ફતિયાવાદ નજીક સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનાથી પંથકમાં અરેરાટી
માતાએ બે માસૂમ પુત્રીઓને પાણીમાં ફેંકી પોતે પણ મોતની છલાંગ લગાવી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.9
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં એક જ પરિવારના 4 સભ્યોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. માતાએ પોતાની બે માસૂમ દીકરીઓને નહેરમાં ફેંકી પોતે આત્મહત્યા કરવા કૂદી પડી હતી, જેમને બચાવવા માટે પિતાએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ચારેય સભ્યો ડૂબી ગયા હતા.

કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામે રહેતા સપનાબેન સોલંકી ગત સાંજે પોતાની 3 વર્ષની પુત્રી નીતિ અને માત્ર 3 માસની પુત્રી કાળી સાથે ફતિયાવાદ નજીક નર્મદા નહેરના પુલ પર પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર આ માતાએ કાળજું કઠણ કરીને પોતાની બંને ફૂલ જેવી દીકરીઓને ધસમસતા પાણીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ નહેરમાં કૂદી પડી હતી.

આ દ્રશ્ય જોઈ ત્યાં દોડી આવેલા પતિ વિનુભાઈ સોલંકીએ પત્ની અને બાળકોને મરતા બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર નહેરમાં છલાંગ લગાવી હતી. નહેરમાં પાણીની ઊંડાઈ અને પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી પરિવારના આ ચારેય સભ્યો લાંબો સમય ટકી શક્યા નહોતા અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા નહેર પર ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને શોધખોળ શરૂ કરી હતી.
સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ નહેરના ઊંડા પાણીમાંથી એક પછી એક એમ ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ પોલીસમાં જાણ કરતા પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પારિવારિક કંકાસ કે અન્ય કોઈ કારણસર માતાએ આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઘરકંકાસમાં પગલું ભર્યુ હોવાની દિશામાં તપાસ તેજ
કપડવંજ ડિવિઝનના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં બાળકો સહિત ચારેયના મોત નીપજ્યા છે. આ મામલે મૃતકના પિતા સુરેશભાઈ સોલંકીએ આતરસુંબા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કયા સંજોગોમાં કે પારિવારિક કંકાસના કારણે માતાએ પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.