશ્વરને કહેવું જોઈએ કે, એને મોટી કરી આપે જયારે શાંત હોય તો જાગૃત કરવાનું કહેવું જોઈએ. જ્યારે આશાઓ ઢચુપચુ હોય તો દ્રઢ અને જ્યારે નબળી હોય ત્યારે તેને મજબૂત કરવાનું કહેવું જોઈએ. જ્યારે બાળકની આશાઓ પૂર્ણ ન થાય તો ઈશ્વરને ફરી કહો કે બાળક આગંતુકને ઊભો કરી આપે… બાળ સાહિત્યકારો, આ ઈશ્વર એટલે તમારી કલમ અને તેની તાકાત.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top