National

આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ બેંગલુરુમાં નવા ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

બેંગલુરુમાં આજે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના દિવસ અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા અને તેમણે નવા ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું.આ કાર્યક્રમમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોમાંથી હજારો લોકો જોડાયા હતા. આધ્યાત્મિકતા, માનસિક શાંતિ અને વિશ્વ શાંતિના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંગીત, યોગ, ધ્યાન અને વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહ્યા. કાર્યક્રમનું સૌથી ખાસ આકર્ષણ નવનિર્મિત ધ્યાન મંદિર રહ્યું. વડાપ્રધાન મોદીએ તેનું લોકાર્પણ કર્યું. આ ધ્યાન મંદિર ખાસ કરીને ધ્યાન, યોગ અને માનસિક શાંતિ માટે બનાવવામાં આવ્યું છે. વિશાળ હોલમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો બેસીને ધ્યાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આર્ટ ઓફ લિવિંગ એ એક મંદિર નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક શાંતિનું કેન્દ્ર છે. આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં લોકો માટે આવી જગ્યાઓ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં ભવિષ્યમાં નિયમિત ધ્યાન સત્રો, યોગ કાર્યક્રમો અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત અભિયાનો યોજાશે. આર્ટ ઓફ લિવિંગની શરૂઆત 1981માં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે કરી હતી. શરૂઆતમાં નાની આધ્યાત્મિક ચળવળ તરીકે શરૂ થયેલી આ સંસ્થા આજે વિશ્વની સૌથી મોટી સ્વયંસેવક આધારિત સંસ્થાઓમાં સામેલ છે. સંસ્થા હાલમાં 180થી વધુ દેશોમાં કાર્યરત છે અને લાખો લોકો સુધી પહોંચી ચૂકી છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ લોકોને તણાવમુક્ત અને ખુશહાલ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે “સુદર્શન ક્રિયા” નામની ખાસ શ્વાસ લેવાની પદ્ધતિ વિકસાવી હતી, જે આજે વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય બની છે. લાખો લોકો તણાવ ઘટાડવા અને માનસિક શાંતિ મેળવવા માટે તેનો અભ્યાસ કરે છે.

આર્ટ ઓફ લિવિંગ ફક્ત યોગ અને ધ્યાન પૂરતું મર્યાદિત નથી. સંસ્થા સામાજિક ક્ષેત્રમાં પણ સક્રિય રહી છે. ગ્રામીણ વિકાસ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને જેલ સુધારણા જેવા અનેક ક્ષેત્રોમાં સંસ્થાએ કામ કર્યું છે. અહેવાલો મુજબ સંસ્થાએ હજારો ગામોમાં વિકાસ કાર્યક્રમો ચલાવ્યા છે અને અનેક યુવાનોને કૌશલ્ય તાલીમ આપી છે. પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અભિયાન અને નદીઓના પુનર્જીવન જેવા પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવ્યા છે. જેલોમાં કેદીઓ માટે ધ્યાન અને પુનર્વસન કાર્યક્રમો પણ ચલાવવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં વિશ્વભરની વિવિધ સંસ્કૃતિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. સંગીત, નૃત્ય અને કલા દ્વારા અલગ-અલગ દેશોની પરંપરા અને સંસ્કૃતિ રજૂ કરવામાં આવી. સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, કલાકારો અને આંતરરાષ્ટ્રીય મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આગામી દિવસોમાં પણ આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક વિશેષ કાર્યક્રમો યોજાશે. તેમાં સૌથી ખાસ ગ્લોબલ મેડિટેશન ફોર વર્લ્ડ પીસ રહેશે, જે 13 મેના રોજ યોજાશે. વિશ્વભરના લોકો આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાઈ શકશે. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આધ્યાત્મિકતા, માનસિક સ્વાસ્થ્ય અને વિશ્વ શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. પીએમ મોદીની હાજરીએ કાર્યક્રમને વધુ ખાસ બનાવી દીધો.

Most Popular

To Top