પાન મસાલા ખાતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI)એ પાન મસાલાની પેકેજિંગને લઈને નિયમો વધુ કડક કર્યા છે. નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકેટમાં પ્લાસ્ટિક અને અન્ય સિન્થેટિક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમો 10 ઓગસ્ટ 2026થી લાગુ માનવામાં આવી રહ્યા છે. હવે પાન મસાલા બનાવતી કંપનીઓએ પેકેજિંગ માટે નક્કી કરાયેલા વૈકલ્પિક મટીરિયલનો ઉપયોગ કરવો પડશે.
કયા મટીરિયલ પર પ્રતિબંધ મૂકાયો?
નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ પાન મસાલાના પેકેજિંગમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિક અને સિન્થેટિક પોલિમરના ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે.
આમાં મુખ્યત્વે નીચેની સામગ્રીનો સમાવેશ થાય છે:
- પોલિએથિલિન
- પોલિપ્રોપિલિન
- પોલિએસ્ટર
- પીવીસી
- અન્ય સિન્થેટિક પોલિમર
- સિન્થેટિક લેમિનેટ
- એલ્યુમિનિયમ ફોઇલ
- મેટલાઇઝ્ડ લેયર
આ નિયમોનો હેતુ પાન મસાલાના પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીને નિયંત્રિત કરવાનો છે.
હવે કેવી હોઈ શકે પાન મસાલાની પેકિંગ?
પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઇલના વિકલ્પ તરીકે પાન મસાલા કંપનીઓએ અન્ય પ્રકારની પેકેજિંગ સામગ્રી તરફ વળવું પડશે. FSSAI દ્વારા પેકેજિંગ માટે પેપર, પેપર બોર્ડ, સેલ્યુલોઝ, ટિન અથવા કાચ જેવા વિકલ્પોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ બજારમાં પાન મસાલાના પેકેટનું સ્વરૂપ બદલાયેલું જોવા મળી શકે છે. કંપનીઓએ ઉત્પાદનને સુરક્ષિત રાખવા સાથે પેકેજિંગના નવા નિયમોનું પણ પાલન કરવું પડશે.
કંપનીઓના ખર્ચમાં વધારો થઈ શકે
પેકેજિંગમાં મોટો ફેરફાર કરવા માટે પાન મસાલા ઉત્પાદક કંપનીઓએ નવી કાચી સામગ્રી અને જરૂરી મશીનરીની વ્યવસ્થા કરવી પડશે. પ્લાસ્ટિક આધારિત પેકેજિંગની જગ્યાએ પેપર, ટિન અથવા અન્ય સામગ્રીનો ઉપયોગ કરવાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. કંપનીઓ માટે સૌથી મોટો પડકાર એવી પેકેજિંગ સામગ્રી અને મશીનરી શોધવાનો રહેશે, જે નિયમોનું પાલન કરતી હોય અને ઉત્પાદન ખર્ચને પણ નિયંત્રણમાં રાખી શકે.
ગ્રાહકો માટે મોંઘું પડી શકે પાન મસાલા
પેકેજિંગ ખર્ચમાં વધારો થાય તો તેની અસર પાન મસાલાની કિંમત પર પણ પડી શકે છે. જોકે, કંપનીઓ આ વધારાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલશે કે નહીં અને કેટલો વધારો થશે તે દરેક કંપનીના નિર્ણય પર આધારિત રહેશે. નવા નિયમોને કારણે પાન મસાલાના પેકેટમાં ગ્રાહકોને આગામી દિવસોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
સેલ્ફ લાઇફ અને ટ્રાન્સપોર્ટેશન પણ પડકાર
પ્લાસ્ટિક આધારિત પેકેજિંગ દૂર કર્યા બાદ કંપનીઓએ ઉત્પાદનની ગુણવત્તા અને સેલ્ફ લાઇફ જાળવવા માટે પણ નવી વ્યવસ્થા કરવી પડશે. પેકેજિંગ દરમિયાન ભેજ અને અન્ય પરિબળોથી ઉત્પાદનને સુરક્ષિત રાખવું મહત્વનું બનશે.
સાથે જ માલના પરિવહન દરમિયાન પેકેટને નુકસાન થવાથી અથવા ઉત્પાદન બગડવાથી બગાડનું જોખમ પણ વધી શકે છે. તેથી કંપનીઓએ નવી પેકેજિંગ ડિઝાઇન તૈયાર કરતી વખતે ઉત્પાદનની સુરક્ષા, ટકાઉપણું અને ખર્ચ જેવા તમામ પાસાં ધ્યાનમાં લેવા પડશે.
આ રીતે FSSAIના નવા નિયમથી પાન મસાલા ઉદ્યોગમાં પેકેજિંગની પદ્ધતિમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે અને તેની અસર કંપનીઓથી લઈને બજારમાં મળતા પાન મસાલાના પેકેટ સુધી જોવા મળી શકે છે.