આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછાએ સત્ય અને નૈતિકતાને હાંસિયામાં ધકેલી દીધા છે. ખાસ કરીને સુરતના ભવ્ય ઈતિહાસને લઈને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ‘રીલ્સ’નું જે પૂર આવ્યું છે, તેમાં ‘સંદર્ભ’ નામના તત્વનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. ઇતિહાસ એ કોઈ ફેશન શો નથી કે જે મેક-અપ અને મસાલેદાર રજૂઆતથી સાબિત થાય; તે તો દસ્તાવેજી પુરાવા અને પાયાની મહેનત પર ટકેલું સત્ય છે. ઈતિહાસકાર બનવા માટે માત્ર કેમેરાની સામે બોલવાની આવડત નહીં, પણ તપસ્યા, સંયમ અને મૂળ સ્ત્રોતને ‘ક્રેડિટ’ આપવાની પ્રમાણિકતા જોઈએ. જો આપણે સુરતના સાચા વારસાને બચાવવો હોય, તો આવી બૌદ્ધિક ચોરી કરનારાઓ પર અંકુશ લાવવો જ રહ્યો. નાગરિકોએ પણ ‘લાઈક્સ’ આપતા પહેલા માહિતીના આધાર વિશે જાગૃત થવું જોઈએ, જેથી સાચું સંશોધન અને ખરા સંશોધકોનું સન્માન જળવાઈ રહે.
સુરત – નેહા સિંગાપુરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે