Gujarat

અમદાવાદમાં રમાનારી ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની મેચની તારીખ-સ્થળમાં ફેરફારની શક્યતા

નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ભારતમાં (India) શરૂ થઈ રહ્યો છે. આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ પણ જાહેર કરી દેવાયું છે. ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ત્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ અથવા સ્થળ બદલાઈ શકે છે તેવી જાણકારી સામે આવી છે.

મેચની તારીખ અથવા સ્થળ બદલાઈ શકે છે
27 જૂને ICCએ ODI વર્લ્ડ કપ 2023ની મેચોનો શેડ્યુલ જાહેર કર્યો હતો. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને 1 લાખથી વધુ દર્શકોની ક્ષમતા સાથે ચાર મેચોની યજમાની મળી હતી. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સામેલ હતી. જોકે, હવે ભારત પાકિસ્તાનની મેચના શેડ્યુલમાં ફેરફાર થાય તેવા સંજોગો ઉભા થયા છે.

તા. 15 ઓકટોબરે જ્યારે ભારત પાકિસ્તાનની મેચ છે તે જ સમયે ગુજરાતમાં નવરાત્રિનો તહેવારની ઉજવણી ચાલી રહી હશે. આ તહેવારનું ગુજરાતમાં ખૂબ મહત્ત્વ છે. ગુજરાતના તમામ શહેરોમાં ભીડવાળો માહોલ હશે. જેના લીધે ભારત પાકિસ્તાનની મેચ અન્ય સ્થળે રમાડાય અથવા તેની તારીખ બદલવામાં આવે તે અંગે વિચારણા શરૂ થઈ છે.

સુરક્ષા એજન્સીના રિપોર્ટ બાદ આ મેચની તારીખ અથવા લોકેશન બદલવાનો વિચાર કરવાની ફરજ પડી છે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન જેવી હાઈપ્રોફાઈલ ગેમ્સ માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચે તેવી અપેક્ષા છે. આ સમયે સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસ નવરાત્રિની વ્યવસ્થામાં વ્યસ્ત રહેશે. તેથી એક જ સમયે બે ઈવેન્ટનો બંદોબસ્ત જાળવવો મુશ્કેલ બની શકે છે.

BCCI સેક્રેટરી જય શાહે ગુરુવારે બેઠક બોલાવી
BCCI સેક્રેટરી જય શાહે 27 જુલાઈએ સ્ટેટ એસોસિયેશન ઓફ વર્લ્ડ કપ વેન્યૂની ઈમર્જન્સી બેઠક દિલ્હીમાં બોલાવી છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મેચની નવી તારીખ અથવા સ્થળ બદલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત BCCI સુરક્ષાનો મુદ્દો સ્ટેટ એસોસિયેશન સાથે ઉઠાવશે.

ચાહકોને આંચકો લાગી શકે છે
જો અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડકપની મેચની તારીખ કે સ્થળ બદલવામાં આવે તો ચાહકો માટે તે આંચકાથી ઓછું નહીં હોય. વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર થતાં અને તેમાં પણ ભારત પાકિસ્તાનની મેચની તારીખ સામે આવતાં અમદાવાદની હોટેલો ઓક્ટોબર માટે પહેલેથી જ બુક થઈ ગઈ છે અને હોમસ્ટેના વિકલ્પો પણ સમાપ્ત થઈ ગયા છે. ઘરના રેન્ટમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે.

આ બંને ટીમનો રેકોર્ડ છે
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. ક્રિકેટ સ્ટેડિયમમાં ઉત્તેજના ચરમ પર છે. ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 7 મેચ રમાઈ છે અને ટીમ ઈન્ડિયાએ તમામ સાત મેચ જીતી છે. છેલ્લી વખત બંને ટીમો ODI વર્લ્ડ કપ 2019માં આમને સામને આવી હતી, ત્યારે ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું.

Most Popular

To Top