Nasvadi

નાળુ ધોવાઈ જતા નસવાડી તાલુકાના ખોખરા (લા) ગામે જવાનો રસ્તો બંધ, લોકોનો સુત્રોચ્ચાર

આઝાદીના વર્ષો વીતી જવા છતાંય રસ્તો નથી અને પહેલા વરસાદમાં કોતર ઉપર ગ્રામ પંચાયત દ્વારા બનાવેલું નાનું નાળું ધોવાઈ ગયું

નસવાડી: નસવાડી તાલુકાના ખોખરા (લા) ગામે આઝાદીના વર્ષો વીતી જવા છતાંય રસ્તો નથી અને પહેલા વરસાદમાં કોતર ઉપર ગ્રામ પંચાયત દ્વારા બનાવેલું નાનું નાળું ધોવાઈ જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા હતા. તંત્રને રજુઆત કરીને થાકી જતા ગ્રામજનોએ કોતર ઉપર ભેગા થઈને સુત્રોચાર કર્યા હતા.



નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ ખોખરા (લા)માં 600 જેટલા લોકોની વસ્તી છે. જયારે પ્રાથમિક શાળા કોતરના સામે કિનારે આવેલી છે. પ્રથમ વરસાદે આ વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જી છે. કોતરમાં પાણી આવતા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલું નાનું નાળું ધોવાઈ ગયું છે અને આખું કોતર પડી જતા 600 જેટલા લોક ને ગામ માંથી વાહન લઈને આવવું હોય તો નીકળી શકાય તેમ નથી. સામે કિનારે પ્રાથમિક શાળા આવેલી છે તેમાં બાળકો અભ્યાસ માટે જતા હતા, પરંતુ કોતર ના પસાર કરી શકતા બાળકો શાળાએ પણ જતા નથી. ગામ સુધી પહોંચવા માટે એક કિલોમીટરનો કાચો રસ્તો છે. વર્ષોથી પાકા રસ્તાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. દર વખતે ચૂંટણીમાં નેતાઓ મત લેવા માટે આવે છે, ત્યારે રસ્તો બનાવી આપીશું તેવી ખાતરી આપીને જતા રહે છે. પરંતુ આઝાદી આ આટલા વર્ષો પછી ગ્રામજનોને પાકા રસ્તા ની સુવિધા ના મળતા હાલ ગ્રામજનોએ રસ્તાની માંગ સાથે તંત્રને જગાડવા માટે ગામના કોતર ઉપર ભેગા થઈને સુત્રોચાર કર્યા હતા.

નસવાડી તાલુકામાં અનેક ગામોમાં રસ્તાની સુવિધા ના હોવાથી ચોમાસાના સમયે લોકો ચાર મહિના હેરાન પરેશાન થઇ જાય છે. કોઈ બીમાર પડે તો ઝોળીમાં નાખીને દવાખાને લઇ જવું પડે છે. સરકાર વિકાસ ની વાતો કરે છે , પરંતુ ગામડાઓમાં રસ્તા વિના લોકોની દયનિય હાલત છે. નસવાડી આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને સરકાર ટ્રાઇબલ વિભાગમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે તંત્રના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને જરૂર હોય ત્યાં ગ્રાન્ટો ફાળવવામાં આવતી નથી તેનો વરવો નમૂનો છે .


અમે વર્ષો થી સત્તાધારી પાર્ટી ને મત આપીએ છીએ પરંતુ અમારા ગામ સુધી પાકો રસ્તો નથી

અમે વર્ષો થી સત્તાધારી પાર્ટી ને મત આપીએ છીએ પરંતુ અમારા ગામ સુધી પાકો રસ્તો નથી મત લેવા માટે આવતા નેતાઓ દરવખતે મત મેળવી ને જાય છે, પાછા વળીને અમારી મુશ્કેલી જોવા આવતા નથી, અમારા બાળકો રસ્તા વિના અભણ રહી જાય તેવી પરિસ્થિતિ છે,આગામી દિવસોમાં અમને રસ્તાની સુવિધા નહિ મળે તો ઉગ્ર આંદોલન તાલુકા મથક ની કચેરી ઉપર કરીશું .

સાજીયાભાઈ ડુંગરાભીલ ,ગ્રામજન

અમે નસવાડીના અધિકારીઓને રજુઆત કરીએ છીએ, પરંતુ અમારી રજુઆત સાંભળવામાં નથી આવતી
આઝાદીના વર્ષો પછી દરેક ગામોમાં રસ્તા બને છે, ત્યારે અમારું ખોખરા (લા ) ગામે પ્રવેશવાના માર્ગ ઉપર નાળું ધોવાઈ ગયું. હવે નીકળી શકાતું નથી, અમે નસવાડીના અધિકારીઓને રજુઆત કરીએ છીએ, પરંતુ અમારી રજુઆત સાંભળવામાં નથી આવતી. અમારે ચાર મહિના દુઃખી થવાનો વારો છે..

પ્રવીણભાઈ ડુંગરાભીલ, ગ્રામજન

Most Popular

To Top