ફિલ્મ “યાદવ જી કી લવ સ્ટોરી” વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજદારે દાવો કર્યો હતો કે ફિલ્મનું શીર્ષક એક જાતિને નકારાત્મક રીતે રજૂ કરે છે, પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી નથી. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ન અને ઉજ્જલ ભુયાનની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું કે અમે રેકોર્ડ પરની સામગ્રીની સમીક્ષા કરી છે. મુખ્ય ફરિયાદ એ છે કે આગામી ફિલ્મનું શીર્ષક યાદવ સમુદાયને સમાજમાં નકારાત્મક રીતે રજૂ કરે છે, અને તેથી, શીર્ષક બદલવું જોઈએ. ફિલ્મનું શીર્ષક સમુદાયને નકારાત્મક રીતે કેવી રીતે રજૂ કરે છે તે અમે સમજી શકતા નથી. શીર્ષકમાં યાદવ સમુદાયને નકારાત્મક રીતે રજૂ કરતા કોઈ વિશેષણો કે શબ્દો નથી. આ આશંકા સંપૂર્ણપણે પાયાવિહોણી છે. રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રીના આધારે ફિલ્મનું શીર્ષક યાદવ સમુદાયને અપમાનજનક અથવા નકારાત્મક રીતે દર્શાવતું નથી. ફક્ત શંકાના આધારે કોઈ ફિલ્મના શીર્ષકને ગેરબંધારણીય જાહેર કરી શકાય નહીં, એવો પણ કોર્ટનો મત રહ્યો.
સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મ “ઘુસખોર પંડિત” કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે મામલો અલગ હતો, કારણ કે ત્યાં એક જાતિના સભ્યોને ભ્રષ્ટ તરીકે દર્શાવવાની છાપ પડતી હતી. હાલની ફિલ્મમાં એવી કોઈ બાબત જોવા મળતી નથી. અરજદાર અવધેશ યાદવ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ફિલ્મ 27 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે અને રિલીઝ બાદ જો કોઈ વાંધાજનક સામગ્રી જણાય તો ફરી કોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવે. એમની આ વાત પર કોર્ટે કહ્યું કે ફિલ્મની વાર્તા કાલ્પનિક છે અને અતિશય વિરોધ યોગ્ય નથી. આ રીતે સુપ્રીમ કોર્ટે ફિલ્મના પ્રદર્શન પર કોઈ રોક લગાવવાનો ઇન્કાર કરતા અરજી ફગાવી દીધી હતી.