National

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ ગુરુવારે ચુકાદો સંભળાવશે

નવી દિલ્હી: ગુરુવારે અદાણી-હિંડનબર્ગ (Adani-Hindenburg) વિવાદની તપાસ માટે સમિતિની રચના પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) આદેશ આપશે. ભારતના (India) મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિંહ અને જે.બી. પારડીવાલાની ખંડપીઠે એડવોકેટ વિશાલ તિવારી, એમ.એલ. શર્મા, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને અનામિકા જયસ્વાલ દ્વારા દાખલ કરાયેલી અરજીઓના બેચ પર આ આદેશ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તે હિંડનબર્ગ રિપોર્ટની તપાસ માટે રચવામાં આવેલી સમિતિમાં સમાવેશ કરવા માટે કેન્દ્ર દ્વારા સૂચવવામાં આવેલા નિષ્ણાતોના નામોને સીલબંધ કવરમાં સ્વીકારશે નહીં. જણાવી દઈએ કે હિંડનબર્ગનો અહેવાલ બહાર આવ્યા બાદ અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો હતો અને રોકાણકારોને ભારે નુકસાન થયું હતું.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે કોર્ટ નિષ્ણાતોની પસંદગી કરશે અને સંપૂર્ણ પારદર્શિતા જાળવી કોઈ પણ નિર્ણય લેશે. જો કોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા સૂચવેલા નામો લેશે તો તે સરકાર દ્વારા રચાયેલી સમિતિ કહેવાશે અને તેની નિષ્પક્ષતા પર શંકા રહેશે. કેન્દ્ર સરકારે એક લેખિત જવાબમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અદાણી જૂથ સામે અમેરિકન શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા આરોપોની ‘સત્યતા’ તપાસવાની જરૂર છે અને એક તથ્ય શોધવાની કવાયત હાથ ધરવાની જરૂર છે.

અદાણી ગ્રૂપે તેના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા
અગાઉ, 10 ફેબ્રુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે અદાણી જૂથના શેરમાં ઘટાડાની પૃષ્ઠભૂમિમાં બજારની અસ્થિરતાથી ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. કોર્ટે કેન્દ્રને નિયમનકારી મિકેનિઝમને મજબૂત કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાતોની એક પેનલ બનાવવા માટે વિચારણા કરવા જણાવ્યું હતું. બીજી તરફ અદાણી ગ્રૂપે તેના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તે તમામ કાયદાઓ અને ડિસ્ક્લોઝરની જરૂરિયાતોનું પાલન કરે છે.

Most Popular

To Top